થોડા દિવસ પહેલાં મને અચાનક મારા પરિવારના વડીલો યાદ આવવા લાગ્યા. મેં
એમને એક પછી એક ફોન કરવાનું શરૂ કર્યું અને વાતચીત કરવા લાગ્યો. સામાન્ય સંજોગોમાં હું ફોન પર લાંબું બોલવાનું ટાળું છું, પરંતુ વડીલો સાથે વાત કરવાનું ગમ્યું.
ફોન પત્યા પછી મને વિચાર આવ્યો કે મોટા શહેરની નજીક હરિયાળીની વચ્ચે સ્વચ્છ-સુંદર જગ્યાએ એકાદો બંગલો હોય, બાજુમાંથી કોઈ નદી વહેતી હોય કે પછી કોઈ નાનું સરોવર હોય અને એ જગ્યાએ વડીલોની સાથે ઉનાળા દિવસોમાં નિરાંતે રહેવા જઈએ અને ગોઠડી માંડીએ તો કેવું સારું!

આપણા વડીલોએ આપણા માટે ઘણું કર્યું હોય છે. ખરું પૂછો તો, આપણું અસ્તિત્વ એમને આભારી હોય છે. તેઓ હવે વૃદ્ધ થયા છે ત્યારે આપણા પરનું એમનું ઋણ ઉતારવા માટેનો યોગ્ય સમય છે. આ મહાન આત્માઓને કારણે આજે મારું જીવન ધન્ય છે. તેમણે મારા જીવનનું ઘડતર કર્યું છે. તેઓ હવે વૃદ્ધ થયા તેથી એમને અનેક સમસ્યાઓ કનડે છે. હું જ્યારે એમની સાથે હોઉં ત્યારે મને એક પ્રકારની શાંતિનો અનુભવ થાય છે.
હું જન્મ્યો ત્યારથી આજ સુધી એમણે મને સતત આપ્યા કર્યું છે. એમાંથી જેમને પણ મળવાનું થાય ત્યારે એવો સવાલ થાય કે ફરીથી મળવાનું થશે ત્યારે એમની સ્થિતિ કેવી હશે.
જો હું એમના માટે સમય કાઢી ન શકું તો મારી સંપત્તિનો શું અર્થ? જીવનના આ તબક્કે જ્યારે મારી પાસે પૂરતી સંપત્તિ છે, સુવ્યવસ્થિત ચાલતી પ્રોફેશનલ પ્રૅક્ટિસ છે, ઑફિસની કુશળ અને સહકારી ટીમ છે, જે ઑફિસનું રોજિંદું કામ ઘણી સારી રીતે સંભાળે છે અને મારી તબિયત પણ એકંદરે સારી રહે છે ત્યારે મને આ મુકામ પર લાવવામાં સિંહફાળો આપનારા લોકોનું ઋણ અદા કરવાનો સમય કહેવાય. એ બધાના આશીર્વાદ વગર ઉપર જણાવ્યું એ કંઈ જ શક્ય બન્યું ન હોત. અને એમને આપવાનું પણ શું છે? ફક્ત સમય! આજે એમની ઉંમર થઈ ગઈ છે, આરોગ્યની અનેક તકલીફો સતાવે છે, એકલતા સાલે છે અને રોગચાળાએ તો એ બધી સમસ્યાઓમાં ઉમેરો કરી દીધો છે. હવે શું કરવું એ એમને સૂઝતું નથી.

આપણી સંપત્તિ એટલે ફક્ત આપણી બૅન્ક બૅલેન્સ, રોકાણો, ઘર, ઝવેરાતો, વગેરે નથી. એ બધી વસ્તુઓ તો આવતી-જતી રહેશે. આપણા વડીલો તો ફક્ત અત્યારે જ આપણી સાથે રહેશે. તેઓ વૃદ્ધ થયા છે અને વધારે થઈ રહ્યા છે. એમની બીમારીઓ, તકલીફો, બેચેની એ બધું વધતું જ જવાનું છે.
આ વડીલો નામક સંપત્તિ ક્યારેય પાછી આવવાની નથી. આ કટારમાં આપણે યોગિક વેલ્થ વિશે વાત કરી છે. યોગિક વેલ્થ પવિત્ર છે, સર્વાંગી છે. તેની અંદર અનેક પ્રકારની સંપત્તિઓ રહેલી છે. આપણા વડીલો પણ આપણી સંપત્તિ છે. આપણે એમના આશીર્વાદને લીધે ટકેલા છીએ. એમના જન્મદિવસ અને લગ્નતિથિ ઊજવી દેવાથી એમનો આદર પૂરો થઈ જતો નથી. ખરું પૂછો તો આ બધી ધમાલ એમને ગમતી પણ નથી. જોકે, અમુક વડીલો એમાં ખુશીખુશી સહભાગી થતા હોય છે. આમ છતાં આપણે એમની સાથે રહેવું જોઈએ, એમને સમય આપવો જોઈએ. એમના આશીર્વાદ થકી આપણને વધુ યોગિક વેલ્થની પ્રાપ્તિ થશે. આ વર્ષો એમના માટે અને આપણા માટે સુવર્ણ વર્ષો છે.
હવે યોગિક વેલ્થના આ પાસાને ઓળખીને એનો આનંદ માણવાનો સમય આવ્યો છે. યોગિક વેલ્થનું આ પાસું ઘણું જલદી વિરમાઈ જશે. પછી એમને યાદ કરવાનો કોઈ અર્થ નહીં રહે. અત્યારે જ એમના પ્રત્યેનું ઋણ દા કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે આપણને આ યોગિક વેલ્થ બક્ષે.
છેલ્લે, સૌ વાંચકોને કહેવાનું કે મને તમારા ઈમેલ અને પત્રો ગમે છે. એ મોકલતાં રહેજો. હું દરેક સંદેશનો જાતે જવાબ આપું છું. પ્રણામ.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)






