નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલગામ આતંકવાદી હુમલા બાદ તણાવ ચરમસીમા પર છે અને બંને દેશોએ એકબીજા વિરુદ્ધ કડક પગલાં ભર્યા છે. આવા સંવેદનશીલ માહોલ વચ્ચે પંજાબ સરહદેથી BSFનો એક જવાન ભૂલથી પાકિસ્તાનની સરહદમાં પ્રવેશી ગયો હતો, જેને પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
આ ઘટના બુધવારે (૨૩ એપ્રિલ, ૨૦૨૫) ફિરોઝપુર સરહદ નજીક બની હતી. ૧૮૨મી બટાલિયનના કોન્સ્ટેબલ પી.કે. સિંહ પેટ્રોલિંગ દરમિયાન આકસ્મિક રીતે સરહદ પાર કરીને પાકિસ્તાનની હદમાં પ્રવેશી ગયો હતો, જ્યાં પાકિસ્તાની રેન્જર્સે તેમની અટકાયત કરી લીધી હતી.
એક અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે જવાન યુનિફોર્મમાં હતો અને તેની પાસે તેની સર્વિસ રાઈફલ પણ હતી. તેમણે કહ્યું હતું કે BSF જવાન ખેડૂતોની સાથે ફરજ પર હતો અને થોડો આગળ છાંયડામાં આરામ કરવા માટે ગયો, ત્યારે તે દરમિયાન તેને પાકિસ્તાની રેન્જર્સે પકડી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ BSF દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એ જવાનને પરત લાવવા માટે બંને દેશોની સેના વચ્ચે ફ્લેગ મીટિંગ ચાલી રહી છે. અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે જવાનને ટૂંક સમયમાં મુક્ત કરી દેવામાં આવશે.
અધિકારીએ એ પણ સ્વીકાર્યું કે સરહદ પર આ પ્રકારની ઘટનાઓ અસામાન્ય નથી અને ભૂતકાળમાં પણ બંને પક્ષોના સૈનિકો આકસ્મિક રીતે સરહદ પાર કરી ગયા હોય અને પરત સોંપવામાં આવ્યા હોય તેવા કિસ્સા બન્યા છે. આશા છે કે બંને દેશોના સૈન્ય વચ્ચે ચાલી રહેલી વાતચીત સફળ થશે અને ભારતીય જવાન સુરક્ષિત રીતે પોતાના દેશમાં પરત ફરી શકશે.
