શું કહેલું ઇન્દિરાજીએ અટલજી માટે?

અટલજી પોતાના જન્મદિવસે કહેતાઃ

“હર ૨૫ ડિસેમ્બર જીને કી નઈ સિડીર્યાં ચઢતા હૂં,

નયે મોડ પર ઔરો સે કમ, સ્વયં સે જ્યાદા લડતા હૂં“

મૃત્યુ અંગે એમની જ એક કવિતાની પંક્તિ છે કે,

ઈતના હી કાફી હૈ, અંતિમ દસ્તક પર, ખુદ દરવાજા ખોલે…

અટલજી દેહસ્વરૂપે ગયા, પરંતુ કર્મ અને કવિતા સ્વરૂપે આપણી વચ્ચે કાયમ જીવંત રહેશે. તેમણે પોતાના વ્યક્તિત્વ, કર્તૃત્વ અને નેતૃત્વની સાથે દેશની જનતાના હૃદયમાં રાજ કર્યું છે.

પ્રારંભિક જીવન

અટલજી કૃષ્ણામાતાની કૂખે જન્મેલાં, કૃષ્ણબિહારીની પિતૃછાયામાં કૃષ્ણની પ્રાચીન નગરી બટેશ્વરએ મૂળ વતન અને ૧૦, કૃષ્ણમેનન માર્ગ, દિલ્હી ખાતે તેમણે દેહ છોડી દીધો. એટલે કે માતા-પિતામાં કૃષ્ણ અને વતન અને મરણ જીવનની શુભારંભથી અંત સુધી કૃષ્ણ-સંગ જ રહ્યો.

પિતાજી કૃષ્ણબિહારી વાજયેપી ગ્વાલિયારમાં અધ્યાપક હતાં ત્યારે એ વખતે શિંદેની છાવણીમાં ૨૫મી ડિસેમ્બર ૧૯૨૪ના રોજ અટલજીનો જન્મ થયો હતો.

રાજનૈતિક જીવન

મહાવીર રામચંદ્રની અમર કૃતિ “વિજય પતાકા”ને વાંચીને તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. ગ્વાલીયરમાં,કાનપુરમાં ભણ્યાં. એમ.એ. વિથ પોલીટીકસ કર્યું. આર.એસ.એસ.માં જોડાયા ૧૯૪૨માં ક્વિટ ઇન્ડિયાની જે મહાત્મા ગાંધીજીએ લડાઈ લડી એમાં ૨૪ દિવસ સુધી તેઓ જેલમાં રહ્યાં. ૧૯૫૧માં જનસંઘની સ્થાપના સમયે સદસ્ય રહ્યાં. વર્ષ ૧૯૫૫માં લોકસભા હાર્યા પછી ૧૯૫૭માં ઉત્તરપ્રદેશના બલરામપુર, ગોડા જીલ્લામાં વિજય થયાં. ૧૯૫૭ થી ૧૯૭૭ સુધી સતત ૨૦ વર્ષ એ સંસદીય પક્ષના નેતા રહ્યાં.

પંડિત દિનદયાળજીના અવસાન પછી ૧૯૬૭ થી ૧૯૭૩ સુધીએ જનસંઘના અને 1980 થી 1986 સુધી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહ્યાં.

મોરારજી દેસાઈની સરકારમાં ૧૯૯૭૭માં વિદેશ મંત્રી રહીને ભારતનું માન-સન્માન અને ગૌરવ વધાર્યું હતું.

૧૬ મે, ૧૯૯૬માં પ્રથમવાર દેશના ૧૩ દિવસ માટે અને માર્ચ, ૧૯૯૮માં ૧૩ મહિના તેમજ ઓક્ટો-૧૯૯૯ થી તા.૨૨ મે ૨૦૦૪ સુધી ત્રીજી વાર પાંચ વર્ષ માટે દેશના પ્રધાનમંત્રી બન્યાં હતાં. અટલજી લોકસભામાં ૯ (નવ) અને રાજ્યસભામાં ૨ (બે) વાર આમ, કુલ ૧૧ વાર સંસદસભ્ય પદે રહ્યાં છે.

