વડાપ્રધાન મોદીએ ઈન્ડિયા ગેટ ખાતે નેતાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 સપ્ટેમ્બર, ગુરુવારે નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 28 ફૂટ ઊંચી અને 65 મેટ્રિક ટન વજનની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. પ્રતિમા પર એમણે પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.

નેતાજીની પ્રતિમાને એ જ સ્થાન પર સ્થાપિત કરવામાં આવી છે જ્યાં વડા પ્રધાને ગઈ 23 જાન્યુઆરીએ નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

વડા પ્રધાને કહ્યું કે ગ્રેનાઈટ પથ્થરથી બનાવવામાં આવેલી આ પ્રતિમા આપણી આઝાદીની લડતમાં નેતાજી બોઝના અપાર યોગદાન માટે એક ઉચિત શ્રદ્ધાંજલિ છે અને એમના પ્રતિ દેશના ઋણી હોવાનું પ્રતીક છે.