અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત: 5 PI, 3 DCP, JCP, CP તપાસમાં જોડાયા

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 160ની સ્પીડે બેફામ કાર ચલાવનાર નબીરા તથ્ય પટેલે એકસાથે 9 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ભયાનક અકસ્માતને પગલે આખું અમદાવાદ ધ્રુજી ઉઠ્યું છે. આ દરમિયાન હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે. આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ આજના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. તેઓ સોલા સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની ખબર-અંતર પૂછવા પહોંચ્યા છે.

હર્ષ સંઘવીએ આ કેસને લઈની ઝડપી તપાસ કરાવવાની બાહેધરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કેસની CP, JCP, 3 DCP, અને 5 PI તપાસ કરશે. આજ સાંજ પહેલા જ RTOનો રિપોર્ટ મળી જશે, આવતીકાલે સાંજ પહેલા પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવી જશે. આવતીકાલ રાત પહેલા FSLનો રિપોર્ટ આવી જશે. આ કેસમાં એક અઠવાડિયાની અંદર ચાર્જશીટ પૂર્ણ કરવામાં આવશે. આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટની અંદર ચલાવવામાં આવશે. જેથી કરીને કોઈ નબીરાઓ ભવિષ્યમાં આવી હિંમત ન કરે.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ બંને બાપ-દીકરાને કાયદાનું ભાન પડે તે પ્રકારની કામગીરી અમદાવાદ પોલીસ દ્વારા કરવમાં આવશે. વકીલના નિવેદન લઈને તેમણે કહ્યું કે, મને દુઃખ છે કે આ વ્યક્તિ પાસે વકીલની ડિગ્રી છે, વકીલની ડિગ્રી હોવા છતાં માનવતા નેવે મૂકી છે.

કેવી રીતે સર્જાયો અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત?

  • સ્કોન બ્રિજ પર ડમ્પર અને થાર કાર વચ્ચે અકસ્માત થયો હતો
  • અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા
  • અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી
  • અકસ્માતના થોડા સમય બાદ લક્ઝ્યુરિયસ કાર પૂર ઝડપી નીકળી
  • લક્ઝ્યુરિયસ કાર ચાલકે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા
  • 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચલાવી હતી
  • લક્ઝ્યુરિયસ કાર ચાલક અડફેટે લેતા પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ થયા
  • તથ્ય પટેલ નામના શખ્સે અકસ્માત સર્જ્યો હોવાની માહિતી મળી