વર્ષ ૧૯૭૪માં નવર્નિમાણ આંદોલન સમયે એમને ગુજરાત આવવાનું થયું અને એ વખતે એરપોર્ટ ઉપર લેખક-પત્રકાર વિષ્ણુભાઈ પંડયાને એક પત્ર અટલજીએ આપ્યો. પત્રમાં એક લેખ સાથે નાનકડી કવિતા પણ લખી હતી. એ લેખમાં “મુજે મોરારજી દેસાઈ સે મોહબ્બત હો ગઈ” એવું ટાઈટલ હતું. તેમાં એક કડી લખી હતીઃ “નજર નીચી, કમર સીધી, ચમકતા રોફ સે ચહેરા, બુરા માનો, ભલા માનો વોહી તેજી, વોહી નખરા”

કટોકટી આવ્યા પછી તો જેલમાં ગયા. એમની પાસે પણ સમાધાનની વાત આવી. તો તે વખતે તેમણે પણ કહ્યું કે,

દાવ પર સબ કૂછ લગા હૈ, રૂક નહીં સકતે, ટૂટ સકતે હૈ મગર હમ ઝૂક નહીં સકતે”.

કટોકટી પછી જનતા મોરચાની સરકાર બની. પ્રધાનમંત્રી મોરારજી દેસાઈની સરકારમાં વિદેશ મંત્રી પણ બન્યા.

ભાજપની સ્થાપના

જનસંઘનું જનતા પાર્ટીમાં વિલિનીકરણ થયું હતું, પરંતુ પછી જનતા મોરચો વિખરાઈ ગયો અને ૬ એપ્રિલ ૧૯૮૦ ના રોજ મુંબઈની ચોપાટી ઉપર “સમતા નગર”માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ. પ્રથમ રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેના અટલજીના પ્રવચનમાં બે વાત મને ખૂબ ગમી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ પદ સ્વીકાર્યા પછી તેઓ અધ્યક્ષના પદને કેવી રીતે માને છે? તેની વાત કરી હતી. પ્રવચનમાં પહેલાં જ વાક્યમાં ‘યહ પદ નહી, દાયિત્વ હૈ, યહ પ્રતિષ્ઠા નહીં, પરીક્ષા હૈ, યહ સત્કાર નહીં, ચુનૌતી હૈ, આપકે સંયોગ સે, જનતા કે સમર્થન સે મુજે યહ જિમ્મેદારી વહન કરને કી ઈશ્વર મુજે શક્તિ દે, વિવેક દે…’ શબ્દો એમણે ઉચ્ચારેલા એનું આજેય સ્મરણ છે.

એમના પ્રવચનના અંતિમ વાક્યોમાં કેટલો આત્મવિશ્વાસ હતો કે, “ભારત કે પશ્ચિમઘાટી કો મંડિત કરનેવાલે મહાસાગર કે કિનારે પર ખડે હોકર યહ ભવિષ્યવાણી કરને કા સાહસ કરતા હું કિ “અંધેરા હટેગા, સૂરજ નિકલેગા, કમલ ખિલેગા” એવું એમણે કહેલું.

અને આજે ખરેખર કમળ ખીલ્યું છે.

આ પ્રવચન પછી ૧૯૯૬માં સોળ વર્ષ પછી એ વડાપ્રધાન બન્યા. પહેલાં ૧૩ દિવસ, ૧૩ મહિના અને પછી ૫ (પાંચ) વર્ષ માટે પ્રધાનમંત્રી બન્યા હતા. જયારે ચૂંટણીમાં હાર થઈ ત્યારે તેમણે કહ્યું હતું કે, “કયા હાર મેં, ક્યા જીત મેં, કિંચિત નહીં, ભયભીત મેં, કર્તવ્ય પથ પર જો મિલા, યહ ભી સહી વો ભી સહી.. વરદાન નહીં માનુંગા, હો કૂછ પર હાર નહીં માનુંગા..

