વાસ્તુ: દિવાળીએ ઘરમાં સુખ-શાંતિનો અનુભવ કરવા શું કરવું?

ઈશ્વરે માણસને જે એક વરદાન આપ્યું છે તે છે પ્રેમ કરવાનું. સહજીવન તો બધાને મળે પણ પ્રેમની અભિવ્યક્તિ જ્યાં ન હોય ત્યાં જીવન શું કામનું? કેટલાક લોકોને પ્રેમ દેખાડવો ગમે અને કેટલાકના મૌનમાં પણ પ્રેમ છલકે. કેટલાક વારંવાર લડતા હોવા છતા એક બીજાને ચાહતા હોય અને કેટલાક એક છત નીચે રહીને પણ પ્રેમ વિના તરફડતા હોય. ક્યાંક દરરોજ ઉત્સવ હોય અને ક્યાંક ઉત્સવ પણ સુના હોય. ભારત દેશ એટલે ઉત્સવોનો દેશ. એમાં પાછુ માત્ર બાહ્ય ઉત્સવની વાત નહિ. આંતરિક ઉત્સવ પણ એટલોજ સુંદર હોવો જોઈએ. સમગ્ર વિશ્વને કુટુંબ સમજવાની વાત જે દેશમાં હોય એના ઉત્સવ પણ મજેદાર જ હોય ને?

આપને કોઈ સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમૈલ પર આ વિભાગમાં તેના વિષે પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: દિવાળી આવે છે. હવે કોવિડ જેવું લાગતું પણ નથી. બધે જ ઉત્સવ મનાવશે. પણ કોઈ એવી ખાસ વાત હોય તો આપ જણાવો જેના કારણે ઘરમાં સુખ શાંતિ આવે. દોઢ વરસથી ખાસ કોઈ આવક નથી તો શું કરવાથી એમાં પણ લાભ થાય? ટૂંકમાં દિવાળી સુધરે એના માટે શું કરવું જોઈએ?

જવાબ: કોવિડ જેવું લાગતું નથી પણ એ હજુ સાવ ગયો પણ નથી. વિદેશમાં ઘણી જગ્યાએ હજુ પણ એ દેખાઈ રહ્યો છે. ઉત્સવ મનાવો પણ એવી રીતે નહિ કે આપ આપના પરિવાર માટે કોઈ નુકશાનકારક પગલા લઇ લો. દિવાળીનો ઉત્સવ એટલે જીવનના અંધકારમાંથી ઉજાશ તરફ જવાની વાત. ઘરની સફાઈથી લઈને દીપ પ્રાગટ્ય સુધીની દરેક પ્રક્રિયા નવી ઉર્જાનો સંચાર કરવામાં મદદરૂપ થાય છે. દિવાળીનો તહેવાર શરૂ થાય વાઘ બારસથી. ત્યારથી લઈને લાભ પંચમ સુધી નિયમ મુજબ દરેક તહેવારને મનાવવામાં આવે તો સુખનો અનુભવ ચોક્કસ થશે. માત્ર એના માટે ભારતીય પરંપરાને એના મૂળ સ્વરૂપે સમજવી પડે.

સવાલ: હું કોઈને અપાર પ્રેમ કરું છું. એ પણ મને પ્રેમ કરે છે એ મને ખબર છે. મારે દિવાળી પર એના માટે કોઈ એવી ભેટ લેવી છે જેના કારણે એ મને કાયમ માટે યાદ કરે. તો મારે શું લેવું જોઈએ?

જવાબ: કોઈ તમને કાયમ યાદ કરે એના માટે એને ગમતું કરવું જોઈએ. તમે કોઈ વસ્તુ લેશો તો એ વપરાઈ જશે. એને સમય આપો અને એ પણ એમને ગમતો સમય આપો. જીવનમાં ઘણી બધી વખત આપણે વસ્તુઓને લાગણીઓ સાથે જોડી દેતા હોઈએ છીએ. જ્યાં આપણી જરૂર હોય છે ત્યાં માત્ર વસ્તુઓ થી ચાલી જશે એવી માન્યતામાં જીવી રહ્યા છીએ. ગમતી વ્યક્તિથી વિશેષ ભેટ કઈ હોઈએ શકે? તમે જાતે એને મળવા જાવ. થોડી વાર સાથે બેસીને એમને ગમતી વાત કરો. એમના ખબર અંતર પૂછો. એમને ગમશે. આ દિવાળી સાચે જ યાદગાર બની જશે. ઉત્સવ બની જશે. એમના માટે ઈશ્વરને પ્રાર્થના કરો.અને એમને સાચા અર્થમાં શુભેચ્છા આપો.

આજનું સુચન: ઘરમાં લાંબા સમય સુધી એકજ જગ્યાએ મૂકી રાખેલી વસ્તુ નકારાત્મક ઉર્જા આપી શકે છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)