યુએસઍર-1549, મોન્ટેગોઍર-828 અને ઍરઈન્ડિયા 171…

12 જૂન ને ગુરુવારે, અમદાવાદથી લંડનના ગેટવીક ઍરપૉર્ટ જવા ઊડેલી ઍર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171ના અકસ્માતમાં 274થી વધુનાં મોત નીપજ્યાં, માત્ર એક પ્રવાસીનો ચમત્કારિક બચાવ થયો. આ ઘટનાના પિસ્તાળીસ દિવસ થયે ઘટના મગજમાંથી ખસતી નથી. જીવનની ક્ષણભંગુરતા વિશે વિચારતાં હું લેપટોપ સામે બેઠો છું ત્યારે વિમાનદુર્ઘટના પર બનેલી કેટલીક હોલિવૂડની ફિલ્મ યાદ આવી જાય છે. લિસ્ટ તો લાંબું છે, પણ તત્ક્ષણ સાંભરે છે ‘મેનિફેસ્ટ’ અને ક્લિન્ટ ઈસ્ટવૂડ દિગ્દર્શિત સત્ય ઘટના આધારિત ‘સલી’. 15 જાન્યુઆરી, 2009ના રોજ યુએસ ઍરવેઝની ફ્લાઈટ 1549 ન્યૂ યૉર્કના લગ્વાડિયા ઍરપૉર્ટ પરથી ઉડાન ભરે રહે છે, પણ પક્ષીઓ એન્જિનમાં ઘૂસી જતાં વિમાન ગોથાં ખાવા માંડે છે. પાઈલટ સુલેનબર્ગર તત્કાળ નિર્ણય લઈને પ્લેનને હડસન નદીમાં (જેમાં વિશ્વવિખ્યાત મશાલ ઝાલીને ઊભેલી સ્વાતંત્ર્યની મૂર્તિ છે તેમાં) ઉતારે છે, બધા પ્રવાસી બચી જાય છે. આ ઘટનાની ઈન્ક્વાયરીમાં પાઈલટને પૂછવામાં આવે છે કે ‘વિમાનને ઍરપૉર્ટ પર લૅન્ડ કરવાના ચાન્સ હતા કે નહીં? શું નદીમાં ખાબકવું જરૂરી હતું?’ ફિલ્મમાં પાઈલટ સુલેનબર્ગરની ભૂમિકા ટૉમ હેન્ક્સે ભજવેલી. આ પ્રેરણાદાયી કથા એવિયેશન ઈન્ડસ્ટ્રીમાં સુરક્ષાના નિયમો, બેદરકારીને પણ પ્રકાશમાં લાવે છે. સર્જક જાણે પૂછવા માગે છે કે પાઈલટ સુલેનબર્ગર નાયક હતા ખલનાયક?  

-અને હવે ‘મેનિફેસ્ટ’. આ સુપરનેચરલ ડ્રામા સિરિયલ અમેરિકાની એનબીસી ટીવીચૅનલ પર શરૂ થયેલી. અપાર લોકચાહના મેળવી ગયેલી આ સિરિયલ ત્રણ સીઝન પછી અચાનક બંધ થઈ ગઈ. ચાહકોને લાગ્યું કે હવે મહા-અંત અથવા ગ્રાન્ડ ફિનાલે ક્યારેય જોવા નહીં મળે. ત્યાં તો નેટફ્લિક્સે ‘મેનિફેસ્ટ’ના હક મેળવી લીધા, જેનાથી એના દર્શકોમાં મોટો વધારો થયો. એટલે પોરસાઈને નેટફ્લિક્સે 20 એપિસોડ્સની ચોથી સીઝન બનાવી. પહેલો પાર્ટ 2022ના નવેમ્બરમાં પ્રસારિત થયો, જ્યારે બીજો પાર્ટ 2023ના જૂનમાં. આ સિરીઝ સાયન્સ-ટેક્નોલોજીથી ફાટફાટ થતી 21મી સદીમાં ઈશ્વરના અસ્તિત્વ વિશે, ધાર્મિક માન્યતાઓ વિશે દર્શકને વિચાર કરતાં કરી મૂકે છે. જો કે અંત થોડો ગૂંચવડાભરેલો લાગ્યો.

કથાનક કંઈ આવું છેઃ મૉન્ટેગો ઍરની ફ્લાઈટ 828 જમૈકાથી ન્યુ યૉર્ક આવી રહી હોય છે. અચાનક તોફાની હવામાનમાં આખું વિમાન આકાશમાં ગાયબ થઈ જાય છે. પાંચ વર્ષ પછી એ ફ્લાઈટ 828 ન્યુ યૉર્ક લૅન્ડ થાય છે. લૅન્ડ થયા બાદ પ્રવાસીઓને ખબર પડે છે કે વિમાન જમૈકાથી ન્યુ યોર્ક પહોંચ્યું એ દરમિયાન પાંચ વર્ષ પસાર થઈ ગયાં છે. એમનો સમય પાંચ વર્ષ માટે થંભી ગયો હતો, પણ પરિવારજનો, મિત્રોનાં જીવન એમના વગર આગળ વધી ગયાં છે. આ પરિસ્થિતિમાં કેટલીક અસાધારણ કહેવાય મુશ્કેલીઓ આવે છે— દાખલા તરીકે અમુક પ્રવાસીની માતાનું અવસાન થઈ ગયું છે. કૅલ અને ઓલિવ નામનાં ટવિન્સ ભાઈ-બહેનમાં કૅલની ઉંમર એ જ છે, જ્યારે ઑલિવ પાંચ વર્ષ મોટી થઈ ગઈ છે.

ફ્લાઈટ 828 ધરતી પર પાછી આવી ત્યાર બાદ એના પ્રવાસીઓને ગેબી અવાજ સંભળાય છે, ધૂંધળાં દશ્યો દેખાય છે. સિરીઝમાં એને ‘કૉલિંગ’ નામ આપવામાં આવ્યું છે. ‘કૉલિંગ’ એક રીતે તો ઊગરી ગયેલા પ્રવાસીઓની કસોટી છે, જેમાં એમને સારાં કાર્ય કરવાની, પાપનું પ્રાયશ્ચિત્ત કરવાની તક આપવામાં આવે છે.

પરત આવેલા પ્રવાસીઓને દેખાતાં ધૂંધળાં દશ્યો કે કાને પડતા ગેબી અવાજ જાણે ભાગ્યના સંદેશવાહક છે. એ તેમને ભાવિ ઘટનાઓ તરફ દોરી જાય છે. આ સંકેત રહસ્યોથી ભરેલાં છે. પ્રવાસીઓએ અવાજનું અર્થઘટન કરીને આગળ વધવાનું છે. જાણે નિયતિ પોતે એમને માર્ગ ચીંધી રહી છે. ધીરે ધીરે સ્પષ્ટ થાય છે કે આ કોઈ ઈશ્વરીય યોજના છેઃ ભગવાનમાં શ્રદ્ધા, જરૂરતમંદો પ્રત્યે અનુકંપા તથા નવી શરૂઆત કરવાની અદમ્ય ઈચ્છા નક્કી કરશે કે એ જીવતાં રહેશે કે નહીં.

અંતે કથા ત્યાં પહોંચે છે, જ્યાં ફ્લાઈટ 828 પાછી દેખાય છે. આખા પ્રવાસથી એ સમજાય છે કે દરેક કાળા માથાના માનવીએ કરેલાં પાપનો સ્વીકાર કરી, એનું પ્રાયશ્ચિત્ત કરી નવી શરૂઆત કરવી પડે છે. અને મુક્તિ-મોક્ષ માટે ક્ષમા (આપવી) પણ જરૂરી છે. સિરીઝમાં ફ્લાઈટ 828ના પર્વાસીઓને બાઈબલના શ્લોકો કે ચિહ્નો પણ દેખાય છે, જે દર્શાવે છે કે બધું હજાર હાથવાળા ઈશ્વરના ઈશારે જ થાય છે.

મારી કને પાકી બાતમી તો નથી, પણ કહે છે કે, મેનિફેસ્ટ એ ફ્લાઈટ MH-370ની ઘટનાથી પ્રેરિત છે. 8 માર્ચ, 2014ના રોજ મલયેશિયાની રાજધાની કુઆલા લમ્પુરથી બીજિંગ (ચીન) જવા ઊડેલા બોઈંગ 777 વિમાનમાં પ્રવાસીઓ, પાઈલટ-ક્રૂ મળીને 239 લોકો હતા. વિમાન અચાનક ઍર ટ્રાફિક કન્ટ્રોલ સાથે સંપર્ક ગુમાવી બેઠું. છેલ્લા રાડાર ડેટા પ્રમાણે વિમાન હિન્દ મહાસાગરમાં ગરક થઈ રહ્યું, પણ એ કયાં ગયું કે ક્યાં ડૂબ્યું એની આજ સુધી ખબર પડી નથી. ન તો પ્લેનના અવશેષ મળ્યા, ન બ્લૅક બૉક્સ કે ડેડબૉડી. આ વિમાનના ગાયબ થઈ જવાને એવિયેશન-ઈતિહાસનું સૌથી મોટું રહસ્ય માનવામાં આવે છે.