PM સૂર્ય ઘર યોજના હેઠળ ગુજરાતના 20 લાખ ઘરોને મળશે મફત વીજળી

PM મોદી દ્વારા તા.13 ફેબ્રુઆરીના રોજ ફ્રી ઇલેકટ્રીકસિટી સોલર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં ભારતના કુલ 1 કરોડ ઘરોમાં રૂ.78,000 કરોડના ખર્ચે મફત વીજળી આપવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના કુલ 20 લાખ ઘરોને PM સૂર્ય ઘર : મફત વીજળી યોજનાનો લાભ મળશે. સાથોસાથ મધ્ય ગુજરાતના ૫ લાખ ઘરો PM સૂર્ય ઘર યોજનામાં આવરી લેવામાં આવશે.

રહેણાંક મકાનો માટે PM સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર દ્વારા સબસિડી નક્કી કરવામાં આવી છે. જેમાં 1 કિ.લો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 30,000 ની સબસિડી, 2 કિ.લો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 60,000ની સબસિડી, 3 કિ.લો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 78,000ની સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે.

PM સૂર્ય ઘર યોજનાનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત

  1. રજીસ્ટ્રેશન કરવા માટે સૌ પ્રથમ ગૂગલમાં https://pmsuryaghar.gov.in/ ટાઇપ કરી લોગઇન કરવું.
  2. ત્યારબાદ કનઝ્યુમર લોગઇન પર ક્લિક કરવુ અને રજીસ્ટ્રેશન કરવું.
  3. રજીસ્ટ્રેશનમાં ગ્રાહકે પોતાને લગતી માહિતી ભરવાની રહેશે.
  4. જેમાં રાજ્યનું નામ તેના જિલ્લાનું નામ, વીજળી કંપનીનુ નામ દા.ત. MGVCL લખી પોતાનો ગ્રાહક નંબર લખી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  5. ત્યારબાદ ગ્રાહકે પોતાનો મોબાઇલ નંબર અને મોબાઇલ નંબર પર આવેલો ઓટીપી લખવાનો રહેશે.
  6. ત્યારબાદ ગ્રાહકે પોતાનું ઇમેઇલ ID લખી કેપચા કોડ ભરી સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ SMS દ્વારા આપને જાણ કરવામાં આવશે.

સોલાર રૂફ ટોપ પ્લાન્ટ નવા ઉદ્યમીઓ માટે સ્ટાર્ટઅપની નવી તક

MGVCL હેઠળ જાન્યુઆરી-2024 સુધીમાં ૭૦૩ મેગાવોટની ક્ષમતાવાળા કુલ ૧.૩૫ લાખ સોલાર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. જે દર વર્ષે ૮.૭૮૭ લાખ ટન કાર્બન-ડાયોકસાઇડ ઉત્સર્જનમાં મદદ કરે છે. જે ૩૫૧ લાખ વૃક્ષો ઉગાડવા સમાન છે. સોલાર રૂફ ટોપ પ્લાન્ટ પરંપરાગત ઊર્જા સ્ત્રોતનું પણ સંરક્ષણ કરે છે. સોલાર રૂફ ટોપ પ્લાન્ટ એ નવા ઉદ્યમીઓ માટે સ્ટાર્ટઅપની નવી તક છે. સોલર રૂફટોપ પ્લાન્ટ લગાડવાથી વીજળીનાં બિલમાં વર્ષે ૩૦-૩૫ ટકાનો લાભ મળે છે. સોલર રૂફટોપ પ્લાન્ટ લગાડવાથી નાગરિકોને અનેક લાભ મળશે. જેમાં વીજળીનાં બિલમાં ઘટાડો, પર્યાવરણીય લાભો, ઊર્જા સ્વતંત્રતા, સોલાર પ્લાન્ટની ઓછામાં ઓછી જાળવણી, વીજળીની બચત તેમજ રોજગારીની નવી તકો ઊભી થશે.