મકરસંક્રાંતિઃ સાંસ્કૃતિક વિવિધતાનું અનોખું પ્રતીક

મકરસંક્રાંતિનું પર્વ એ ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું અનોખું પ્રતીક છે. આ તહેવાર આખા દેશમાં ઉજવાય છે, પરંતુ દરેક રાજ્યમાં એની રીતભાત સાવ નિરાળી હોય છે. જ્યાં ગુજરાતમાં આ દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે અને ‘કાપ્યો છે’ ના ઉત્સાહભર્યા નાદ ગુંજી ઉઠે છે ત્યાં ભારતના અન્ય રાજ્યોમાં પણ આ દિવસને પોતાની પરંપરાઓ મુજબ હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે.

આમ, આ એક જ દિવસ દેશના વિભિન્ન પ્રદેશોના સાંસ્કૃતિક મેળા સમાન બની રહે છે.

તો ચાલો જાણીએ કે ભારતના અલગ-અલગ રાજ્યોમાં મકરસંક્રાંતિની ઉજવણી કઈ રીતે થાય છે?

ગુજરાત- ઉતરાયણ

ગુજરાતમાં જાન્યુઆર મહિનાના પ્રારંભથી જ પતંગબાજીનો માહોલ જામવા લાગે છે. ઉતરાયણના બે દિવસીય પર્વમાં ગુજરાતીઓ અગાશીઓ ગજવતાં ગજવતાં પતંગ કાપીને “કાયપો છે” અને “લપેટ”ના હર્ષનાદ સાથે ઉત્સાહમાં મગ્ન રહે છે. આ તહેવારમાં પતંગ ઉડાડવાની સાથે ઊંધિયું, જલેબી અને ચીકીની જયાફત માણવાનું અનેરું મહત્વ છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ખંભાત અને જામનગર જેવા શહેરોમાં આની ભવ્ય ઉજવણી થાય છે. મકરસંક્રાંતિનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે. આ દિવસે સૂર્યની ઉપાસના અત્યંત શુભ ગણાય છે. એવી માન્યતા છે કે આ પવિત્ર દિવસે કરેલા દાન-પુણ્યનું બમણું ફળ મળે છે, તેથી જ લોકો ગાયને ઘાસ ખવડાવી અને તલનું દાન કરીને પુણ્ય કમાય છે.

પંજાબ- લોહરી

પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતમાં લોહરીનો તહેવાર ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે, જેની પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. એવું મનાય છે કે દક્ષ રાજા દ્વારા ભગવાન શિવના અપમાનથી વ્યથિત થઈ માતા સતીએ અગ્નિસ્નાન કર્યું હતું. આ ભૂલના પ્રાયશ્ચિત રૂપે આજે પણ માતાઓ પોતાની દીકરીઓને સાસરે ભેટ મોકલે છે. આ દિવસે માતાઓ પોતાના નાના બાળકોને ખોળામાં લઈ પવિત્ર અગ્નિની પ્રદક્ષિણા કરે છે, જેથી સંતાનો ખરાબ નજર અને બીમારીઓથી સુરક્ષિત રહે. ‘લોહરી’ શબ્દ લાકડી (લ), સૂકાયેલા ગોબર એટલે કે છાણા (ઓહ) અને રેવડી (રી) ના સુમેળથી બન્યો છે. સાંજના સમયે હોલિકા દહનની જેમ લાકડીઓ અને છાણા પ્રગટાવી, લોકો અગ્નિની ચારેબાજુ લોકનૃત્ય ભાંગડા કરે છે. આ ઉત્સવ રવિ પાકની લણણીનો આનંદ પણ છે, જેમાં તૈયાર થયેલા પાકને પવિત્ર અગ્નિમાં અર્પણ કરવાની પ્રાચીન પરંપરા છે.

તમિલનાડુ- પોંગલ

તમિલનાડુમાં મકરસંક્રાંતિનો તહેવાર ‘પોંગલ’ તરીકે અત્યંત ભવ્યતા અને પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે, જે મુખ્યત્વે ખેડૂતોનો કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો ઉત્સવ છે. ખેતરોમાં પાકની લણણી પછી ઉજવાતા આ પર્વની તૈયારીઓ રૂપે લોકો સૌ પ્રથમ ઘરની સાફ-સફાઈ કરે છે અને આંગણામાં ચોખાના લોટથી કલાત્મક ‘કોલમ’ (રંગોળી) બનાવે છે.

