આજથી તલાટી કમ મંત્રીઓની રાજ્યવ્યાપી હડતાળ

ગાંધીનગરઃ સરકાર સામે હવે તલાટી કમ મંત્રીઓ પણ નારાજ થયા છે. પોતાની માંગણીઓને લઇને તલાટી કમ મંત્રીઓએ રાજ્ય સરકાર સામે બાંયો ચડાવી છે. પગાર વધારો, રેવન્યૂ જૉબ ચાર્ટ કરવા સહિતનાં મુદ્દાઓને લઇને તલાટીઓ વિરોધ કરી રહ્યા છે. તલાટીઓએ સ્ટેચ્યુ ઑફ યુનિટેને લઇને નીકળનારી એકતાયાત્રાનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

તલાટીઓની આ હડતાળને કારણે ગ્રામ પંચાયતનાં કામ થંભી જશે.પંચાયતનાં 1થી 32 અને મહેસૂલનાં 1થી 18 કામ મળીને કુલ 50 કામોમાંથી 47 કામ તલાટી કમ મંત્રી અને 3 કામ મહેસૂલ તલાટી તથા ઈ-ધરા સેન્ટર મળીને કરે છે.

તેમ છતા તલાટી કમ મંત્રીઓને અન્યાય થઈ રહ્યો હોવાનું તલાટીઓ કહી રહ્યા છે. આ કારણે રાજ્યનાં તલાટી કમ મંત્રીઓ હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળ 31 તારીખ સુધી ચાલશે તો તલાટીઓ સરકારને સ્ટેચ્યૂ ઑફ યુનિટીનાં કાર્યક્રમને લઇને કોઇપણ પ્રકારનો સાથ નહીં આપે તેવી ગુજરાત રાજ્ય તલાટી મહામંડળે કરી છે.

તલાટી કમ મંત્રીઓની માંગણીઓ છે કે તેમનો પગાર વધારવામાં આવે, પ્રમોશન, રેવન્યૂ, ફીક્સ પગારની નોકરી સળંગ ગણાવવામાં આવે. આ ઉપરાંત જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવે.

તલાટી કમ મંત્રી મહામંડળનાં પ્રમુખનો સરકાર પર આરોપ છે કે સરકારે સહાનુભૂતિ દર્શાવી નથી. તેમની માંગ છે કે જૂની પેન્શન યોજના બંધ કરી નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવે અને સિંગલ વિન્ડો સિસ્ટમ કરી ગામદીઠ એક તલાટી કમ મંત્રી ગોઠવવામાં આવે.