બીજી T20 પહેલા ટીમ ઇન્ડિયામાં ફેરફાર, સંજુ સેમસન સિરીઝમાંથી બહાર

ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી T20 શ્રેણી વચ્ચે એક મોટું અપડેટ સામે આવ્યું છે. છેલ્લી બે T20 મેચ માટે ટીમ ઈન્ડિયામાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાની ટીમમાં વિકેટ કીપર બેટ્સમેન જીતેશ શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે, તે ટીમમાં સંજુ સેમસનનું સ્થાન લેશે. પીટીઆઈએ બુધવારે રાત્રે આ માહિતી આપી હતી.

વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન મુંબઈમાં પ્રથમ T20 મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. સંજુ સેમસનને કેચ પકડતી વખતે ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તે ટીમ ઈન્ડિયા સાથે પૂણે જઈ શક્યો નહોતો. બીજી T20ના 24 કલાક પહેલા જ ટીમ ઈન્ડિયામાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. બીજી T20 મેચ ગુરુવારે એટલે કે 5 જાન્યુઆરીએ પુણેમાં રમાશે.

કોણ છે જીતેશ શર્મા?

મહારાષ્ટ્રથી આવે છે, 29 વર્ષીય જીતેશ શર્મા રણજી ટ્રોફીમાં વિદર્ભ માટે રમે છે, સાથે જ તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પંજાબ કિંગ્સ માટે શાનદાર બેટિંગ કરી છે. હવે તેને ટીમ ઈન્ડિયા માટે કોલ આવ્યો છે. ફિનિશર તરીકે, તેણે તાજેતરના ભૂતકાળમાં ઘણો સુધારો કર્યો છે અને જો તેને પ્લેઈંગ-11માં સ્થાન મળે છે, તો તે ટીમ ઈન્ડિયા માટે આ ભૂમિકા માટે યોગ્ય સાબિત થઈ શકે છે.

સંજુ સેમસન પ્રથમ T20 મેચમાં નિષ્ફળ રહ્યો હતો અને માત્ર 5 રન જ બનાવી શક્યો હતો. જીતેશ શર્માના રેકોર્ડ પર નજર કરીએ તો તેણે 47 લિસ્ટ A મેચમાં 1350 રન બનાવ્યા છે, જ્યારે 76 T20 મેચમાં 1787 રન બનાવ્યા છે.

T20 શ્રેણી માટે ભારતની ટીમઃ

હાર્દિક પંડ્યા (c), ઈશાન કિશન (wk), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (vc), દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ , હર્ષલ પટેલ , ઉમરાન મલિક , શિવમ માવી , મુકેશ કુમાર.

ભારત-શ્રીલંકા T20 શ્રેણી

1લી T20: ભારત 2 રને જીત્યું

બીજી T20: 5 જાન્યુઆરી, પુણે

ત્રીજી T20: 7 જાન્યુઆરી, રાજકોટ