તમિલનાડુમાં આ તહેવાર સતત ચાર દિવસ સુધી ચાલે છે, જેમાં પ્રથમ દિવસે ‘ભોગી’, બીજા દિવસે મુખ્ય ‘સૂર્ય પોંગલ’, ત્રીજા દિવસે પશુધન માટે ‘માટ્ટુ પોંગલ’ અને ચોથા દિવસે ‘કાનુમ પોંગલ’ ઉજવાય છે. આ દિવસે માટીના નવા વાસણમાં નવા ચોખા, દૂધ અને ગોળ ભેળવીને ‘પોંગલ’ નામની ખીર બનાવવામાં આવે છે. જ્યારે આ ખીર વાસણમાંથી ઉભરાય છે, ત્યારે એને અત્યંત શુભ માની “પોંગલો પોંગલ!” ના નાદ સાથે સૂર્યદેવને ભોગ ધરાવવામાં આવે છે. આ ઉત્સવ પ્રકૃતિ, સૂર્ય અને ખેતીકામમાં મદદરૂપ થતા પશુઓ પ્રત્યે આભાર પ્રગટ કરવાનું એક પવિત્ર માધ્યમ છે.

અસામ- બિહુ

અસામમાં મકરસંક્રાંતિના પવિત્ર સમયે ‘ભોગાલી બિહુ’ (માઘ બિહુ) ઉજવવામાં આવે છે, જે રાજ્યનો સૌથી મહત્વપૂર્ણ અને મંગલકારી તહેવાર છે. લણણીની ખુશીમાં ઉજવાતા આ પર્વથી જ અસામમાં લગ્ન જેવી શુભ વિધિઓનો પ્રારંભ થાય છે. ખેડૂતો આગામી વર્ષે પાકની સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે અને આખા અઠવાડિયા સુધી ઉત્સવ મનાવે છે, જેમાં તલ, નાળિયેર અને નવા ચોખામાંથી બનેલી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસાય છે તથા પરંપરાગત બિહુ નૃત્યની રમઝટ જામે છે.

આ ઉત્સવમાં પશુધન, ખાસ કરીને ગાયોની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે ખેડૂતો ગાયોને નદીએ લઈ જઈ કાચી હળદરથી સ્નાન કરાવે છે અને એમને ગોળ તથા તાજા શાકભાજી ખવડાવે છે. અસામી સંસ્કૃતિની આ અનોખી માન્યતા મુજબ, જો ઘરના પશુઓ સ્વસ્થ અને સુખી રહે, તો પરિવારમાં આખું વર્ષ સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે.

કેરળ-મકર વિલક્કુ

કેરળમાં મકરસંક્રાંતિના પવિત્ર દિવસને ‘મકર વિલક્કુ’ તરીકે અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસ પ્રખ્યાત સબરીમાલા મંદિરના ઇતિહાસમાં સૌથી મહત્વનો ગણાય છે, જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન અય્યપ્પાના દર્શન માટે ઉમટી પડે છે. આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ ‘મકર જ્યોતિ’ છે. એવી માન્યતા છે કે આ દિવસે સાંજે ક્ષિતિજ પર એક દૈવી પ્રકાશ દેખાય છે, જેને સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ અને ભગવાનના આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ 41 દિવસના કઠિન ઉપવાસ અને તપસ્યા બાદ આ દિવસે મંદિરે પહોંચે છે. આ પ્રસંગે ભગવાન અય્યપ્પાને પવિત્ર આભૂષણો ‘તિરુવાભરણમ’ પહેરાવવામાં આવે છે અને પહાડ પર વિશેષ દીવો (વિલક્કુ) પ્રગટાવી આરતી કરવામાં આવે છે. આ આખું દ્રશ્ય આધ્યાત્મિકતા અને પરમ શાંતિનો અનુભવ કરાવે છે, જે કેરળની સંસ્કૃતિ અને શ્રદ્ધાની અતૂટ પરંપરાને જીવંત રાખે છે.

હેતલ રાવ