રાષ્ટ્રીયસ્તરની આગામી હેકાથોન યોજાશે આ તારીખે, વિદ્યાર્થીઓ લાવશે…

અમદાવાદ: જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. નવીન શેઠે જાહેરાત કરી છે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આરોગ્ય અને ફાર્મસી ઉદ્યોગની સમસ્યાઓ હલ કરવા રાષ્ટ્રીય સ્તરની હેકાથોન આગામી 28થી29 સપ્ટેમ્બર દરમિયાન યોજશે.

આ અનોખી હેકાથોન માટે દેશભરમાં ફાર્મસી,બાયોટેકનોલોજી, નર્સિંગ,એમબીબીએસ અને આરોગ્ય જગતના અન્ય કોર્સ ચલાવતી કૉલેજોના વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવશે. જીટીયુ તરફથી વિવિધ ઉદ્યોગો,સરકારી એજન્સીઓ તથા ઔદ્યોગિક સંગઠનો જેવા કે ઈન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, આયુર્વેદ ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, ગુજરાત આયુર્વેદિક ઔષધ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન,બલ્ક ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન,ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા, કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રાલય,આયુષ મંત્રાલય, કેમિકલ ઉદ્યોગના સંગઠનો,એસોસિએશન ઑફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઈન્ડિયા અને હેલ્થકેર ફેડરેશન ઑફ ઈન્ડિયા વગેરેને સંદેશા પાઠવીને તેઓને મૂંઝવતી સમસ્યાઓ તથા પડકારો વિશે જાણકારી મંગાવવામાં આવી છે.

તેમાંથી મહત્ત્વની સમસ્યાઓ હલ થઈ શકે એવી એપ્લિકેશન કે એપ બનાવનાર કે પ્રોજેક્ટ વિકસાવનાર ટીમોને જીટીયુ તરફથી પારિતોષિકો પણ એનાયત કરવામાં આવશે, એમ ડૉ.શેઠે જણાવ્યું હતું.

ફાઈલ તસવીર

ભારત હાલમાં ફાર્મસી હબ તરીકે વિકાસ પામ્યું છે. ભારતનો ફાર્મસી ઉદ્યોગ કદની દૃષ્ટિએ ત્રીજા સ્થાને અને મૂલ્યની દૃષ્ટિએ 14મા સ્થાને છે.  જો કે વૈશ્વિક મંદી અને અન્ય પરિબળોને કારણે આરોગ્ય અને ફાર્મસી ઉદ્યોગ અનેક સમસ્યાઓ અને પડકારોનો સામનો કરી રહ્યા છે તેનો ઉકેલ વિદ્યાર્થીઓ લાવે તેવા હેતુથી ખાસ હેકાથોનનું આયોજન કરવામાં આવે છે.