ભગવદ ગીતાજીના અધ્યાય-૨ના શ્લોક-૨૭માં ભગવાન કહે છે, ‘જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે.’ દુનિયામાં માણસે બનાવેલી કોઈ પ્રોડક્ટ ભાગ્યે જ એવી હોય છે, જે કાળક્રમે ક્ષતિગ્રસ્ત થઈ અને નાશ ન થઈ હોય. આ કારણથી અનંત કાળ સુધી ચાલશે એવી પ્રોડક્ટ જો બજારમાં આવશે તો બજાર ભાંગી પડશે.
કોઈ પણ પ્રોડક્ટનું સંભવિત આયુષ્ય ધ્યાનમાં રાખી એને ડિઝાઇન કરવી. ફુગ્ગો ચોવીસ કલાક પણ નથી ચાલતો અને મોટરગાડી ૨૦-૨૫ વર્ષ પણ ચાલે છે. કોઈનું આયુષ્ય લાંબું-ટૂંકું હશે પણ જેનું નામ છે, તેનો નાશ છે અને એટલે જ ભગવાન અધ્યાય-૨ના ૨૭મા શ્લોકમાં કહે છેઃ
જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ધ્રુવં જન્મ મૃતસ્ય ચ ।
તસ્માદપરિહાર્યેઽર્થે ન ત્વં શોચિતુમર્હસિ ॥૨૭॥
અર્થાત જેણે જન્મ લીધો છે, તેનું મરણ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે, તેનો પૂનર્જન્મ પણ અનિવાર્ય છે. તેથી, જે અનિવાર્ય છે તે અંગે તારે શોક ન કરવો જોઈએ.
આ સિદ્ધાંત કોઈ પણ ક્ષેત્રને લાગુ પડે છે. સમયાંતરે જો દેહ પરિવર્તન ન કરવામાં આવે તો જેમ દેહનો નાશ થાય છે તેમ જો અદ્યતન ટેક્નોલૉજી, વ્યાપાર પદ્ધતિઓ તેમજ હરીફને પહોંચી વળવા જુદી જુદી યોજનાઓ સમયાંતરે ન કરવામાં આવે અને તેના અમલ થકી પ્રતિસ્પર્ધીને મ્હાત નહીં કરવામાં આવે તો જેમ દેહનો યોગ્ય પ્રકારના ઔષધો, કસરત વગેરેને કારણે ક્ષીણ થઈને નાશ થાય છે તે રીતે વેપાર ધંધો પણ નાશવંત છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
