કહેવત છે ને ‘રામ રાખે તેને કોણ ચાખે’. વિમાન દુર્ઘટનાની પીડા વચ્ચે બે લોકો એવા છે, જે આપણને આ કહેવતની યાદ અપાવે છે. એક, રમેશ વિશ્વાસ કુમાર, જેનો આ કરુણ ઘટનામાં ચમત્કારિક બચાવ થયો અને બીજા, ભૂમિ ચૌહાણ, જે એરપોર્ટ પર મોડા પડ્યા ને ફ્લાઈટ જ ન પકડી શક્યા.
આપણે વાત કરીએ ભરુચના ભૂમિ ચૌહાણની. ભૂમિ પણ આ ફ્લાઈટમાં સવાર હોત, જો તે એરપોર્ટ પર 10 મિનિટ મોડા ન પહોંચ્યા હોત. પણ, આ વિલંબ ભૂમિ માટે વરદાન સાબિત થયો. તેણી અમદાવાદથી લંડન જતી આ ફ્લાઇટમાં જવાના હતા. પરંતુ ટ્રાફિક જામને કારણે તે સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સમયસર પહોંચી શક્યા નહીં. તેની ફ્લાઇટનો સમય બપોરે 1:10 વાગ્યાનો હતો અને તેને 12:10 વાગ્યા પહેલા એરપોર્ટ પહોંચવાનું હતું. રસ્તામાં ઘણો ટ્રાફિક હોવાથી એરપોર્ટ પર ભૂમિ પહોંચ્યા ત્યારે 12:20 થઈ ગયા હતા.
એરપોર્ટ પર સમયસર ન પહોંચવાને કારણે ભૂમિ ચેક-ઈન કરી શક્યા નહીં અને સુરક્ષા કર્મચારીઓએ તેણી પરત જવાનું કહ્યું. માત્ર 10 મિનિટને કારણે તેણી ફ્લાઇટ ચૂકી ગઈ. સ્વાભાવિક છે આવી સ્થિતિમાં આપણે પહેલા આપણી જાતને કોસીએ અને મનમાં વિચારોનું વંટોળ શરૂ થઈ જાય. એમ જ, ભૂમિને પણ શરૂઆતમાં થયું કે જો હું થોડી વહેલી આવી હોત તો કોઈ નુકસાન ન થાત. મોડી ન પહોંચી હોત ફ્લાઇટ પકડી શકી હોત વગેરે. પણ બાદમાં તેણીને લાગ્યુ કે તે જે કંઈ થયું તે સારા માટે હતું.
મનમાં ચાલતાં અનેક વિચારો સાથે ભૂમિ એરપોર્ટથી ઘરે પરત ફરવા રવાના થયા અને રસ્તામાં તેને ખબર પડી કે તે જે ફ્લાઇટમાં ચઢવાના હતા તે ક્રેશ થઈ ગઈ છે. આ સાંભળી તે ખરેખર ધ્રૂજી ઉઠ્યા અને અચંબિત થઈ ગયા. તે કંઈ પણ બોલી શકે એવી સ્થિતિમાં નહોતા. તેણીને લાગ્યું કે તેના કોઈ સારા કર્મોને કારણે ફ્લાઇટ ચૂકી ગયા…પરંતુ અન્ય લોકો સાથે જે બન્યું તે ખૂબ જ ભયાનક ઘટના છે.
ચિત્રલેખા ડૉટ કૉમે ભૂમિ ચૌહાણ સાથે વાત કરી હતી. ભૂમિએ કહ્યું કે ‘હું અત્યારે આના વિશે કંઈ પણ વધારે બોલી શકું તેવી સ્થિતિમાં નથી.’ આ ઘટનામાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. ભૂમિએ ઘટનાનો ભોગ બનેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો અને પ્રાર્થના કરી.
નોંધનીય છે કે લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી બપોરે લગભગ 1.38 વાગ્યે ઉડાન ભરી અને થોડીવાર પછી એરપોર્ટ નજીક મેઘાણીનગરમાં ક્રેશ થઈ. ફ્લાઈટમાં 242 મુસાફો સવાર હતાં. જેમાંથી રમેશ વિશ્વાસ કુમારનો ચમત્કારિક બચાવ થયો અને બાકીના 241 મુસાફરો રાખ થઈ ગયા. ફ્લાઈટ ચૂકી જવાથી ભરૂચના ભૂમિ ચૌહાણનો પણ જીવ બચી ગયો.
(નિરાલી કાલાણી, મુંબઈ)
