દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે, પણ એની ઉજવણી જાણે માત્ર એક ઔપચારિકતા બની રહી છે. આજના સમયમાં હવામાં શ્વાસ લેવો એટલો જ જોખમકારક છે, જેટલી પાણીમાં ડૂબકી લગાવવી.
ખાસ કરીને શહેરોમાં PM2.5 જેવો સૂક્ષ્મ હવા પ્રદૂષક તત્વ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. માટે જ આજના સમયમાં પૃથ્વી પર સૌથી મોટું જોખમ છે, વધતું પ્રદૂષણ. જેમા ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણના કારણે દુનિયા દિનપ્રતિદિન વધુ પ્રદૂષિત થતી જાય છે.
થીમ આધારીત ઉજવાય છે દિવસ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 1972માં સ્ટોકહોમ પર્યાવરણ પરિષદ દરમિયાન પર્યાવરણના મુદ્દે વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવા માટે આ દિવસની જાહેરાત કરી હતી. ત્યારબાદ 1974થી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની શરૂઆત થઈ, જેમાં પહેલા વર્ષની થીમ હતી ‘Only One Earth’ એટલે કે ‘એકમાત્ર પૃથ્વી’.
આ દિવસ સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ કાર્યક્રમ (UNEP) દ્વારા આયોજિત થાય છે. દર વર્ષે નવી થીમ સાથે આ દિવસ ઉજવાય છે. 2025ના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે ‘Ending Plastic Pollution Globally’ એટલે કે વિશ્વભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવો. જો કે આજે પણ વાત કરીશું વિશ્વમાં વધી રહેલા પ્રદુષણ વિશે. વિશ્વભરમાં ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ (industrialization and urbanization)ના કારણે દુનિયા દિનપ્રતિદિન વધુ પ્રદૂષિત થતી જાય છે. આજે હવામાં એટલું પ્રદૂષણ છે કે નાના બાળકોથી લઈને વૃદ્ધો શ્વાસની બીમારીઓનો ભોગ બની રહ્યા છે.
પ્રદુષણના કારણે થતી બીમારી દમ: બાળકો અને વૃદ્ધોમાં ખાસ કરીને શ્વાસ લેવાની તકલીફ, ખાંસી, અને શ્વાસ ફૂલે છે આ કારણે સ્કૂલમાં અભ્યાસથી લઇ ઘરની પ્રવૃત્તિઓ પર પણ અસર પડે છે. ક્રોનિક બ્રોન્કાઇટિસઃ હવાના પ્રદૂષણથી શ્વાસ નળીમાં સતત બળતરા રહે છે, જેના કારણે લોકો લાંબા ગાળાની ખાંસીથી પીડાતા રહે છે. ઘણી વખત શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી થાય છે. જેના કારણે વ્યક્તિ ઓક્સિજન પર રહેવા મજબૂર બને છે. ફેફસાંનું કેન્સરઃ ફેફસાંનું કેન્સર પણ હવે મોટું જોખમ બની ગયું છે. ખાસ કરીને શહેરોમાં લાંબા સમય સુધી પ્રદૂષિત હવામાં રહેવું કેન્સરના કેસોને વધવાનું મુખ્ય કારણ બની રહ્યું છે. હ્રદયરોગ અને સ્ટ્રોક જેવી બીમારીઃ હવાઈ પ્રદૂષણથી સીધી સંબંધિત છે આ બંને બીમારી. ઝેરી તત્વો ધમનિઓમાં બ્લોકેજ પેદા કરે છે અને