ગુજરાત ચૂંટણી માટે આપ પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. બીજેપી શાસિત ગુજરાતમાં આમ આદમી પાર્ટી સત્તા કબજે કરવા માટે સખત પ્રયાસ કરી રહી છે. આપ પાર્ટીએ મંગળવારે 20 સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડવામાં આવી છે, જેઓ આ ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર કરશે અને જનતા પાસેથી વોટ માંગશે. આ યાદીમાં ઘણા મોટા નામ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન. આ સિવાય AAP સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢાના નામ પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે. આ યાદીમાં સૌથી રસપ્રદ નામ હરભજન સિંહનું છે. ક્રિકેટરથી રાજ્યસભાના સાંસદ બનેલા હરભજન સિંહ પણ ગુજરાત ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી માટે પ્રચાર કરતા જોવા મળશે.

ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાના નામ સામેલ

આ બધા સિવાય AAPના મુખ્યમંત્રી ઉમેદવાર ઇસુદાન ગઢવી અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના નામ પણ આ યાદીમાં સામેલ છે. આ ઉપરાંત અલ્પેશ કથીરિયા, યુવરાજ જાડેજા, મનોજ સોરઠીયા, જગમાલ વાલા, રાજુ સોલંકી, પ્રવીણ રામ, ગૌરી દેસાઈ, માથુર બલદાણીયા, અજીત લોખીલ, રાકેશ હીરાપરા, બિજેન્દ્ર કૌર, અનમોલ ગગન માનના નામ પણ આ યાદીમાં છે.

ઇસુદાન ગઢવીને પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા

આમ આદમી પાર્ટીએ 4 નવેમ્બરે ઇસુદાન ગઢવીને પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા હતા. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવા માટે લોકો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા હતા અને આ સૂચનના આધારે ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવામાં આવ્યા છે.

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે

દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે 29 ઓક્ટોબરે એક અભિયાન શરૂ કર્યું હતું અને લોકોને પૂછ્યું હતું કે તેઓ કોને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે. આ પહેલા પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પણ AAPએ સર્વે કર્યો હતો. જેમાં ભગવંત માન લોકપ્રિય ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. ચૂંટણી પછી ભગવંત માન સીએમ પણ બન્યા. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે.