થીજી ગયેલા સરોવર પર ક્રિકેટનો રોમાંચ!

સ્વિટ્ઝરલેન્ડના ઈંગાડિનમાં સેન્ટ મોરિટ્ઝ આવેલું છે, જે આલ્પાઈન રિસોર્ટ નગર તરીકે જાણીતું છે. આ સ્થળ સમુદ્રની સપાટીથી આશરે 5,910 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. સેન્ટ મોરિટ્ઝનું મનોહર સ્વિસ રિસોર્ટ સ્કીઈંગ માટેના સ્લોપ્સની સુંદરતા માટે જાણીતું છે. અહીં અમુક ખેલકૂદ સ્પર્ધાઓ પણ યોજાય છે, પણ એમાં ફેબ્રુઆરીમાં બરફ પર રમાતો ક્રિકેટ ઉત્સવનો આનંદ માણવા જેવો છે.

બરફ પર ક્રિકેટ? સાંભળીને નવાઇ લાગે છે ને?

હા, થીજી ગયેલા સરોવર પરના બરફ પર આ ક્રિકેટ મેચો રમાય છે!

યાદ રહે, સેન્ટ મોરિટ્ઝ શિયાળુ રમતો માટેનું કેન્દ્ર ગણાય છે અને એમાંય સેન્ટ મોરિટ્ઝમાં ‘ક્રિકેટ ઓન આઈસ’ તો એક અદ્દભુત અનુભવ ગણાય છે. દુનિયાભરનાં અનેક ક્રિકેટરસિયાઓ તે રમવા માટે અહીં આકર્ષાય છે. આ સ્પર્ધામાં રમનાર ટીમોને બરફથી થીજી ગયેલા સરોવર પર ક્રિકેટ રમવાનો મોકો મળે છે. ઘરેલુ સ્વિસ ક્રિકેટ કેલેન્ડરમાં ‘ક્રિકેટ ઓન આઈસ’ પ્રતિષ્ઠિત સ્પર્ધા તરીકેનું મહત્ત્વ ધરાવે છે.

હમણાં કેટલાક બ્રિટિશ-ભારતીય ડેન્ટિસ્ટ્સ તાજેતરમાં જ્યારે સેન્ટ મોરિટ્ઝના પ્રવાસે ગયા હતા. એમાંના એક એવા બ્રિટનસ્થિત ગુજરાતી ડેન્ટીસ્ટ ડો. દિગંત સોની બરફ પર ક્રિકેટની રમતના કેટલાંક રસપ્રદ અનુભવો ચિત્રલેખા.કોમ સાથે વહેંચે છે.

ડો. દિગંતભાઇ કહે છે એમ, 1988ની સાલથી દર વર્ષે ફેબ્રુઆરીમાં ઈંગાડિન વેલીમાં ‘ક્રિકેટ ઓન આઈસ’ યોજાય છે. અહીં ભૂતકાળમાં રમી ચૂકેલાઓમાં ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ડેવિડ ગાવરનો પણ સમાવેશ થાય છે. શિયાળાની મોસમમાં જ્યારે સરોવર થીજી જાય છે ત્યારે એની બરફની સપાટી પર પોલો રમત રમાય છે, સંગીત કાર્યક્રમો યોજાય છે, સ્થાનિક તેમજ પર્યટકો ઘોડેસવારી કરે છે, તો ઘણા એની પર ટહેલતાં જોવા મળે. કેટલાક લોકો સ્કેટિંગ પણ કરતા હોય.

સરોવર પર થીજી જતા બરફના થર ખૂબ જાડા હોય છે. કોઈના પગ નીચે તિરાડ પડતી નથી તેથી એની પર રમવા, દોડવા કે ચાલવામાં કોઈ જોખમ હોતું નથી. ક્રિકેટ મેચો માટે મેટ પીચ મૂકવામાં આવે છે અને બોલ રબરનો હળવા વજનનો હોય છે.

બરફની સપાટી પર રમતી વખતે બોલરો માટે લાઈન-એન્ડ-લેંથ જાળવવી આસાન નથી હોતી. ઘણા વાઈડ બોલ પડતા હોય છે. માત્ર હોંશિયાર બોલર જ પરફેક્ટ બોલ ફેંકવામાં સફળ થાય. એવા બોલરો બોલનો ટર્ન પણ મેળવી લે.

સેન્ટર મોરિટ્ઝમાં ફેબ્રુઆરીમાં તાપમાન માઈનસ 10થી લઈને માઈનસ 15 ડિગ્રી સેલ્શિયસ રહે છે. હવામાન ખરાબ થાય તો તાપમાન માઈનસ 20 ડિગ્રીએ પણ ઉતરી જાય. વધુમાં, પવન ઠંડીને વધારે કાતિલ બનાવે.

આ ડેન્ટીસ્ટની ટીમ હમણાં ત્યાં ગઇ ત્યારે દિવસનું તાપમાન માઈનસ 5થી માઈનસ 10 ડિગ્રી જેટલું હતું. રાતનું તાપમાન માઈનસ 15 રહેતું. ઠંડીથી બચવા માટે એમણે બે-ત્રણ લેયરવાળા જાડા જેકેટ પહેરવા પડતા. એમનામાં મોટાં ભાગના લોકો પાસે બેટરીથી ચાલતા હીટિંગ જેકેટ્સ અને હીટેડ હેન્ડ ગ્લોવ્સ હતા. મેચ દરમિયાન, એમણે 3-4 લેયરવાળા વસ્ત્રો પહેરવા પડતાં. બરફની પીચ પર વારંવાર લપસી પડવાની ચિંતા રહે. પીચ પર ઉપરના ભાગમાં પાવડર આઈસ હોય જેથી બેટરને દોડતી વખતે ગ્રિપ જાળવવામાં મદદ મળે.

એમની બીજી મેચ શરૂ થઈ એ વખતે પવન ખૂબ તેજ ગતિથી ફૂંકાતો હતો. કાતિલ ઠંડી અને પવન વચ્ચે રમવાનું એમને બહુ કઠિન લાગતું હતું. પરંતુ એકવાર મેદાન પર ઉતરીને રમવાનું શરૂ કરી દીધા બાદ એટલી બધી ઠંડી લાગતી નહોતી એવું એમનું કહેવું છે.

ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં આશરે 5,000 જેટલા ભારતીય ડેન્ટિસ્ટ રહે છે. એમણે એક ગ્રુપ બનાવ્યું છે – એસોસિએશન ઓફ ઈન્ડિયન ડેન્ટિસ્ટ્સ યૂકે ક્રિકેટ ક્લબ (AIDUK CC). બ્રિટનમાં 30 હજાર જેટલા રજિસ્ટર્ડ ડેન્ટિસ્ટ્સ છે. 2016માં, પાંચ ભારતીય ડેન્ટિસ્ટે મળીને આ એસોસિએશન બનાવ્યું હતું. ડો. રોશિથ વલિયામાનીલ તેના પ્રમુખ છે અને ડો. પ્રશાંત નાયર સેક્રેટરી છે. આ સંસ્થાને ડો. ગૌરવ મહેતાનો સહયોગ મળ્યો છે.

2018માં, ડો. રોશિથ અને ડો. પ્રશાંતે નક્કી કર્યું હતું કે એમની સંસ્થાએ કોઈક ક્રિકેટ ટીમ બનાવવી જોઈએ, કારણ કે ઘણા ભારતીય સભ્યોને ક્રિકેટનો બહુ શોખ હતો. ડો. વિપીન એલને ભારતમાંથી ક્રિકેટ સાધનો ઓર્ડર આપીને મગાવવાની જવાબદારી માથે લીધી. તેઓ અગાઉ એક ક્રિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા હતા.

શરૂઆત એક નાનકડા ગ્રુપથી કરવામાં આવી અને હાલ ટીમમાં 35 સભ્યો છે. ભારતના જુદા જુદા ભાગોમાંથી આવેલા અને બ્રિટનના જુદા જુદા સ્થળે રહેતા લોકો એમાં સભ્યો છે. આ બધાં લેસ્ટરમાં મળે, જે ટીમનું હોમ ગ્રાઉન્ડ બન્યું છે. ડો. દિગંત સોની AIDUK માટે ઘરેલુ મેચ આયોજક તરીકેની સેવા બજાવે છે. AIDUK દર મહિને જુદી જુદી ઈંગ્લિશ ટીમ સાથે ક્રિકેટ મેચો રમે છે. એસોસિએશનની ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રવાસોએ પણ જઈ આવી છે, જેમ કે, પોર્ટુગલ, ગ્રીસ અને આઈસલેન્ડમાં તો ત્યાંની રાષ્ટ્રીય ટીમ સાથે મેચો રમી છે.

ડો. કંદર્પ નથવાણી AIDUKના આંતરરાષ્ટ્રીય મેચ આયોજક છે. એમણે અમુક વર્ષ પૂર્વે ક્રિકેટ ઓન આઈસના આયોજકોનો સંપર્ક કર્યો હતો. એમાં વેઈટિંગ લિસ્ટ હતું અને અમારો નંબર ત્રણ વર્ષે લાગ્યો હતો. 2021માં ક્રિકેટ ઓન આઈસના આયોજકે ડો. કંદર્પનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે સેન્ટ મોરિટ્ઝમાં થીજેલા સરોવરની સપાટી પર છ-ટીમવાળી ક્રિકેટ ઓન આઈસ ટુર્નામેન્ટમાં અમારી ટીમ રમી શકે છે. આ અનોખી ક્રિકેટ પીચ પર સચીન તેંડુલકર, શાહિદ અફરિદી જેવા ઘણા ઈન્ટરનેશનલ ક્રિકેટરો પણ રમી ચૂક્યા છે.

AIDUKના 12-ખેલાડીઓની ટીમ આ સ્પર્ધામાં રમવા ગઈ હતી અને ચેમ્પિયન્સ ઓફ ધ ક્રિકેટ ઓન આઈસ બનીને પાછી ફરી હતી. આ ટીમે તમામ ત્રણ ટીમને પરાજય આપ્યો હતો. એમનો હવે પછીનો ક્રિકેટ પ્રવાસ 2023માં વેસ્ટ ઈન્ડિઝ-બાર્બેડોસ ખાતેનો છે.