સંકલ્પશક્તિનો સિદ્ધાંત…

સંકલ્પશક્તિનો સિદ્ધાંત એ માનવજીવનને અર્થપૂર્ણ દિશા આપે છે, કારણ કે જીવનમાં અવરોધો અનિવાર્ય છે, પરંતુ મનુષ્યનો સંકલ્પ જ તે અવરોધોને તોડી આગળ વધવા માટેનું ઈંધણ બને છે.

उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् ।

आत्मैव हृात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ।।

(ભગવદ્ ગીતા અધ્યાય 6, શ્લોક 5)માં શ્રીકૃષ્ણ દ્વારા ઉલ્લેખિત “આત્મા પોતાનો ઉદ્ધારક છે” એ વાક્ય માત્ર ધાર્મિક નથી, પરંતુ વ્યવહારિક જીવન માટે એક અમુલ્ય માર્ગદર્શિકા છે. અર્થાત્, આપણો ઉદ્ધાર કોઈ બીજાના સહારે નહિ, પરંતુ આપણા આત્મવિશ્વાસ અને નિર્ણયની શક્તિથી જ શક્ય છે.

સંકલ્પશક્તિ એ મનુષ્યનું એ આંતરિક બળ છે જે નિષ્ફળતાને ઉલટાવીને પડકારરૂપ અવસર બનાવે છે. ઉદાહરણ તરીકે, હેલન કેલર – જેઓ બાળપણથી અંધ અને બહેરા હતાં પરંતુ પોતાના દ્રઢ સંકલ્પબળથી વિશ્વપ્રખ્યાત લેખિકા અને સામાજિક કાર્યકર બની શક્યાં. તેમનું જીવન સાબિત કરે છે કે જ્યારે શરીરની મર્યાદા હોય ત્યારે આત્માની શક્તિ અસીમ બની શકે છે. એ જ રીતે, ઇલોન મસ્કે પોતાના જીવનમાં અનેક નિષ્ફળતાઓ છતાં “સ્પેસએક્સ” અને “ટેસ્લા” જેવી અદ્યતન કંપનીઓ વડે વિશ્વને નવી દિશા આપી; તેમની સંકલ્પશક્તિએ દર્શાવ્યું કે સપનાઓ માટે એકાગ્રતા અને ધીરજ રાખવી એટલી જ મહત્વપૂર્ણ છે, ભારતીય સંદર્ભમાં રિતેશ અગ્રવાલનું “OYO Rooms” શરું કરવાનું ઉદાહરણ પણ દર્શાવે છે કે યુવાનીમાં સંકલ્પ અને જોખમ લેવાની હિંમત હોય તો આખું આકાશ તમારા માટે ખુલ્લું છે.

સંચાલન ક્ષેત્રે પણ, કોઈ પણ લીડરને તેની ટીમને પ્રેરિત રાખવા માટે પહેલ પોતે જ કરવી આવશ્યક બને છે. એક સશક્ત સંચાલક પોતાના આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને દૃઢ સંકલ્પને કર્મક્ષેત્રમાં પ્રતિબિંબિત કરાવે છે, અને તેની આંખોમાં ઝળકતો વિશ્વાસ આખી ટીમના મનોબળને ઉંચે લઈ જાય છે. રીયલ લાઈફ કોર્પોરેટ ક્ષેત્રના ઉદાહરણ તરીકે, ઇન્દ્રા નૂયીનું નામ લેવું યોગ્ય છે – એક ભારતીય સ્ત્રીએ વૈશ્વિક કોર્પોરેટ જગતમાં “પેપ્સીકો”ની સીઇઓ તરીકે સ્થાન મેળવ્યું, જે સંકલ્પ, નિશ્ચય અને સ્વનિર્ભર દૃષ્ટિનું ઉત્તમ પ્રતિક છે. તેઓએ એકવાર કહ્યું હતું કે “જ્યારે તમે પોતાના મનને મનાવો છો કે હું કરી શકું છું, ત્યારે વિશ્વ પણ તમારો સાથ આપે છે.” આ ફિલસૂફી એ જ ગીતાનાં શ્લોકનો આધુનિક સંદેશ છે.

અંતે કહી શકાય કે સંકલ્પશક્તિ એ એવું બીજ છે જે મનુષ્યના આંતરિક બળને જાગૃત કરે છે, આત્મવિશ્વાસને સ્થિર રાખે છે અને મનોબળને પ્રગતિના માર્ગે દોરી જાય છે. જીવનના દરેક ક્ષેત્રમાં – શિક્ષણ, વ્યવસાય, રમત, કે સામાજિક સેવા – સંકલ્પશક્તિ એ સફળતાનો આધારસ્તંભ છે, કેમ કે જે વ્યક્તિ પોતાના આત્માને જગાવી શકે છે, તે દુનિયા જીતવાની શક્તિ ધરાવે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)