આદર અને નમ્રતા દ્વારા નેતૃત્વનો વિચાર માત્ર આધ્યાત્મિક ઉપદેશ નહીં પરંતુ આજના કોર્પોરેટ અને સામાજિક જીવન
માટે એક વ્યવહારુ માર્ગદર્શિકા બની રહ્યો છે, અને ભગવદ્ ગીતા અધ્યાય 13ના શ્લોક-8…
अमानित्वमदम्भित्वमहिंसाक्षान्तिरार्जवम्|
आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रह: ||૮||
શ્રીકૃષ્ણ જે “અમાનિત્વમ્, અદંભિત્વમ્, અહિંસા, ક્ષાંતિ અને આરજવ” જેવા ગુણોની વાત કરે છે, તે આધુનિક નેતૃત્વની વ્યાખ્યાને નવી દિશા આપે છે, કારણ કે આજના સમયમાં નેતા ઘણીવાર પદ, પ્રોફાઇલ અને પાવર સાથે ઓળખાય છે, પરંતુ સાચું નેતૃત્વ તો માનવીય વલણ અને સંવેદનશીલ વર્તનમાં ઝળહળે છે.
આજનો કર્મચારી માત્ર ટાર્ગેટ અને ટાઈમલાઇન માટે નહીં, પરંતુ માન, વિશ્વાસ અને પોતાની ઓળખ માટે પણ કામ કરે છે, અને જ્યાં મેનેજર પોતાના અહંકારને બાજુ પર રાખીને ટીમની વાત સાંભળે છે, ત્યાં સંસ્થા એક યાંત્રિક સિસ્ટમ નહીં, પરંતુ જીવંત સમુદાય બની જાય છે.

ડિજિટલ યુગમાં સફળતા ઘણીવાર વ્યક્તિગત બ્રાન્ડિંગ, સોશિયલ મીડિયા હાજરી અને જાહેર પ્રશંસા સાથે માપવામાં આવે છે. પરંતુ ગીતા જે સંદેશ આપે છે તે એ છે કે શ્રેય લેવાની જગ્યાએ શ્રેય આપવાની કળા શીખવી જોઈએ. કારણ કે જેમ કૃષ્ણે શસ્ત્ર ધાર્યા વિના સમગ્ર યુદ્ધને દિશા આપી, તેમ આજનો સીઈઓ કે પ્રોજેક્ટ લીડર પણ પોતે મંચ પર નહીં, પરંતુ મંચ પાછળ ઊભો રહીને ટીમની પ્રતિભાને પ્રકાશમાં લાવી શકે છે.
આજના માનવ વર્તનમાં આપણે ઘણીવાર માન માંગીએ છીએ, પરંતુ માન આપવાનું ભૂલી જઈએ છીએ, અને આ જ વલણ કાર્યસ્થળે અસુરક્ષા અને આંતરિક સ્પર્ધા પેદા કરે છે. નમ્ર નેતૃત્વ આ ચક્ર તોડે છે, કારણ કે જ્યાં નેતા પોતાની ભૂલો સ્વીકારી શકે છે, ત્યાં ટીમ પણ નિર્ભય બનીને કામ કરે છે. અંતે આવી સંસ્કૃતિમાં સંસ્થા માત્ર નફો નહીં, પરંતુ ત્યાં કાર્યરત લોકોના જીવનમાં પણ મૂલ્ય ઉમેરે છે, જે લાંબા ગાળે સૌથી મોટી સફળતા સાબિત થાય છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)




