વાસ્તુ: શું ઘરની આગળ વાંસ વાવેલા હોય તો મુશ્કેલી આવે?

માણસ જયારે કોઈ પણ કાર્ય શાર્ય કરે ત્યારે એનામાં ભરપુર આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. આત્મવિશ્વાસ એ સફળતા માટે જરૂરી ગુણધર્મ છે. પણ માત્ર આત્મવિશ્વાસ પણ સફળ બનાવે એવું કાયમ ન પણ બને. સફળ થવા માટે ઘણીબધી બાબતો સકારાત્મક હોય એ જરૂરી છે. એમાંથી એક બાબત છે સકારાત્મક ઉર્જા. સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવા માટેના નિયમો જે વ્યક્તિના મકાન અને પ્રોપર્ટી સાથે જોડાયેલા છે તેને વાસ્તુશાસ્ત્ર કહે છે. વાસ્તુશાસ્ત્રની રચનામાં હજારો વર્ષ લાગ્યા. તેથી જ તેનો યશ કોઈ એક વ્યક્તિ કે એક સમયને ન આપી શકાય.

ભારતીય નિયમોમાં વિજ્ઞાન અને ગણિત બંનેનું પુરતું ધ્યાન રાખવામાં આવેલું છે. તે ઉપરાંત હવામાન શાસ્ત્ર, સમાજ શાસ્ત્ર, ભુગોળ, ભૂસ્તર શાસ્ત્ર, પૃથ્વીની ચુંબકિયતા, સૂર્યની ગતિ, ચંદ્રની ગતિ, હવાની દિશા, મનોવિજ્ઞાન, જેવી અનેક બાબતોને ભારતીય વાસ્તુમાં આવરી લેવામાં આવી છે. તેથીજ માત્ર ઈન્ટરનેટ પરથી વાસ્તુને સમજવું અશક્ય છે. શું તમે આવીજ કોઈ માહિતી લઈને તમારી સર્જરી જાતે કરવાનું પસંદ કરશો? તો પછી જીવનની દરેક બાબતને સમૃદ્ધ કરવા માટેની બાબત માટે આવો શોર્ટ કટ શા માટે?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને કોઈ સમસ્યા હોય તો આપણ નીચે દર્શાવેલ ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: એક જગ્યાએ મારે ઘર લેવાનું હતું. વાસ્તુશાસ્ત્ર આધારિત ઘર છે એવું કહેવામાં આવેલું. ત્યાં વાંસ વાવેલા હતા, બુદ્ધનું માથું મુકેલું, આવું ઘણુબધું હતું. ઘણા બધા લેવલ હતા, જગ્યા ભેંકાર લગતી હતી, મને ન ગમી. ત્યાં રહેતા લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે શરૂઆતના થોડા દિવસ એમને સારું લાગ્યું પછી એમના જીવનમાં તકલીફો શરુ થઇ ગઈ. શરૂઆતમાં જેમણે હોંશે હોંશે સારું સારું કહીને વિડીઓ બનાવી હતી તેમાંથી કેટલાક તો છોડીને જતા રહ્યા હતા. તો આવું થવાનું કારણ શું? વાંસનો તો ફેંગશુઈમાં પણ નિષેધ છે એવું મેં સાંભળ્યું છે. અને બુદ્ધનું માથું થોડું જ રખાય?

જવાબ: તમે જે અનુભવ્યું તે અગત્યનું છે. તમારી વાત સાચી છે, વાસ્તુ અને ફેંગશુઈ ના નામે ઘણુબધું એવું ચાલી રહ્યું છે જે આધારભૂત નથી. જેમને આપણા દેશના સાચા ઇતિહાસમાં રસ નથી એમને શાસ્ત્રોની સમજણ ક્યાંથી આપવી? સસ્તું અને ટકાઉ શોધવા જતા મોટા ભાગે છેતરાવાનો વખત આવે. ક્યારેક એવું લાગે છે કે વાસ્તુ નામ આવે એટલે બધુજ બરાબર હશે. એની પરખ કરવા પોતે ઝવેરી ન હોય તો પણ સાચી સલાહ તો લેવીજ જોઈએ. કરોડોના મકાનમાં જો મનની શાંતિ ન મળે તો બધું જ વ્યર્થ છે. વળી કેમેરામાં બોલવાની પ્રબળ ઈચ્છા ઘણી વાર એવું બોલાવી દે છે કે પછી સાચું કહેતા શરમ આવે. એના કરતા સાચો અનુભવ કહેવો એ વધારે યોગ્ય છે.

સવાબ:  મારા દીકરાની વહુ પોતે કમાય છે એટલા ખોટા ખર્ચા કરે છે. કેટલું કહીએ પણ માનતી નથી. મહિનામાં એક જીન્સ બે ટીશર્ટ લાવે, પર્શ લઇ આવે, ને વારે વારે બહાર ખાવા જાય. આવું કેવી રીતે ચાલે? દીકરાને છુટા થવાનું કહ્યું છે. પણ અમારા સમાજમાં છોકરીઓની સંખ્યા ઓછી છે એટલે એ માનતો નથી. કોઈ ઉપાય બતાવોને.

જવાબ: બહેન શ્રી, જુવાનીમાં આવું કરવાનું ગમે. આમાં પોતે કમાય છે એ એક માત્ર કારણ નથી. વળી લગ્ન એ કાઈ મજાક નથી. કોઈ એકાદ વાર નજીકથી મળે તો એ ભૂલી નથી શકાતું. તો આતો લાંબો સહવાસ છે. એમ વાતવાતમાં છુટા થોડું થઇ જવાય? વહુને ના પાડશો તો વધારે કરશે એના કરતા એને કહો કે બે જીન્સ મારા માટે લઇ આવજે. હું પણ પહેરીશ. થોડું સાથે જમવા જાવ. ખર્ચ વધશે એટલે એની મેળે જ સમજણ આવશે.

આજનું સુચન: ફેંગશુઈ એ ભારતીય વાસ્તુ નથી.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)