બ્લડ પ્રેશર પર અસર કરે છે. પરિણામે લોકો અચાનક હાર્ટ એટેક કે મગજના સ્ટ્રોકથી જીવ ગુમાવે છે. આંખોની સમસ્યાઃ આંખો લાલાશ, સોજો અને દ્રષ્ટિ ધૂંધળી થવી સામાન્ય બની ગઈ છે. લોકોને સતત આંખોમાં તકલીફ રહે છે અને દેખાતું બધું થતું લાગે છે. ચામડીના રોગોઃ જેમાં એલર્જી, ખંજવાળ, અને રેસીસ પણ વધી રહ્યાં છે. નાના બાળકોમાં ત્વચા સંવેદનશીલ બની રહી છે. થાઈરોઇડ અને હોર્મોનલ અસંતુલનઃ થાઈરોઇડ અને હોર્મોનલ અસંતુલન જેવા આંતરિક અંગોને અસર કરતાં રોગોમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને મહિલાઓમાં હોર્મોન્સ બદલાવનું પ્રમાણ વધી રહ્યું છે, જેની પાછળનું મોટું કારણ છે ઔદ્યોગિક રાસાયણિક પ્રદૂષણ. માનસિક અસરઃ બાળ અવસ્થામાં મગજના વિકાસમાં વિક્ષેપ, ADHD, ઓટિઝમ જેવી સમસ્યાઓ હવાઈ પ્રદૂષણના કારણે વધી રહી છે. કિડની અને લિવરઃ કિડની અને વિવર જેવી આંતરિક રચનાઓ પણ હવે સુરક્ષિત નથી રહી. સીસા અને પારાના રૂપમાં રહેલા ઝેરી ધાતુઓ શરીરમાં ધીરે ધીરે એકઠાં થાય છે અને અંતર્ગત અંગપ્રણાલીને નુકસાન પહોંચાડે છે. આ તમામ રોગો માત્ર તાત્કાલિક નહીં, પણ લાંબા ગાળાના નુકસાનીકારક પરિણામ આપે છે. જેમાં લોકોની કાર્યક્ષમતા ઘટે છે, આરોગ્ય ખર્ચ વધી જાય છે અને જીવનની ગુણવત્તા ઘટી જાય છે. આવું માત્ર વ્યક્તિગત સ્તરે નહીં, પણ આખા દેશના આરોગ્યતંત્ર અને અર્થતંત્ર પર પણ ભારે ભાર પાડે છે. |
પ્રદૂષણના કારણે થાય છે વર્ષે લાખ્ખો મુત્યુ
વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, આજના સમયમાં દુનિયાના લગભગ 90 ટકા લોકો એવી હવામાં શ્વાસ લઈ રહ્યા છે, જે માનવ સ્વાસ્થ્ય માટે જોખમકારક છે. આ હવામાં રહેલા PM2.5 જેવા અતિસૂક્ષ્મ કણો, જે નરી આંખે જોઈ શકાતા નથી, પણ સીધા ફેફસાં સુધી પ્રવેશી જાય છે જે લાંબા ગાળે શ્વાસ લેવામાં તકલીફ, હૃદયરોગ, કેન્સર તથા દમ જેવા જીવલેણ રોગોનું કારણ બને છે. WHOના આંરડા પ્રમાણે દર વર્ષે માત્ર હવામાં રહેલા પ્રદૂષણના કારણે જ લગભગ 70 લાખ લોકો જીવ ગુમાવે છે. દુઃખદ બાબત તો એ છે કે આ અસર સૌથી વધુ બાળકો, વુદ્ધો અને દમના દર્દીઓ પર પડે છે.
ભારત જેવા વિકાસશીલ દેશોમાં આ સમસ્યા વધુ ભયજનક રૂપ ધારણ કરી રહી છે. તાજેતરના વૈશ્વિક હવાઈ ગુણવત્તાના અહેવાલો અનુસાર, વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 20 શહેરોમાંથી 14 શહેરો માત્ર ભારતમાં આવેલાં છે. એમાં ખાસ કરીને દિલ્હી, પટણા, લખનઉ, ગાજિયાબાદ, અમદાવાદ અને બિહારના કેટલાક શહેરો PM2.5 રજકણોની દૃષ્ટિએ અત્યંત જોખમભર્યા ગણવામાં આવે છે. આ શહેરોમાં રહી રહેલા લાખો નાગરિકો માટે રોજ શ્વાસ લેવો પણ આરોગ્ય માટે જોખમરૂપ છે.
હેતલ રાવ
