ઝી-સોનીના વિલયને બોર્ડની મંજૂરીઃ સોનીનો હિસ્સો 50.86 ટકા

નવી દિલ્હીઃ ઝી એન્ટરટેઇનમેન્ટ લિ.ના ડિરેક્ટર બોર્ડે આજે 22 ડિસેમ્બરે સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (SPNI)ની સાથે વિલીનીકરણને મંજૂરી આપી છે. બોર્ડે કહ્યું હતું કે સોનીનો 50.86 ટકા હિસ્સો હશે, જ્યારે હાલની હોલ્ડિંગ કંપની એસ્સેલનો હિસ્સો 3.99 ટકા હશે. વળી, ડિફિનિશિયેવ એગ્રીમેન્ટ મુજબ પબ્લિક શેરહોલ્ડિંગ 45.15 ટકા રહેશે. આ વિલીનીકરણ બાદ બનેલી કંપનીના MD અને CEO પુનિત ગોએન્કા જ રહેશે. નવી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિયુક્તિ સોની ગ્રુપ કરશે અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયાના MD અને  CEO એન. પી. સિંહ પણ સામેલ થશે.આ વિલીનીકરણની પ્રક્રિયા પૂરી થયા પછી નવી કંપનીને શેરબજારમાં લિસ્ટ કરાવવામાં આવશે. ઝીના બોર્ડે 90 દિવસોના ડ્યુ ડિલિજન્સ પૂરું થયા પછી આ સોદાને મંજૂરી આપી હતી.

સપ્ટેમ્બરમાં ઝીએ ઘોષણા કરી હતી કે બોર્ડે સંવસંમતિથી સોની પિક્ચર્સ નેટવર્કસ ઇન્ડિયા સાથે વિલીનીકરણને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એ વખતે SPNI પાસે હાલના શેરહોલ્ડરો અને ઝીના પ્રમોટરો દ્વારા રોકાણ સહિત સોદાની નજીક આશરે 1.5 અબજ ડોલરની રોકડ હતી. આ મર્જરને લીધે બંને કંપનીઓ વચ્ચે તાલમેલ વધસે, જેનાતી બિઝનેસ અને સેક્ટરમાં તેજી આવશે.આ મર્જરથી દેશમાં 26 ટકા દર્શકોના હિસ્સા સાથે સૌથી મોટું મનોરંજન નેટવર્ક તૈયાર થશે. હિન્દી ફિલ્મોમાં ઝી અને સોની ચેનલના દર્શકોની સંખ્યા 63 ટકા થશે.

આ સોદાને કારણે ઝી પર ટોચના શેરહોલ્ડરોના દબાણમાં ઘટાડો થશે, કેમ કે તેમણે કંપનીના મેનેજમેન્ટમાં ફેરબદલની માગ કરી હતી. આ માગમાં CEO પુનિત ગોએન્કાને દૂર કરવાની માગ પણ સામેલ હતી.