આ જગ્યાએ રાજા હરિશ્ચંદ્ર ફેરા ફર્યા હતા…

ચોરી એટલે લગ્ન મંડપ, જેમાં વરકન્યા અગ્નિવેદી સામે બેસે અને એની ફરતે ફેરા ફરીને લગ્નના બંધનમાં બંધાય. ઉત્તર ગુજરાતમાં આવી જ એક પૌરાણિક ચોરી આવેલી છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં મેશ્વો ડેમ તરફ જતા માર્ગ પર આવેલી આ ચોરી ‘હરિશ્ચંદ્રની ચોરી’ તરીકે ઓળખાય છે. પુરાણોમાં જેમનો ઉલ્લેખ છે એવા સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના લગ્ન આ સ્થળે થયા હોવાનું માનવામાં આવે છે. આ ઐતિહાસિક સ્થાપત્યનું આગળનું કળાત્મક તોરણ દશમી સદીનું છે. એને ગુજરાતનું સૌથી ઉત્તમ અને સૌથી જુનું સ્થાપત્ય પણ માનવામાં આવે છે. તોરણ સાથે મંદિર પરિસર આસપાસના સ્થાપત્ય પણ દશમી સદીના હોય એવી માન્યતાઓ છે.

મંદિર અલ્પ અલંકૃત હોવા છતાં તોરણ એની આકૃતિઓ અને કોતરણીઓને લીધે નોંધપાત્ર છે. ગર્ભગૃહની દ્વારશાખ, લત્તાપટ્ટ, કમળપત્રો અને ઈચ્છાપૂર્તિ કરનારી કલ્પવેલથી અલંકૃત છે. અહીં પાયાના બે શિલ્પો ગંગા યમુના હોવાનું માનવામાં આવે છે. તોરણના કારણે આ પરિસર અત્યંત સુંદર લાગે છે.

આ સ્થાપત્યના સ્થળે રાજા હરિશ્ચંદ્રના લગ્ન થયા હોય એવું માનવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)