ખેડા અને છોટાઉદેપુરમાં મગફળીનો પાક નોટીફાઇડ ન હોવાથી દાવાઓ નહીં ચૂકવાય

ગાંધીનગર-વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, અમરેલી જિલ્લામાં ૨૦૧૬માં રૂ.૧.૮૯ કરોડ પાકવીમા પ્રિમિયમ પેટે વિમા કંપનીને ચૂકવવામાં આવ્યા તેમાં ભારત સરકાર ૫૦ ટકા રાજ્યના ખેડૂતો ૨ થી ૫ ટકા તથા બાકીની રકમ રાજ્ય સરકાર ભોગવે છે.ખેડા અને છોટાઉદેપુર જિલ્લામાં કપાસ અને મગફળીના બાકી પાક વીમા અંતર્ગત વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત પ્રશ્નના ઉત્તરમાં કૃષિપ્રધાને પાકવીમા માટેની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, પાકવીમા પેટે સંબંધિત તાલુકાના ૩૦ ટકા વિસ્તારમાં મુખ્ય પાકના આધારે નોટીફાઇડ પાકની ગણતરી કરવામાં આવે છે. કપાસના વીમા અંતર્ગત  જણાવ્યું કે, આ બાબત ટેકનિકલ એડવાઇઝરી કમિટી પાસે છે. તે ગામ યુનિટને ધ્યાનમાં લઇ તેની કાર્યવાહી કરી છે.

૨૦૧૬માં ખેડા અને છોટાઉદેપુર જિલ્લામાં મગફળીનો પાક નોટીફાઇડ ન હોવાથી દાવાઓ ચુકવવાના રહેતા નથી જ્યારે છોટાઉદેપુર જિલ્લાના નોટીફાઇડ થયેલ તાલુકાઓ પૈકી ક્વાંટ તાલુકામાં કપાસ પાકમાં ૪૨૧ ખેડૂતોને ૯.૯૩ ટકા વીમો ચૂકવવામાં આવેલ છે અને ખેડા જિલ્લાના નોટીફાઇડ તાલુકાઓમાં કપાસ પાકમાં વિમાની ગણતરી પ્રગતિમાં છે ત્યારે આ ગણતરી પૂર્ણ થયે ચૂકવણી અંગે નિર્ણય થશે.