મતની ગણતરી કરનારાં અધિકારીની પસંદગી સોફ્ટવેર કરશેઃ ચૂંટણીપંચ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ કે આક્ષેપો ન થાય તે માટે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા એક નવી સીસ્ટમ અપનાવવામાં આવી છે. ચૂંટણીપંચે મતગગણતરી અધિકારીઓની રેન્ડમ પસંદગી એક સોફ્ટવેર દ્વારા કરવાનો નિર્ણય લીધો છે.

જે પદ્ધતિથી ચૂંટણી માટે મતદાન કેન્દ્રના અધિકારીઓને ફરજ સોંપવાની પસંદગી કરવામાં આવે છે તે પદ્ધતિથી નહીં પરંતુ કોમ્પ્યુટર સીસ્ટમ દ્વારા મતગણતરી અધિકારીની પસંદગી કરાશે.

એક સોફ્ટવેર સીસ્ટમ દ્વારા રાજ્ય ચૂંટણીપંચ વિધાનસભાની તમામ સીટો માટે કયા ટેબલ પર કયા અધિકારી બેસશે તેનું રેન્ડમાઈઝેશન કરશે એટલે કે મતગણતરી અધિકારીના નામની જાહેરાત ચૂંટણી પંચના એક સોફ્ટવેર દ્વારા કરવામાં આવશે.

ચૂંટણી વિભાગ દ્વારા આધારભૂત અને સત્તાવાર હુકમ એક બંધ કવરમાં જે તે અધિકારીને આપી દેવામાં આવશે. સામાન્ય રીતે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં નિયત જોડાતાં કર્મચારીઓ કે અધિકારીનું રેન્ડમાઇઝેશન કરવાનું પણ ફરજિયાત છે. જેથી મતગણતરીમાં પણ એ જ પ્રક્રિયા થઇ શકે.

આ સિવાય મતગણતરી વખતે દરેકના બેઠકના રૂમમાં અધિકારી અને કર્મચારીઓ રહેશે અને દરેક ટેબલ પર ત્રણ અધિકારી કર્મચારીની બેઠક વ્યવસ્થા કરાશે. આ પૈકી એક મુખ્ય ગણતરી નિરીક્ષક, એક મદદનીશ અધિકારી અને એક ખાસ ફરજ પરના અધિકારી રહેશે. તો આ સિવાય ત્રણ અધિકારી કે કર્મચારી સાથે એક ઓબ્ઝર્વર પણ ત્યાં ફરજ પર હાજર હશે. આ તમામ અધિકારીઓને મુખ્ય કચેરી પર બોલાવવામાં આવશે. તમામને ૧૪ કે ૧૬ ડિસેમ્બરે બંધ કવર આપી દેવાશે જેમાં તેમને ક્યા ટેબલ પર બેસીને કામગીરી કરવાની છે તેનો હુકમ હશે. જો ચૂંટણી ફરજ પરના અધિકારીની તબિયત બગડે અને બીમારીના સંજોગો ઊભા થશે તો તે માટેની વ્યવસ્થા પણ ચૂંટણીપંચ દ્વારા મત ગણતરીના સ્થળે ઊભી કરાશે.

દરેક મતગણતરીના સ્થળ પર પીવાના પાણીની વ્યવસ્થા, ચ્હા કે કોફીની વ્યવસ્થા કે બીમારી આવે તો દવા અને તબીબની વ્યવસ્થા પણ ઊભી કરાશે. સુરક્ષાના કારણોસર ત્યાં હાજર રહેલી પોલીસને પણ કોઇ શારીરિક તકલીફ થાય તો દરેક મતગણતરી સ્થળ પર તબીબની ટીમ ઉપરાંત એમ્બ્યૂલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે.