કોરોના અને વાસ્તુને કોઈ સંબંધ ખરો?

યારે મન ચકરાવે ચડે ત્યારે વિચારો વધારે આવે. તમારા સેમિનારમાં સાંભળ્યું હતું કે માણસ ગમે તેટલું પ્લાનિંગ કરે પણ એનો કોઈ અર્થ નથી રહેતો. કુદરત આગળ એ સાવ પાંગળો છે. સાચું કહું, તમારા ગયા પછી અમે એને મજાકમાં લીધું હતું. પણ આજે જયારે ચીનની પરિસ્થિતિ જોઈએ છીએ ત્યારે તમારી વાત યાદ આવે છે. માણસ વિમાનમાં બેસે ત્યાં સુધી એને ખબર નથી હોતી કે એ વિમાન ઉડશે કે નહિ અને ઉડ્યા પછી એ નિશ્ચિત સ્થાને પહોંચશે કે નહિ એ પણ ખબર નથી હોતી તો પણ એ વિમાનથી ઊંચાં જવાના પ્લાન બનાવે છે. પણ શું માત્ર અત્યારની ક્ષણમાં જીવવું શક્ય છે ખરું? જોકે બેન્ક ઉઠી જાય તો પૈસા જતા રહે, શેર બજારના રોકાણનો તો ક્યાં ભરોસો હોય અને રોજ પેલી શીલા અથડાવાના સમાચાર આવે ત્યારે એવું થાય કે જગતનો અંત તો નહિ આવેને? પણ એવું માત્ર ક્ષણમાં જીવાય કેવી રીતે? અને આ કોરોના વાયરસ ની અસર અને વાસ્તુને કોઈ સંબંધ ખરો? જો કોઈ ઉપાય હોય તો જણાવવા વિનંતી.

તમે હવે આ વાતને સીરીયસલી લઇ રહ્યા છો એ સારી વાત છે. માણસનું પ્લાનિંગ ખોટું ઠરે ત્યારે તેને તણાવ થાય છે. શેર માર્કેટ નીચે જાય અને બેંક ઉઠે ત્યારે ઝુપડામાં રહેતા કેટલા લોકોની ઊંઘ ઉડી જાય છે? જેની પાસે ખપ પુરતું છે એને ખોવાનો ભય નથી હોતો. અતિ હમેશા કોઈને કોઈ સમસ્યા આપી શકે. એનો અર્થ એવો પણ નથી કે કર્મ કરવાનું છોડી દો. જેને કામ કરવું છે એના માટે હમેશા કોઈક કામ તો હોયજ છે. જયારે અપેક્ષાઓ વધે છે ત્યારે જ તકલીફ પડે છે. એષણાઓ અંતહીન છે. કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી દરેક વ્યક્તિથી કોઈક જગ્યાએ તો અન્ય કોઈ વધારે સારું હશે જ. વળી જો પ્લાનિંગ પ્રમાણે જ જીવન ચાલતું હોત તો કોઈના પ્લાનમાં કોરોનાનો ભય તો ન જ હોય. મૃત્યુનું પ્લાનિંગ જુજ લોકો જ કરે છે.  એ પણ જરૂરી છે.

કોરોના વાયરસની અસર હજુ ભારત પર ચીન જેટલી નથી. એનું એક કારણ આપણી જીવન શૈલી એમના કરતા જુદી છે એ પણ છે. બંને દેશના તાપમાન પણ અલગ છે. અને વિચારધારા પણ. ક્યારેક રોગ કરતા રોગનો ભય મારી નાંખે છે. આ વાયરસ ફેફસાને અસર કરે છે. તે હવા દ્વારા ફેલાય છે અને જીવલેણ છે. વળી જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને આની ઝડપથી અસર થાય છે. હવે થોડી વાત કરીએ વાસ્તુ નિયમોની. ભારતીય વાસ્તુમાં વધારે ઓક્સિજનઆપતી વનસ્પતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેના માટેની સાચી દિશા દર્શાવવામાં આવી છે. જો સારા પ્રમાણમાં ઓક્સિજન મળતો હોય તો વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધે? ફેફેસા વધારે સારા રહે?ભારતીય વાસ્તુમાં સારા સૂર્ય પ્રકાશની વાત કરવામાં આવી છે. સવારનો તડકો માણસની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે? સૂર્યની ગતિને ધ્યાનમાં રાખી અને સમગ્ર મકાનમાં કઈ જગ્યાએ કયું કામ કરવું તેની અદ્ભુત વાત ભારતીય નિયમોમાં દેખાય છે. વોટર બેલન્સ ની વાત પણ ભારતીય નિયમોમાં દેખાય છે. શરીરમાં યોગ્ય રીતે યોગ્ય સમયે પાણી જતું હોય તો વ્યક્તિને વાયરસની અસર થવાની સંભાવના ઘટી જાય છે તેવું વિજ્ઞાન કહે છે? આપની ક્રિયાઓ અને પ્રક્રિયાઓ પણ જગતને હવે સમજવા લાગી છે. હવે કેટલા લોકો ભેટીને, ચૂમીને કે પછી હાથ પકડીને અભિવાદન કરવાનું પસંદ કરશે. હવે પેલા મેનેજમેન્ટ ગુરુની વાત કેટલા માનશે? છેને સમય આધારિત નિર્ણયની જરૂરિયાત? યોગ અને પ્રાણાયામ તરફ વિશ્વ જઈ રહ્યું છે અને ફરી આપણી ઔષધિઓ વિશેની સાચી સમજ ઉભી કરાય એ સમય પણ આવી ગયો છે. આપણા દરેક કાર્યમાં વિજ્ઞાન છે. મહામૃત્યુંન્જયમંત્રના સ્વરોદયમાં શક્તિ છે. એને લખીને ઓશીકે મુકવાથી લાભ મળે ખરો? એક જરૂરી વાત આ એક મહામારી છે. તેથી તેને માત્ર મજાકમાં પણ ન જ લેવાય. ડરવાની જરૂર નથી પણ તકેદારી તો રાખવી જ પડે.

 

જયારે પશ્ચિમ અને દક્ષિણના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હોય ત્યારે આ પ્રકારની બીમારી આવી શકે. જોકે એના માટે જેતે જગ્યાનો યોગ્ય અભ્યાસ પણ કરવો જ પડે.દર અર્ધા કલાકે થોડું થોડું પાણી પીવાથી, પ્રાણાયામ કર્યા બાદ મહામૃત્યુંન્જયના મંત્રના યોગ્ય ઉચ્ચારણ સાથે જાપ કરવાથી અને જરૂરી સ્વચ્છતાઅને આચરણના નિયમો પાળવામાં આવે તો આ બીમારી આવવાની શક્યતા ઘટી જાય છે. આ ઉપરાંત શિવલિંગ પર યોગ્ય રીતે અભિષેક પણ કરી શકાય.