ક્રિપ્ટોને ભારતમાં-કરન્સી નહીં, કદાચ સંપત્તિ-તરીકે માન્યતા અપાશે

મુંબઈઃ ભારત સરકાર ક્રિપ્ટોકરન્સીને સત્તાવાર ચલણ તરીકે નહીં, પરંતુ એસેટ (સંપત્તિ)ના રૂપમાં ઉપયોગમાં લેવાની કદાચ ટૂંક સમયમાં પરવાનગી આપશે એવો એક અહેવાલ છે. જો એમ થશે તો તે ભારત દ્વારા ક્રિપ્ટોકરન્સીનું પહેલું વિધિવત્ નિયમન બનશે. ક્રિપ્ટોકરન્સી નિયમનો અંગેનો મુસદ્દા ખરડો સંસદના આગામી શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવે એવી ધારણા રખાય છે.

આવો નિર્ણય લેવા લેવા પાછળ સરકારનો ઉદ્દેશ્ય એ છે કે દેશમાં લોકો શેર, સોનું કે બોન્ડ જેવી ચીજવસ્તુઓ ક્રિપ્ટોકરન્સીઓમાં ખરીદી અને વેચી શકે. ક્રિપ્ટો ઈન્વેસ્ટરો માટે સુરક્ષિત વેપાર વાતાવરણનું નિર્માણ કરી આપવા માટે સરકાર દેશમાં ક્રિપ્ટો એક્સચેન્જીસ માટે માર્ગદર્શિકા તેમજ નવું કરવેરા માળખું ઘડે એવી પણ શક્યતા છે.