સદગુરુ: તમને જે કોઈપણ પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યા હોય, તમે તેને કાં તો તેને આશીર્વાદમાં પલટાવી શકો છો અથવા તો તેને શાપરૂપ બનાવી શકો છો. સૌથી ભયાનક પરિસ્થિતિને પણ તમે ઘણી જ પ્રભાવશાળી રીતે સંભાળી શકો છો. દ્વિતીય વિશ્વ યુદ્ધની એક ચોક્કસ ઘટના છે. 13 વર્ષની એક છોકરી હતી. તે સમયે, 1939માં હિટલર ઓસ્ટ્રિયામાં યહૂદીઓને કોન્સન્ટ્રેશન કેમ્પ (કેદીઓને એકત્રિત કરીને એક સ્થળે રાખવાની જગ્યા)માં રાખતો હતો. એક સરસ મજાની સવારે સૈનિકો યહૂદીઓનાં ઘરોમાં ઘૂસીને અને પુખ્તો તથા બાળકોને વિખૂટાં પાડીને લઈ જતા હતા.

13 વર્ષની એક છોકરી અને તેના આઠ વર્ષના ભાઈને રેલવે સ્ટેશને લઈ જવામાં આવ્યાં. તે સમયે શિયાળો શરૂ થયો હતો અને ઓસ્ટ્રિયામાં ઠંડી પ્રસરવા માંડી હતી. સમૃદ્ધ પરિવારનાં એ બાળકો ત્રણ દિવસ સુધી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર રહ્યાં. તેમનાં માતા-પિતાને ક્યાં લઈ જવાયાં તેની તેમને ખબર ન હતી. પણ બાળકો થોડા સમય માટે જ દુખી રહ્યાં, ત્યાર પછી તેમને કશુંક મળી ગયું અને બંને રમવા માંડ્યાં. છોકરો ફૂટબોલ જેવી કોઈ રમત રમવા માંડ્યો. ત્રણ દિવસ પછી એક ગુડ્ઝ ટ્રેઇન આવી અને દરેક વ્યક્તિ તેના ડબ્બામાં ધકેલી દેવાઈ. તે સમયે છોકરીનું ધ્યાન ગયું કે તેનો ભાઈ તેનાં શૂઝ પહેરવાનું ભૂલી ગયો હતો. તેને ઘણો ગુસ્સો આવ્યો. તેણે તેના ભાઈનો કાન આમળ્યો અને ગાલ પર તમાચો લગાવી દીધો, કારણ કે આવી હાડ ગાળતી ઠંડીમાં શૂઝ વિના ટકવું ઘણું કપરૂં હતું. ત્યાર પછીના સ્ટેશને છોકરા-છોકરીઓને અલગ પાડી દેવાયાં.

સાડા પાંચ વર્ષ પછી, 1945માં, તે છોકરી કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી બહાર આવી. તેને જાણવા મળ્યું કે તેના પરિવારના તમામ સભ્યો મોતને ભેટ્યાં હતાં, જેમાં તેના નાના ભાઈનો પણ સમાવેશ થતો હતો. તે ક્ષણે, રહી-રહીને તેને એક જ વાત યાદ આવતી હતી – નાના ભાઈ સાથે વીતાવેલી છેલ્લી ક્ષણો. તેનો કાન આમળીને અને તેને તમાચો મારીને તેણે તેની સાથે કેટલું ખરાબ વર્તન કર્યું હતું. તે પછી તેણે સંકલ્પ કર્યો, ‘આજથી, હું જેને પણ મળું, જે પણ ચહેરો મારી નજર સામે આવે, તેની સાથે હું એવી રીતે વાત કરીશ કે જાણે તેની સાથેની મારી તે છેલ્લી વાતચીત હોય, જેથી મને સંતાપ ન થાય.’

જો તમે સજાગ હોવ, જો તમે દરેક માનવીમાં જે છે તેના સંપર્કમાં છો, અને તમને નર્કમાં મૂકવામાં આવે, તો ત્યાં પણ તમે તમારૂ જીવન બનાવી શકો છો. અન્યથા, તમને સ્વર્ગમાં મૂકવામાં આવે, તો પણ તમે ખરાબી જ કરશો. કોણે તમને કહ્યું છે કે તમે સ્વર્ગમાં નથી? એ વાતની શું ખાતરી છે કે તમે (ઓલરેડી) સ્વર્ગમાં નથી? ના. તો, તમે એવું શા માટે વિચારો છો કે હજી એવું કોઈ સ્થળ મોજૂદ છે, જે આ જગ્યા કરતાં વધુ સારૂં છે? આના કરતાં પણ વધારે સારૂં સ્થળ અસ્તિત્વ ધરાવે છે – આવો ભયાનક વિચાર એવા લોકોના દિમાગની ઊપજ છે, જેમણે પોતાના અસ્તિત્વને નર્કસમાન બનાવી નાંખ્યું. જો તમે સ્વયંમાંથી સ્વર્ગ બનાવશો, જો તમે પરમ આનંદમાં છો, તો પછી શા માટે તમે અન્યત્ર જવા ઈચ્છશો?
ધારી લો કે આ સ્વર્ગ છે અને તમે તેને ગુમાવી દીધું તો? ધારો કે આ સ્વર્ગ છે અને તમને કદી તેનું ભાન જ ન થયું, તો? – જીવન જીવવાનો આ કેટલો ખરાબ માર્ગ છે! અને હું તમને કહું છું, તમારા અનુભવનો આધાર તમારી અંદર છે. જો તમે તેનો દોરીસંચાર પોતાના હાથમાં લઈ લેશો, તો તમે આ ક્ષણે જ તેનામાંથી સ્વર્ગ ઊભું કરી શકો છો.
(સદ્ગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.




