થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચેના સંઘર્ષમાં ૩૨ લોકોનાં મોત

સુરિન: થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે ચોથા દિવસે પણ સંઘર્ષ જારી છે. અત્યાર સુધીમાં બંને દેશોની વચ્ચે ચાલી રહેલા જંગમાં ૩૨ લોકોનાં મોત થયાં છે, જ્યારે સરહદી વિસ્તારોમાંથી હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે. સ્થળાંતર કરેલા લોકોને તાત્કાલિક આશ્રય સ્થળોમાં રાખવામાં આવ્યા છે. બંને દેશોની વચ્ચે સંઘર્ષ હજુ વધુ ઉગ્ર થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ગઈ રાત્રે ન્યુ યોર્કમાં આ મુદ્દે તાત્કાલિક બેઠક યોજી. હાલ S બેઠક બાદ કોઈ ઔપચારિક નિવેદન જાહેર કરવામાં આવ્યું નહોતું, પરંતુ પરિષદના એક રાજદૂતે જણાવ્યું હતું કે તમામ ૧૫ સભ્ય દેશોએ થાઈલેન્ડ અને કમ્બોડિયાને સંયમ રાખવાની, તણાવ ઘટાડવાની અને વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની અપીલ કરી છે. એ સાથે જ દક્ષિણ-પૂર્વ એશિયન દેશોના સંગઠન આસિયાનને પણ મધ્યસ્થતા કરવા માટે વિનંતી કરવામાં આવી છે.

આસિયાનના અધ્યક્ષની પણ શાંતિ માટે અપીલ

હાલમાં આસિયાનના અધ્યક્ષપદે રહેલા મલેશિયાએ બંને દેશોને તાત્કાલિક સંઘર્ષ બંધ કરવા માટે આહવાન કર્યું છે અને મધ્યસ્થતાની રજૂઆત કરી છે. યુએનમાં કમ્બોડિયાના રાજદૂત છિયા કેઓએ જણાવ્યું હતું કે આ તાત્કાલિક બેઠકની માગણી કમ્બોડિયાએ કરી હતી. તેમણે શરત વિના સંઘર્ષવિરામ કરવાની અને વિવાદનું શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની માગ દોહરાવી હતી.. થાઈલેન્ડ પર હુમલાના આરોપોની સામે તેમણે કહ્યું હતું કે અમે નાનો દેશ છીએ, અમારું વાયુસેનાનું તંત્ર પણ નથી. અમે ત્રણ ગણા મોટી સેનાવાળા દેશ પર કેમ હુમલો કરી શકીએ?