સર્વમાન્ય અને સર્વપ્રિય નેતા

અટલજી કહેતા કે, છોટે મન સે કોઈ બડા નહીં હોતા, ટૂટે મન સે કોઈ ખડા નહીં હોતા… 

૧૩ અને ૨૪ પાર્ટીના ગઠબંધન સાથે પ્રથમ બીન-કોંગ્રેસી સરકારે પ્રથમ પાંચ વર્ષ પૂર્ણ કર્યાં, જે તેમનું સર્વ માન્ય નેતૃત્વ બતાવે છે. જયારે સામ્યવાદી નેતા સોમનાથ ચેર્ટજી, જ્યોતિ બસુ, નવીન પટનાયક હોય કે મમતા, માયાવતી કે જયલલિતા હોય કે બાલઠાકરે હોય. દરેક રાજકીય નેતૃત્વ તેમને સ્વીકારતું. અટલજી ૧૦ વાર લોકસભા અને ૨ વાર રાજયસભામાં સાંસદ રહ્યાં. એ સંસદસભ્ય નહોતા ત્યારે ૧૯૮૪માં શ્રીમતી ઈન્દિરા ગાંધીએ કહેલું કે, “અટલજી કે બિના સંસદ મેં સૂના સૂના લગતા હૈ”.

સામાન્ય રીતે યુનોમાં શાસકપક્ષના પ્રતિનિધિને મોકલવામાં આવે છે, પરંતુ નરસિંહરાવે યુનોમાં જીનીવા કોન્ફરન્સમાં એમને મોકલ્યા ત્યારે કોંગ્રેસમાં વિરોધ થયો. નરસિંહરાવે કહેલું કે, અટલજી કે બિના કશ્મીર કે વિષયમેં કૌન અચ્છા બોલ સકતા હૈ? કૌન અચ્છી તરહ વિષય રખ સકતા હૈ?

-અને અટલજી યુનોમાં પહેલીવાર હિન્દીમાં ભાષણ કરનાર ભારતીય નેતા બન્યા.

પાંચજન્ય હોય કે અર્જૂન હોય, એટલજી એમાં પત્રકાર રહ્યા. એ કવિ તો હતા જ. તેમનામાં સેન્સ ઓફ હ્યુમર પણ જોરદાર હતી. એક પત્રકારે અટલજીને પૂછ્યું કે, ભારત-પાકિસ્તાનનો વિવાદ છે તો તમે પરવેઝ મુશર્ફ સાથે હાથ મિલાવશો ? જવાબમાં એક જ સેકન્ડમાં એમણે પત્રકારને કહ્યું કે, લો, મેં તુમ્હારે સાથ હાથ મિલા લેતા હૂં…

કેવા સંજોગો હતા?

કેવા સંજોગોમાં તેમણે કામ કર્યું? તેઓ જીલ્લા પ્રચારક હતાં ત્યારે નાનાજી દેશમુખ વિભાગ પ્રચારક હતા. નાનાજીએ તેમના પગમાં ચંપલ ન જોયા એટલે એમણે કહ્યું કે, “આપકે પૈર મેં ચંપલ ક્યું નહીં હૈ”, તો અટલજી કહ્યું કૈ “પૈસે નહીં તો પૈર મેં ચંપલ નહીં હૈ”, ત્યારે નાનાજીએ તેમને ૨-૩ રૂપિયા આપ્યાં. એક-બે મહિના પછી ફરી તેમનો પ્રવાસ થયો. ફરીથી પગલમાં ચંપલ ન હતાં એટલે ફરી પૂછયું તો અટલજીનો જવાબ હતો કે “વો તો પેટ મેં ચલે ગયે હૈ”. ચંપલ કરતાં જમવાનું અગત્યનું હતું એટલે તેમણે એ પૈસાનું ભોજન કરી લીધું. કેવો નિખાલસ જવાબ!

 વ્યક્તિત્વ

અટલજીએ માણસોને જોડ્યા. રાજકીય પક્ષોને જોડ્યા. પ્રધાનમંત્રી ગ્રામસડક યોજના દ્વારા ગામડાઓની સડકોને જોડી. ચતુર્ભુજ યોજના દ્વારા રાજ્યોની સડકોને જોડી અને ભારતની નદીઓને જોડવાના સંકલ્પ સાથે ભગીરથ પ્રયાસો શરૂ કર્યાં. એમણે જીવતા તો લોકોને જોડયાં પરંતુ મૃત્યુબાદ પણ લોકોને જોડયા. પોતાના વ્યક્તિત્વ, કર્તૃત્વ અને નેતૃત્વની સાથે દેશની જનતાનાં હૃદયમાં રાજ કર્યું.

