AMCએ SG હાઈવે પરની 12 દુકાનો કરી સીલ

અમદાવાદઃ શહેરમાં SG હાઈવે પર આવેલી 12 દુકાનોને તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી છે. કર્ણાવતી ક્લબ સામે SG હાઈવે પર આવેલ ઇસ્કોન ગાંઠિયા, કર્ણાવતી સ્નેકસ, રજવાડી ચા, ગાત્રાળ ટી સ્ટોલ અને ગજાનંદ પૌંઆ હાઉસ સહિત 12 દુકાનોને પશ્ચિમ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા સીલ કરવામાં આવી છે. આ દુકાનોના આગળ ગ્રાહકો પાર્કિગ કરતાં હોવાથી જાહેર જનતાને અવરજવર માટે અડચણ થઈ રહી હતી.

પશ્ચિમ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા આ દુકાનાનો માલિકોને નોટિસ પણ આપવામાં આવી હતી. અહીં દુકાને આવતા મુલાકાતીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે લેખિતમાં અને મૌખિક વારંવાર સૂચનાઓ આપવામાં આવી હતી, તેમ છતાં વાહનોના પાર્કિંગ માટે દુકાનમાલિકો દ્વારા આપેલી બાંયધરી મુજબ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. જેથી વાહનોને ટ્રાફિકમાં સરળતા રહે તે હેતુસર અહીંની કુલ 12 દુકાનોને સીલ કરવામાં આવી છે. પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ માલિકોએ નોટિસ પર ખાસ ધ્યાન આપ્યું નહોતું જેના કારણે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

કોર્પોરેશને સીલ કરેલી દુકાનોમાં કોઈએ પ્રવેશ કરવો કરવો નહીં તેવું ચોખ્ખા શબ્દોમાં લખવામાં આવ્યું છે. જોકે આ હુકમની અવગણના કરવામાં આવશે તો તેની જવાબદારી જેતે માલિકની રહેશે અને તેની સામે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 પ્રમાણે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. તેનો અર્થ એ છે કે જો દુકાનો ફરી ચાલુ કરવી હોય તો પહેલા પાર્કિંગ માટે વ્યવસ્થા કરવાની રહેશે.