વાસ્તુ શાસ્ત્રને વિજ્ઞાન સાથે કોઈ સીધો સંબંધ ખરો?

તમે ક્યારેય ઈશ્વરને આઈ લવ યુ કહ્યું છે? જેના થકી જીવન છે એને આવું કહી શકાય. પણ લવ શબ્દ અંગ્રેજી હોવાથી એ પ્રિત કે પ્રેમનો સાચો પર્યાય નથી બની શક્યો. પ્રેમના અનેક પ્રકાર છે. અને એમાં સાત્વિક તત્વ પણ છે. પ્રેમને આકર્ષણનો પર્યાય ન જ ગણી શકાય. મન અને હૃદયનું સ્થાન અલગ જ છે. પ્રેમ શબ્દની પરિભાષા સમજવા માટે પ્રેમને સમજવો જરૂરી છે. જ્યાં માત્ર નજર પડી જાય અને ઉન્છાન્છણાપણું જાગતું હોય ત્યાં મીરાનો પ્રેમ તો ક્યાં સમજાય? કોઈ અલગ જ યુગમાં જન્મેલી વ્યક્તિના પોતાના હોવાના વિશ્વાસ પર જીવી જવું. રાજાના ઘરે જન્મ લઇ, રાજરાણી થયા પછી પણ માત્ર કૃષ્ણના કારણે જોગણ બની રહેવું એ કલ્પના પણ અદ્ભુત લાગે. મીરાં એ આધ્યાત્મિક પ્રેમનું સાચું પ્રતિક ગણી શકાય. એટલે જ મીરાના મંદિર નથી કારણકે મીરા શ્યામમાં સમાયેલી છે. શ્યામના દર્શન કરીએ એમાં એ પણ આવી જાય.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુનીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: મને કોઈએ વાસ્તુના ભાગ રૂપે એક કાચની પેટી આપી છે. એમાં ચારેય બાજુ બે બે ભાગ છે. અને દરેક ભાગના રંગો ઇન્દ્રધનુષના રંગો જ છે. એક ભાગ પારદર્શક છે. જેણે મને આપી છે એનું કહેવું છે કે આ પેટીમાં બેસવાથી શરીરના જે ભાગને સૂર્યના જે કિરણની જરૂર છે એ મળશે. વિજ્ઞાનના માણસ તરીકે આ વાત ગળે ઉતરતી નથી. આપ સમજાવશો કે હું બરાબર વિચારું છુ કે નહિ.

જવાબ: ભાઈશ્રી. મને ખુબ આનંદ થયો કે તમે વિજ્ઞાનનો આધાર લેવા પ્રયત્ન કર્યો. બાકી માહિતીના આજના જમાનામાં લોકો પત્થરો પણ વેચી મારે છે. કોઈ પણ એક સમયે સૂર્ય કિરણ એક જ દિશામાંથી આવે. બીજી વાત સુર્ય ક્યારેય ચારેય દિશામાં ફરતો નથી. કિરણમાં સાત રંગો એક સરખા પ્રમાણમાં નથી, જેને નથી સમજાતું એને છેતરવા સહેલા છે. અને જે અજ્ઞાન છે એને ઠગી પણ શકાય. વળી મૂર્ખતા ત્યાં છે કે વધારે લોકો માને છે એટલે એ માનવું જોઈએ એવી માન્યતામાં પણ ઘણા જીવે છે. પેલી પેટી અને વાસ્તુને કોઈ સંબંધ નથી.

સવાલ: મારો ઉછેર વિદેશમાં થયો, માતાપિતાના અવસાન બાદ મારે ભારત આવવું પડ્યું. અહી કોલેજમાં એક વિદ્યાર્થી છેડતી કરતો. મે શિક્ષક, પ્રિન્સીપાલને ફરિયાદ કરી તો એ લોકો મારો વાંક કાઢે છે. પ્રિન્સીપાલ તો પેલા છોકરા વિરુદ્ધ કાઈ સાંભળવા તૈયાર જ નથી. ક્યારેક એ છોકરાની હાજરીમાં એ પણ મજાક કરી લે છે. વિદેશથી આવેલ બધા ચરિત્ર વિનાના હોય અને કપાળે તિલક કરનાર બધા સાધુ હોય એવી ગેરમાન્યતા ધરાવતા લોકો વચ્ચે મને રૂંધામણ થાય છે. ગુરુપૂર્ણિમાના દિવસે હું પ્રિન્સીપાલને પગે લાગી તો એમણે મને કમરથી પકડી પોતાની તરફ ખેંચવા પ્રયત્ન કર્યો. હું પાછળ ખસી ગઈ તો એમણે કાર્યક્રમ દરમિયાન આડકતરી રીતે મને ઉતારી પાડવા પ્રયત્ન કર્યો. પેલો છોકરો અનેક છોકરીઓને રંજાડે છે એ જાણતા હોવા છતાં સર એને ફેવર કરે છે અને જાહેરમાં એના ખભા પર હાથ રાખીને કહે છે કે અમને ફાવે છે. હું કમાતી નથી એટલે દાદાદાદી સાથે રહેવું પડે છે. હજુ મને ભારતના બીજા ભાગ વિશે પુરતી સમજણ પણ નથી. શું કરું?

જવાબ: બહેનશ્રી. સન્માન એને અપાય જે સન્માનને લાયક હોય. વસ્ત્રો, તિલક, ભાષાનો પ્રયોગ, આડંબર આ બધુજ આવરણ છે, જે મુર્ખ બનાવી શકે છે પણ લાંબુ ચાલતું નથી. લંપટ શબ્દ વિદ્યાના મંદિરની બહાર હતો એ હવે અંદર પ્રવેશી ચુક્યો છે જે આપની વાત પરથી લાગે છે. બની શકે પેલો છોકરો શિક્ષકોને કોઈ પ્રલોભનો આપતો હોય. બાકી પ્રિન્સીપાલને વિદ્યાર્થીના પગ પકડવાની શું જરૂર પડે? અથવાતો પછી એનાથી પ્રિન્સીપાલ ડરતા હોય. ડરપોક સુકાની હોડીને ડુબાડે જ. પહેલી વાત કે એ બધાને નીગ્લેક્ટ કરો. વંદનને લાયક ન હોય એને ન નમાય, મોર્ડન હોય એમનું ચારિત્ર ખરાબ જ હોય એવું માનવા વાળા સમાજમાં વધારે ન રહેવાય. કોઈ સારી સંસ્થામાં એડમીશન લઇ લો. એક સંસ્થા ખરાબ હોય, બધીજ નહિ. તમારી સંસ્થામાં અગ્નિમાં ગોળાઈ છે. પશ્ચિમમાં માર્જીન વધારે છે અને પેલો છોકરો નૈરુત્યમાં બેસે છે. તેથી પ્રિન્સીપાલ એને માને છે, કર્મનો સિદ્ધાંત એનું કામ કરે જ છે. મને વિશ્વાસ છે કે કુદરત ન્યાય કરશે જ. તમે દરરોજ સવારે શિવપૂજા કરો. સૂર્યને જળ ચડાવો. સાચો માર્ગ જરૂર મળશે.

આજનું સુચન:  નૈરુત્યમાં પહાડ બનાવવો જ પડે એ માન્યતા ખોટી છે,

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)