બિજાપુરઃ છત્તીસગઢના બિજાપુર સુરક્ષા કર્મચારીઓએ 1000થી વધુ નક્સલીઓને ઘેરી ઓપરેશન હાથ ધર્યું છે. આ એન્કાઉન્ટરમાં પાંચ નક્સલવાદીઓ ઠાર થયા છે. બિજાપુર જિલ્લામાં આંતરરાજ્ય સરહદ પર કરેગુટ્ટા પહાડોનાં જંગલોમાં સવારે-સવારે સુરક્ષા કર્મચારીઓએ નક્સલવાદીવિરોધી અભિયાન હાથ ધર્યું હતું, હજી આગામી કેટલાક દિવસો સુધી અથડામણ જારી રહેશે.
છત્તીસગઢ અને તેલંગાણાની સરહદે થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ કેટલાક નક્સવાદીઓને ઠાર કર્યા હતા. આ અથડામણમાં પાંચ નક્સલવાદીઓ ઠાર થયા છે.બિજાપુરમાં સુરક્ષા કર્મચારીની 10,000ની ટીમે અત્યાર સુધીમાં હાથ ધરેલા સૌથી મોટા ઓપરેશનમાં 1000થી વધુ નક્સલવાદીઓને ઘેર્યા છે. આ ઓપરેશનમાં છત્તીસગઢ, તેલંગાણા અને મહારાષ્ટ્રના 10,000 જવાનો સામેલ છે. સુરક્ષા કર્મચારીઓએ હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં બિજાપુરના પહાડ પર કોંક્રીટ સ્લેબથી બનેલા બંકરને ઘેર્યું હતું, જેમાં 12 નક્સલવાદીઓ હોવાની બાતમી મળી હતી. આ બંકરને ઉડાવી દેવામાં આવ્યું છે.
અધિકારીએ જણાવ્યું હતું કે આ અભિયાન બસ્તર ક્ષેત્રમાંથી શરૂ થયેલી સૌથી મોટી નક્સલવિરોધી કાર્યવાહીમાંથી એક છે. આ ઓપરેશન CRPFના સ્પેશિયલ યુનિટ કોબરા (કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન)ની 208મી બટાલિયન જીદપલ્લી શિબિર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે એક ઠેકાણે 160 વર્ગ ફૂટનું બંકર હતું, જેના પર કોંક્રીટનો સ્લેબ હતો. ત્યાંથી છ સોલાર પ્લેટ, બે નક્સલીઓની વર્દી, બે પંખા અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
