ભારતીયો દ્વારા જીવનજરૂરી ચીજવસ્તુઓનો વધુપડતો સંગ્રહ

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાને લીધે દેશમાં લાગેલા લોકડાઉન તેમ જ અન્ય પ્રતિબંધોને કારણે ગ્રાહકો જીવનજરૂરી ચીજવસ્તુઓની આડેધડ ખરીદી કરી છે. કોરોનાની બીજી લહેર અને ત્રીજી લહેરને લીધે કેસોમાં વારંવાર આવેલા ઉછાળાને કારણે તેમ જ રાજ્ય સ્તરે લદાયેલાં નિયંત્રણોને લીધે ક્રિસમસથી વાર્ષિક ધોરણે કરિયાણા અને ઈકોમર્સ કંપનીઓનાં વેચાણમાં  20 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે, એમ કંપનીના એક્ઝિક્યુટિવ્ઝે જણાવ્યું હતું.

ડિસેમ્બર ત્રિમાસિકમાં વોલ્યુમ ગ્રોથ નીચો હતો, ત્યારે પ્રાથમિક ચીજવસ્તુઓની રિટેલ માગમાં 10થી 15 ટકાનો વધારો થયો હતો. દાળો, ચોખા, લોટ, ખાદ્યતેલો, બિસ્કિટ્સ ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને રેડી-ટુ-ઇટ પ્રોડક્ટ્સના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.

ક્રિસમસ પૂરી થયા પછી અને નવા વર્ષે રોગચાળાની ત્રીજી લહેરના પ્રારંભે કોરોનાના કેસોમાં થયેલા અચાનક વધારાને લીધે જીવનજરૂરી ચીજવસ્તુઓના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે, કેમ કે લોકોને વધુ નિયંત્રણો લદાવાની આશંકા છે, એમ પાર્લે પ્રોડક્ટ્સના સિનિયર કેટેગરીના વડા મયંક શાહે કહ્યું હતું. દેશના સૌથી મોટા બિસ્કિટ ઉત્પાદકના સામાન્ય વેપાર અને ઈકોમર્સ ક્ષેત્રે 27 ડિસેમ્બરથી બીજી જાન્યુઆરીના સમયગાળામાં વેચાણ 15 ટકાનો વધારો થયો હતો.

કોરોનાની પહેલી લહેરમાં 2020માં ફૂડ કંપનીઓના વેચાણમાં રેકોર્ડ વધારો થયો હતો, પણ બીજી લહેર દરમ્યાન વેચાણમાં ખાસ વધારો નહોતો જોવા મળ્યો, પણ ત્રીજી લહેરમાં સમયના નિયંત્રણોમાં કંપનીઓ અનુભવી રહી છે કે ગ્રાહકો વધુ સાવધ વલણ લઈ રહ્યા છે. અદાણી વિલ્મેરની બ્રાન્ડ ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળના ખાદ્ય તેલમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં 15 ટકાનો વધારો થયો હતો, એમ અધિકારીએ કહ્યું હતું.