અમદાવાદે ફરી એકવાર વિશ્વના નકશા પર પોતાનું વિશેષ સ્થાન સ્થાપિત કર્યું છે. પ્રથમ વિશ્વ ધ્યાન દિવસે બ્રહ્માકુમારીઝ સંસ્થાના આયોજન હેઠળ અમદાવાદ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે 60,000થી વધુ લોકોએ એકસાથે સામૂહિક રાજયોગ ધ્યાન કરી એક ઐતિહાસિક વિશ્વ રેકોર્ડ રચ્યો. “શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ” નામે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં સમગ્ર મેદાન પ્રકાશ, રંગો અને આધ્યાત્મિક ઉર્જાથી ઝળહળી ઉઠ્યું હતું અને વૈશ્વિક શાંતિ માટે શક્તિશાળી સંકલ્પ વ્યક્ત થયો હતો.

આ કાર્યક્રમ બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનની હીરક જયંતી એટલે કે 60 વર્ષની ઈશ્વરીય સેવાઓના અવસર પર આયોજિત કરવામાં આવ્યો હતો. ગુજરાત ઉપરાંત ભારતના વિવિધ રાજ્યો તેમજ 15થી વધુ દેશોમાંથી 2000થી વધુ પ્રતિનિધિઓએ આ સમારોહમાં ભાગ લીધો હતો. સાંજે ચારથી રાતે આઠ વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા 100થી વધુ કલાકારોએ ગીત, સંગીત, નૃત્ય અને કલા દ્વારા આધ્યાત્મિક રજૂઆત કરી હતી.
60,000થી વધુ લોકોની વિશાળ હાજરી હોવા છતાં સમગ્ર વાતાવરણ શાંતિ અને સૌમ્યતાથી ભરેલું હતું. સફેદ વસ્ત્રોમાં ઉપસ્થિત યોગી ભાઈ-બહેનો જાણે દેવદૂતો સમાન લાગતા હતા. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એ હતું કે હજારો લોકોએ લાંબા સમયથી રાજયોગ ધ્યાનને પોતાના જીવનનો ભાગ બનાવી સકારાત્મક પરિવર્તન અનુભવ્યો હોવાનું જણાવ્યું. સાત મૂલ્યો આધારિત સપ્તરંગી થીમ સાથે થયેલી રજૂઆતોને જોઈને ઉપસ્થિત સૌ કોઈએ આત્મિક આનંદ અને ધન્યતાનો અનુભવ કર્યો.

સમારોહ દરમિયાન 60 તપસ્વી રાજયોગીની બહેનોએ કમળ આસન પર બેસી ગહન ધ્યાન ધારણ કર્યું, જેના કારણે સમગ્ર વાતાવરણ અત્યંત પવિત્ર બની ગયું. ઉપસ્થિત લોકોએ મનની શાંતિ, આંતરિક સંતુલન અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કર્યો.
આ ઐતિહાસિક પ્રસંગે બ્રહ્માકુમારીઝની અધિક મુખ્ય પ્રશાસિકા રાજયોગીની બી.કે. જયંતી દીદી, મહામંત્રી બી.કે. કરુણા ભાઈ, અધિક મહામંત્રી બી.કે. મૃત્યુંજય ભાઈ, ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતી દીદી, આફ્રિકાના ડાયરેક્ટર વેદાંતી દીદી, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નીરજા ગુપ્તા અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જે.એસ. મલિક સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. માઉન્ટ આબુ મુખ્યાલયમાંથી પણ મોટી સંખ્યામાં યોગી ભાઈ-બહેનોએ ખાસ હાજરી આપી હતી.

આ પ્રસંગે રાજયોગીની જયંતી દીદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે યોગ અને ધ્યાન માનવ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે અને મન, બુદ્ધિ તથા આત્મા વચ્ચે સંતુલન સ્થાપે છે. આજના અશાંતિભર્યા સમયમાં માનવ મનને શાંતિ તરફ દોરવાનો આ દિવ્ય પ્રયાસ છે. રાજયોગ મેડિટેશન જીવનને સુખ, શાંતિ અને આનંદથી ભરપૂર બનાવે છે અને આધ્યાત્મિકતા જીવનને વધુ સરળ તથા સફળ બનાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે બ્રહ્માકુમારીઝ સંસ્થાએ વિશ્વના 140 દેશોમાં ભારતની શાશ્વત સંસ્કૃતિ અને જીવનશૈલીનો સંદેશ પહોંચાડ્યો છે.
સમારોહ દરમિયાન બ્રહ્માકુમારીઝ ગુજરાતની 60 વર્ષની ઈશ્વરીય સેવાઓની ઝલક દર્શાવતી વિશેષ રજૂઆત અને પ્રતિષ્ઠિત મહાનુભાવોના શુભેચ્છા સંદેશાઓના વિડિયો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા. કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા લાખો લોકો ઘરમાં બેઠા સામૂહિક ધ્યાન સાથે જોડાયા. આ ઐતિહાસિક “શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ”એ ઘર, પરિવાર, સમાજ, દેશ અને વિશ્વ શાંતિ માટે એક મજબૂત આધ્યાત્મિક સંદેશ આપ્યો અને દરેકના હૃદયમાં શાંતિની દિવ્ય અનુભૂતિ જગાવી.
ઉલ્લેખનીય છે કે બ્રહ્માકુમારીઝ સંસ્થા વિશ્વની એકમાત્ર એવી સંસ્થા છે જેનું સંચાલન બહેનો દ્વારા કરવામાં આવે છે અને આજે વિશ્વના 140 દેશોમાં 8,000થી વધુ સેવાકેન્દ્રો દ્વારા રાજયોગ ધ્યાન અને આધ્યાત્મિક જ્ઞાનની સેવા અવિરત રીતે ચાલી રહી છે.


