કવિ ઉમાશંકર જોશીના જન્મ દિવસ નિમિત્તે કાંદિવલીમાં રસપ્રદ કાર્યક્રમનું આયોજન

મુંબઈ: ગુજરાતી ભાષાનાં સુપ્રસિદ્ધ સાહિત્યકાર-કવિ ઉમાશંકર જોશીના 114માં જન્મ દિવસ નિમિત્તે એક કાર્યક્રમમનું આયોજન કરવામાં આવ્યું છે. કાંદિવલી ઍજ્યુકેશન સોસાયટી (કેઈએસ) સંચાલિત ગુજરાતી ભાષા ભવને ઉમાશંકર જોશીના જન્મ દિવસની ભવ્ય ઉજવણીનું આગામી 20 જુલાઈના શનિવારે સાંજે આયોજન કર્યુ છે. “વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી” શીર્ષક અંતર્ગત આ કાર્યક્રમમાં આપણા વિશ્વશાંતિનાં આ ઉદ્ગાતાની સર્જનયાત્રાને આપણે ગુજરાતીઓએ ગૌરવ સાથે અવશ્ય યાદ કરવી જ જોઈએ.

કાંદિવલીમાં જયંતિલાલ એચ. પટેલ લૉ કૉલેજ ખાતે આ કાર્યક્રમ નિમિત્તે જાણીતા સાહિત્યકાર ડો. દિનકર જોશી અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહી ઉમાશંકર જોશી વિશે રસપ્રદ વાતો કરશે. આ સાથે એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, અનુસ્નાતક ગુજરાતી વિભાગની કલાકાર બહેનો ઉમાશંકર જોશીની પ્રતિનિધિ અને પ્રસિદ્ધ કવિતાઓનું ગાન તથા પઠન કરશે તથા એમનાં પ્રસિદ્ધ પદ્યનાટકની વાચિક પ્રસ્તુતિ કરશે અને ગદ્ય કૃતિઓનું પઠન કરશે.

આ કાર્યક્રમના સંચાલક-સુત્રધાર એસએનડીટી, ચર્ચગેટના પ્રોફેસર કવિત પંડયા કરશે. જેમણે આ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા ઉપરાંત વિવિધ રચનાઓની પસંદગી કરી છે. આ કાર્યક્રમમાં હાજર રહેવા સર્વ સાહિત્ય રસિકજનોને જાહેર નિમંત્રણ છે.