અટલજી “શાંતિ” અને “ક્રાંતિ” એમ બન્નેમાં બેલેન્સ રાખી શકતા હતા. નિખાલસ હતાં. સત્ય,પ્રેમ અને સક્રિયતા તેમનામાં હતી. લાહોરની બસ સેવા શરૂ કરી પાડોશી સાથે સંબંધો રાખવાનો પ્રયાસ કર્યો તો કારગીલ યુદ્ધ વખતે તેમણે જડબાતોડ જવાબ આપ્યો. અનેક પ્રતિબંધો આવ્યાં તેમ છતાં દેશનાં સ્વાભિમાન માટે અડગ રહ્યાં.

ગુજરાત સાથેના સંભારણા

ગુજરાત સાથે તો તેમના અનેક સંભારણા હતાં. ૮ જૂલાઈ ૧૯૮૪માં સાબરકાંઠાના તલોદ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની અનાવરણ વિધી હતી. નગરપાલિકા ભાજપની હતી, પરંતુ તાલુકા-જિલ્લા પંચાયત અને રાજ્ય સરકાર કોંગ્રેસની હતી. વિવાદ હતો કે આ જમીન કોની હદમાં આવે એટલા માટે પ્રતિમાને ઘણા સમય સુધી ઢાંકીને રાખવામાં આવેલી. અટલજી એની અનાવરણ વિધિમાં આવ્યા. કોઈ પક્ષા-પક્ષીની વાત નથી, કોઈપણ સંબોધનની વાત નહીં. વરસતા વરસાદમાં છત્રીથી આચ્છાદિત હજારો લોકોની ઉપસ્થિતિનું એ દ્રશ્ય અને એમનું પહેલું જ વાક્ય હજુ પણ મને યાદ છેઃ “ચાહે યે જમીન નગરપાલિકા કી હો યા જીલ્લા, તાલુકા પંચાયત યા રાજય સરકાર કી હો લેકિન સપૂત તો હિન્દુસ્તાન કા હૈ“ એક રાષ્ટ્રીય મહાપુરૂષને જોવાની દૃષ્ટિ કેવી હતી તેનું આ ઉદાહરણ છે.

કચ્છ સત્યાગ્રહ

કચ્છમાં જયારે છડાબેટ પાકિસ્તાનને સોંપવાની વાત થઈ ત્યારે વિલસન કરાર મુજબ આંદોલન શરૂ થયું. મધુ લીમયેથી માંડીને જ્યોર્જ ફર્નાન્ડિઝ, ચીમનભાઈ શુકલ, કેશુભાઈ પટેલ, જગન્નાથરાવ જોષી અનેક આગેવાનોની હાજરીમાં સત્યાગ્રહ શરૂ થયો. એ વખતે હેમાબેન આચાર્ય અગિયાર બહેનોને લઈને ગયાં હતાં. નારસિંહભાઈ પઢીયારના પત્ની જીકુબેન એમની આઠ મહિનાની દીકરી ગીતાને લઈને ગયા ત્યારે અટલજીએ એ નાનકડી દીકરીને ઊંચકીને સ્ટેજ પરથી કહ્યું કે “યહ ભી સત્યાગ્રહમેં શામિલ હૈ”.

સ્વ. અટલજીના અસ્થિસ્પંદનો

સોમનાથ ત્રિવેણી સંગમ, ચાણોદ ત્રિવેણી સંગમ અને સાબરમતી, આ ત્રણેય સ્થાન પર સ્વ. અટલજીના અસ્થિને સ્પર્શ કરીને નદીમાં વિસર્જન કરવાની અલૌકિક અનુભૂતિ પણ  જીંદગીમાં કયારેય ભૂલી શકશે નહીં.

એમની પ્રિય કવિતાની બે પંક્તિથી વાત પૂરી કરીએઃ

भारत जमीन का टुकडा नहीं, भारत एक जीता-जागता राष्ट्रपुरुष है ।

हिमालय उनका मस्तक है,गौरी शंकर उन्की शिखाएं है ।

काश्मीर उन्की किरीट है, पंजाब और बंगाल दो मजबूत भूजाएं है ।

दिल्ही उन्का दिल है,

विन्ध्याचल कटी है,

नर्मदा करधनी है ।

कन्याकुमारी ईसके चरण है,सागर उन्को पखारता है ।

(ભરત પંડયા)

(લેખક ગુજરાત ભાજપના પ્રવક્તા છે)