ચેન્નઈ-મુંબઈ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

મુંબઈ: ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટને લઈને મોટી માહિતી સામે આવી છે. શનિવારે સવારે મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બ હોવાની ધમકી મળી હતી. ફ્લાઇટે સવારે લગભગ 7 વાગ્યે ચેન્નાઈથી ઉડાન ભરી હતી. તે સવારે પોણા નવ વાગ્યાની આસપાસ મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ. એરપોર્ટ અધિકારીઓ તરત જ એક્શનમાં આવી ગયા. તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. હાલ સમગ્ર વિમાનની શોધખોળ ચાલી રહી છે.

રિપોર્ટ્સ અનુસાર પ્લેનમાં 172 લોકો સવાર હતા

પ્લેનને સુમસાન જગ્યાએ લઈ જવામાં આવ્યું
ઈન્ડિગોએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ચેન્નાઈથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 5314ને બોમ્બની ધમકી મળી છે. મુંબઈમાં લેન્ડિંગ વખતે ક્રૂએ પ્રોટોકોલનું પાલન કર્યું હતું. સુરક્ષા એજન્સીની સૂચના પર પ્લેનને સુમસાન જગ્યાએ લઈ જવામાં આવ્યું હતું. તમામ મુસાફરો વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા છે. હાલ પ્લેનની શોધ ચાલી રહી છે. તમામ સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ એરક્રાફ્ટને ટર્મિનલ વિસ્તારમાં પરત લાવવામાં આવશે.

થોડા દિવસોમાં ત્રીજી ધમકી
તમને જણાવી દઈએ કે, હાલના સમયમાં કોઈપણ ફ્લાઈટ પર આ ત્રીજો ખતરો છે. આ પહેલા દિલ્હીથી બનારસ જતી ફ્લાઈટને પણ આવી જ ધમકી મળી હતી. આવો જ એક કિસ્સો દિલ્હીથી શ્રીનગરની ફ્લાઈટમાં સામે આવ્યો છે. હવે શનિવારે ચેન્નાઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આ પ્રકારની નોટ મળી આવી હતી. સુરક્ષા એજન્સીઓએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.