નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં બદરીનાથ હાઇવે પર ઘોલતીર નજીક ગુરુવારે 18 લોકોને લઇ જતી એક યાત્રીઓની બસ અલકનંદા નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિનાં મોતની પુષ્ટિ થઈ છે અને સાત લોકો ઘાયલ થયા છે, જ્યારે સાત લોકો લાપતા છે.
SDRF, પોલીસ અને પ્રશાસનની ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે, એમ અહેવાલ કહે છે. પોલીસ મુખ્યાલયના પ્રવક્તા અને IG નીલેશ આનંદ ભરણે જણાવ્યું હતું કે રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલતીર વિસ્તારમાં એક બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અલકનંદા નદીમાં પડી ગઈ. હાલ મળેલી માહિતી પ્રમાણે બસમાં કુલ 18 મુસાફરો હતા.
આ દુર્ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાણકારી મળતાં જ રેસ્ક્યુ ટીમ રવાના થઇ હતી. ગઈકાલે જ ઉત્તરાખંડના પાડોશી રાજ્ય હિમાચલ પ્રદેશમાં અનેક જિલ્લામાં આભ ફાટ્યું હતું જેને કારણે અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ હતી.
આ ઘટનાની જાણ થતાં જ SDRF, પોલીસ દળ અને સ્થાનિક તંત્રની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી અને અમુક ઈજાગ્રસ્તોને બચાવી લીધા હતા. તેમને સારવાર હેતુસર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હજુ ઘણા લોકો ગુમ છે જેમને શોધવા માટે રેસ્ક્યુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
