અદાણી વિદ્યાલય ખાતે પર્સનાલિટી ડેવલોપમેન્ટ વર્કશોપ

સુરત : શહેરના જુનાગામ ખાતે આવેલી નવચેતન અદાણી વિદ્યાલયમાં બે દિવસીય પર્સનાલિટી ડેવલોપમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ સુમૈયા વરીયાવાના માર્ગદર્શન હેઠળ ધોરણ 6 થી 8ના કુલ 105 વિદ્યાર્થીઓ સાથે યોજાયો હતો. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળ વધવા માટે જ્ઞાન, અભિગમ, કૌશલ્ય આદત કે ટેવો જેવી બાબતોને વીડિયો ક્લિપ અને રમતો દ્વારા સમજાવવામાં આવી હતી.

વિદ્યાર્થીઓમાં વાતચીત કરવાની કળા, ગુસ્સા ઉપર કાબુ રાખવો, મિત્રો કે વડીલો સાથેનું વર્તન, સારી કે ખરાબ આદતો અંગે જવાબદાર બનવું, બોલવા કરતા વધુ સાંભળવુ, સમજવું, આભાર માનવો, પોષણયુક્ત ખોરાક ખાવો, ટાઈમ ટેબલ પ્રમાણે ચાલવું જેવી બાબતોને ઉદાહરણો અને રમતો દ્વારા સમજાવવામાં આવ્યું હતું.સફળતા મેળવવા માટેનો સાચો અભિગમ કેળવવા માટે સક્સેસ સ્ટોરીઓની વીડિયો ક્લીપ બતાવી અને તેની ચર્ચા દ્વારા સારા સંબંધો માટે સારી ભાષાનો ઉપયોગ કરવો, બીજા પ્રત્યે વિશ્વાસ રાખવો જેવી બાબતોને ધ્યાનમાં રાખી બાળકોને માહિતગાર કરાયા હતા. વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વની મેમરી ટેકનિક શીખવી હતી. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અને એમના અભિગમમાં બદલાવ આવે તેમજ આત્મવિશ્વાસ વધે એ માટે નવચેતન અદાણી વિદ્યાલય દ્વારા વિવિધ વર્કશોપનું નિષ્ણાંત વક્તા સાથે નિયમિત આયોજન કરવામાં છે.