એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશી વસ્તુઓના ઉપયોગને ટાળવાનું આહ્વાન કર્યું છે ત્યારે લોકોમાં ફરીથી ચાઇનીઝ ઉત્પાદનના બહિષ્કારની વાતો શરૂ થઇ ગઇ છે. સોશિયલ મિડીયામાં પણ સ્વદેશી અપનાવીને, વિદેશી (ખાસ કરીને ચાઇનીઝ) માલનો બોયકોટ કરો એવા સંદેશાઓ ફરતા થઇ ચૂક્યા છે.
આત્મનિર્ભર થવાના મુદ્દે કોઇ બે મત ન હોઇ શકે, પરંતુ વિદેશી માલ-સામાનનો બહિષ્કાર કરવાની વાત વાસ્તવમાં કેટલી શક્ય છે એ મુદ્દે ઘણા અભિપ્રાયો છે ત્યારે આવો જોઇએ, લોકો આ મુદ્દે શું માને છે?
શિવાનંદ રાવલ, MSME એક્સપર્ટ
“વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાનો શ્રેષ્ઠ ઉપાય ગાંધીજીનો ગ્રામસ્વરાજ વિચાર છે. જો આપણું ગામડું મજબૂત હશે, તો દેશ મજબૂત બનશે. લઘુ ઉદ્યોગો દેશની કરોડરજ્જુ છે, જે ગામડાઓ પર નિર્ભર છે. ગ્રામસ્વરાજનો વિકાસ કરીશું, તો વિદેશી વસ્તુઓનો બહિષ્કાર સરળ બનશે.”
ઋષિ ઠેકડી, વિદ્યાર્થી, અમદાવાદ
“આપણે ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનો પ્રત્યે ગર્વ અનુભવીએ અને તેને પ્રાથમિકતા આપીએ. આનાથી સ્થાનિક ઉદ્યોગોને બળ મળશે, રોજગાર અને આવકની તકો વધશે, અને અર્થતંત્રનું ચલણ દેશમાં જ રહેશે. સૌ સાથે મળીને સ્થાનિક ઉત્પાદનો અપનાવીશું, તો આ વિઝન સાકાર થશે, જે ભારતને આર્થિક રીતે સમૃદ્ધ અને સ્વાવલંબી બનાવશે.”
ભાવિક રાઠોડ, ટેલેન્ટ એન્ડ બિઝનેસ ટ્રાન્સફોર્મેશન લીડ, રાજકોટ
“સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ ઘરનું બજેટ સંતુલિત રાખે તો આ વિચાર ઝડપથી સફળ થશે. ભારતીય વસ્તુઓની ગુણવત્તા ઉત્તમ હોવા છતાં, મોંઘી કિંમતો હશે, તો વિદેશી વસ્તુઓ પર નિર્ભરતા રહેશે. લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન સાથે સ્પર્ધાત્મક કિંમતો નિર્ણાયક છે.”
મિલી કૌશલ શાહ, શિક્ષક, અમદાવાદ
“સ્વદેશી વસ્તુઓનો વિચાર ગાંધીજીના સમયથી છે. આપણે દેશની વસ્તુઓનો ઉપયોગ કરીશું, તો પ્રગતિ થશે. ભારતીયોની આવડત અને મહેનતની ક્ષમતા છે, તો વિદેશી વસ્તુઓ પર નિર્ભર કેમ રહેવું? પહેલાં સ્વદેશી વસ્તુઓથી જીવન નિર્વાહ થતો હતો. વિભાજન નીતિથી તે ઘટ્યો, પરંતુ હવે આત્મનિર્ભરતાને સમર્થન આપવું જોઈએ.”
(તેજસ રાજપરા, અમદાવાદ)
