ટ્રોલિંગની વચ્ચે શશિ થરૂરે કોંગ્રેસને આડે હાથ લીધી

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર’ અંગે ભાજપના નેતૃત્ત્વવાળી કેન્દ્ર સરકારને સમર્થન આપવાના કારણે પોતાની પાર્ટી તરફથી ટીકા સહન કરનાર કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ગુરુવારે પોતાના ટીકાકારોએ તેમના વિચારોને “તોડીમરોડીને રજૂ કરવાનો આરોપ મૂક્યો હતો.

થરૂરે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે માત્ર આતંકવાદી હુમલાઓના પ્રતિશોધ વિશે વાત કરી હતી, ભૂતકાળનાં યુદ્ધો વિશે નહીં. તેમણે કહ્યું હતું  કે પનામામાં એક લાંબા અને સફળ દિવસ પછી મને અડધી રાત્રે કામ પૂરું કરવું છે, જ્યાંથી છ કલાક પછી મને કોલંબિયાના બોગોટા માટે રવાના થવું છે, તેથી મારી પાસે આ માટે સમય નથી, પરંતુ જે લોકો ભૂતકાળમાં નિયંત્રણ રેખા પાર ભારતીય શૌર્ય અંગે મારી કથિત અજ્ઞાનતા માટે ચીસો પાડી રહ્યા છે, તેમના માટે હું સ્પષ્ટ કરું છું કે હું માત્ર આતંકવાદી હુમલાઓના પ્રતિશોધ અંગે બોલી રહ્યો હતો, મેં કોઈ યુદ્ધોની ચર્ચા નથી કરી.

તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે મારી ટિપ્પણી પહેલાં છેલ્લાં કેટલાંય વર્ષોમાં થયેલા અનેક હુમલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય પ્રતિક્રિયા નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા પ્રત્યે આપણા જવાબદાર સન્માનને કારણે મર્યાદિત અને સંયમિત રહ્યા હતા.

ટ્રોલ્સને આવકારતાં થરૂરે કહ્યું હતું કે  હંમેશની જેમ ટીકાકારો અને ટ્રોલ્સને મારા વિચારો અને શબ્દોને વિકૃત કરવા આપનું સ્વાગત છે, જેમ તેઓ યોગ્ય સમજે. મારી પાસે ખરેખર વધુ મહત્વપૂર્ણ કામ છે. શુભ રાત્રિ.”

આ પહેલાંના નિવેદનમાં કોંગ્રેસના નેતા ઉદિત રાજે પોતાના સહકાર્યકર પર આક્રમણ વધુ તીવ્ર બનાવતાં કહ્યું હતું કે થરૂરે પાર્ટીની છબિ બગાડવાનો પ્રયાસ કર્યો છે. શું શશિ થરૂરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ, ત્યારે રાજે કહ્યું, “આ નિર્ણય કાર્યકારિણી, રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાહુલ ગાંધી પર નિર્ભર છે. જો તેઓ ખોટું નિવેદન આપે છે અને કોંગ્રેસના ઇતિહાસને ભુલાવવા પ્રયત્ન કરે છે, તો હું કોંગ્રેસની સાથે ઊભો છું. હું વ્યક્તિગત લાભની ચિંતા કરતો નથી, હું ત્યાગ કરવા તૈયાર છું.

ઉદિત રાજે દાવો કર્યો હતો કે થરૂર વડા પ્રધાન મોદીની “ખોટી સર્જિકલ સ્ટ્રાઇક”નું મહિમા ગાન કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે તેમણે (થરૂરે) એવું કહીને કોંગ્રેસને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે કે પાર્ટીએ કશું કર્યું જ નથી. તમે વડા પ્રધાન મોદીની ખોટી સર્જિકલ સ્ટ્રાઇકનું મહિમા ગાન કરી રહ્યા છો.