અદાણી જૂથે હાઇડ્રોજન સંચાલિત ભારતની પ્રથમ ટ્રક લોન્ચ કરી

રાયપુરઃ અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ભારતની સૌપ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલથી ચાલતી ટ્રકને આજે કાર્યાન્વિત કરી હતી. હાઇડ્રોજન સંચાલિત આ ટ્રકો ધીમે-ધીમે કંપનીની માલ પરિવહન કામગીરીમાં ઉપયોગમાં લેવાતાં ડીઝલ વાહનોનું સ્થાન લેશે.

ભારતીય અને આંતરરાષ્ટ્રીય એનર્જી ટેકનોલોજી ફર્મ અને મોટા વાહન ઉત્પાદકના સહયોગમાં અદાણી માલ પરિવહન માટે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બેટરીથી ચાલતી ટ્રક્સ વિકસાવી રહી છે. ચપળ ટેકનોલોજી અને ત્રણ હાઇડ્રોજન ટાંકીથી સજ્જ પ્રત્યેક ટ્રક બસો કિલોમીટરની રેન્જમાં 40 ટન કાર્ગો વહન કરી શકે છે.

છત્તીસગઢના CM વિષ્ણુ દેઓ સાંઇએ 10 મેએ રાયપુરમાં પ્રથમ ટ્રકને લીલી ઝંડી આપી હતી. આ ટ્રકનો ઉપયોગ ગેરે પેલ્મા III બ્લોકથી રાજ્યના વીજ પ્લાન્ટમાં કોલસાનું પરિવહન કરવા માટે કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રકનું આ લોકાર્પણ રાજ્યની ટકાઉપણું પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રકારની પહેલ આપણા વાતાવરણમાં કાર્બનના પ્રભાવને નોંધપાત્ર રીતે ઘટાડશે અને ઉદ્યોગ માટે એક નવું ધોરણ નક્કી કરશે. છત્તીસગઢ દેશની વીજમાગને પહોંચી વળવા માટે ફક્ત મોખરે જ નહી, પરંતુ ટકાઉ આયામોને અપનાવવાની દ્રષ્ટાંતરૂપ આગેવાની પણ કરે છે.

રાજ્યની માલિકીની છત્તીસગઢ રાજ્ય પાવર જનરેશન કંપની લિમિટેડે સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા ગેરે પેલ્મા III બ્લોક માટે ખાણ વિકાસકાર અને ઓપરેટર તરીકે અદાણી એન્ટરપ્રાઇઝની નિમણૂક કરી છે.

અદાણી નેચરલ રિસોર્સિસના CEO અને અદાણી એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર ડો. વિનય પ્રકાશે જણાવ્યું હતું કે  હાઇડ્રોજન સંચાલિત ટ્રક્સની પહેલ એ અદાણી સમૂહની ડિકાર્બોનાઇઝેશન અને જવાબદાર ખનન કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા તરફનું એક નોંધપાત્ર કદમ છે. અમે વૃક્ષોને સ્થાનાંતરિત કરવા માટે સ્વાયત્ત ડોઝર પુશ ટેક્નોલોજીઓ, સૌર ઊર્જા, ડિજિટલ પહેલો અને વૃક્ષ ટ્રાન્સપ્લાન્ટર્સનો સમાવેશ કરીને પર્યાવરણની વિપરીત અસરોને ન્યૂનતમ રાખવા માટે મોડેલ માઇન્સ બનાવી રહ્યાં છીએ. ટકાઉ ખાણકામ પ્રથાઓમાં નવાં ધોરણોની પહેલ કરતી વેળા અમે બધા માટે સસ્તી અને વિશ્વસનીય વીજળી સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ પ્રકલ્પ અદાણી નેચરલ રિસોર્સિસ (ANR) અને અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિ. (ANIL) વચ્ચેનો સંયુક્ત પ્રયાસ છે, બંને અદાણી એન્ટરપ્રાઇઝીસના અંગ છે. અદાણી નેચરલ રિસોર્સિસ અનિલ પાસેથી હાઇડ્રોજન કોષો મેળવશે, જે હરિત હાઇડ્રોજન, વિન્ડ ટર્બાઇન, સોલર મોડ્યુલો અને બેટરી મેન્યુફેક્ચરિંગમાં પણ સંકળાયેલા છે. સૌથી પુષ્કળ પ્રમાણનું તત્ત્વ હાઇડ્રોજન કોઈ હાનિકારક ઉત્સર્જન પેદા કરતું નથી. હાઇડ્રોજન ફ્યુઅલ સેલ સંચાલિત વાહનો ડીઝલ ટ્રકની શ્રેણી અને લોડ ક્ષમતા સાથે બંધ બેસે છે અને ઓછામાં ઓછો ઘોંઘાટ સાથે તે માત્ર પાણીની વરાળ અને ગરમ હવા ફેંકે છે.

​ખાણ ખનીજની કામગીરીમાં મુખ્યત્વે ડીઝલ સંચાલિત મશીનરીનો ઉપયોગ થાય છે, તેથી સ્વચ્છ ઇંધણ સ્વીકારવાથી ઉત્સર્જન અને અવાજનું પ્રદૂષણ ઘટશે તે સાથે ભારતની ક્રૂડ તેલની આયાત અને કાર્બનનો પ્રભાવ ઘટાડવામાં પણ મદદ કરશે. એશિયાભરમાં અદાણી નેચરલ રિસોર્સિસ ડોઝરને સલામતી અને ટકાઉપણું બંનેને વેગ આપનાર પ્રથમ છે.