વલસાડ નજીક 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ભય ફેલાયો

વાપીઃ વલસાડ સહિત નવસારી અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે સવારે સવા છ વાગ્યાના સુમારે 3.1 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં અરેરાટી વ્યાપી હતી. ભૂકંપનો આંચકો આવતા વહેલી સવારે લોકો સફાળા જાગી અને ઘરની બહાર નિકળી ગયા હતા.

સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ગાંધીનગરના જણાવ્યા મુજબ આ ભૂકંપનું કેન્દ્ર વલસાડથી ૫૯ કિલોમીટર સાઉથ ઇસ્ટ તરફ નોંધાયું છે. જે મહારાષ્ટ્રના થાનગાવ નજીક હોવાનું જાણવા મળ્યુ઼ છે. આંચકો જમીનમાં છેક ૩૮ કિલોમીટર નિચે આવ્યો હતો. પરંતુ ૩.૧ની તીવ્રતાને કારણે વલસાડ અને નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારમાં પણ લોકોએ ભૂકંપની અસર અનુભવી હતી.

વહેલી સવારે ૬.૧૬ વાગ્યે ૩.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકાએ લોકોમાં પણ ગભરાટ ફેલાવ્યો હતો. તો આ સીવાય આજે વહેલી સવારે કચ્છમાં પણ ત્રણ હળવા આંચકા અનુભવાયા છે.