એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI114 ને બોમ્બ ધમકી મળી છે. 21 જૂને વિમાન બર્મિંગહામથી દિલ્હી આવી રહ્યું હતું. ધમકીની જાણ થતાં જ વિમાનને રિયાધ તરફ વાળવામાં આવ્યું હતું. રિયાધમાં, બધા મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા અને સુરક્ષા તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. મુસાફરો માટે હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એર ઇન્ડિયાના પ્રવક્તાએ આ અંગે માહિતી આપતા એક નિવેદન બહાર પાડ્યું હતું.

એર ઇન્ડિયાએ કહ્યું કે આ અણધાર્યા વિક્ષેપને કારણે મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમને દિલગીર છીએ. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એર ઇન્ડિયા સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટના ટોઇલેટ પાસે એક કાગળ મળી આવ્યો હતો જેમાં બોમ્બ ધમકી આપવામાં આવી હતી. આ ફ્લાઇટ બોઇંગ ડ્રીમલાઇનર 787-8 હતી. ફ્લાઇટ આજે સવારે 11 વાગ્યે દિલ્હીમાં ઉતરવાની હતી.

જયપુરમાં AIના વિમાનને બોમ્બ ધમકી

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાના વિમાનોની સુરક્ષા અને તપાસ વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત, તેને સતત બોમ્બ ધમકીઓનો પણ સામનો કરવો પડ્યો છે. થોડા દિવસો પહેલા જયપુર એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાનોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. વાસ્તવમાં, આ ધમકીભર્યો સંદેશ વોટ્સએપ પર મોકલવામાં આવ્યો હતો. આના થોડા દિવસો પહેલા પણ કંઈક આવું જ બન્યું હતું.