સારી મુદ્રા શા માટે મહત્ત્વની છે?

સદ્‍ગુરુ યોગ્ય મુદ્રા સફળ જીવનનો આધારસ્તંભ છે તેના બે મુખ્ય કારણો જણાવે છે.

સદ્‍ગુરુ: જો તમે તમારા રોજિંદા જીવનમાં તમારું પોતાનું નિરીક્ષણ કર્યું હોય તો તમારા ધ્યાનમાં આ આવ્યું હશે – તમે જેમાંથી પસાર થતાં હોવ તે જુદા જુદા સ્તરની માનસિક અને ભાવનાત્મક અવસ્થાઓ માટે, તમે અનુભવતા હોવ તે વિવિધ સ્તરોની જાગરૂકતા માટે, તમારું શરીર કુદરતી રીતે એક ચોક્કસ મુદ્રા ધારણ કરે છે. જો તમે ખુશ હોવ તો તમે એક રીતે બેસો છો, જો તમે નાખુશ હોવ તો તમે બીજી રીતે બેસો છો. જ્યારે તમે શાંતિપૂર્ણ હોવ ત્યારે તમે એક રીતે બેસો છો, જ્યારે તમે ગુસ્સે હોવ ત્યારે તમે બીજી રીતે બેસો છો. હવે ધારો કે તમે ઘરે જાઓ છો, અને ત્યાં કોઈ છે; જો તમે ફક્ત તેમના બેસવાની રીતનું નિરીક્ષણ કરો, તો તમે જાણી લેશો કે તેમની અંદર શું ઘટિત થઈ રહ્યું છે. આ ફક્ત એટલા માટે છે કારણ કે શરીર તમારી જાગરૂકતાના સ્તરને આધારે ચોક્કસ મુદ્રાઓ ધારણ કરે છે. આ આધાર પર, તેને બીજી તરફથી જોઈએ તો તે આસનોનું વિજ્ઞાન છે (યોગિક મુદ્રાઓ) – એટલે કે, સભાનપણે તમારા શરીરને ચોક્કસ મુદ્રામાં લઈ જઈને, તમે તમારી જાગરુકતાને પણ વધારી શકો છો. તમે ફક્ત ચોક્કસ રીતે બેસીને સંવેદનાની, વિચારવાની, સમજવાની અને જીવનનો અનુભવ કરવાની તમારી રીતને બદલી શકો છો.

આના બીજા વિવિધ પાસાંઓ છે. અંગોના આરામ અથવા કમ્ફર્ટ નામની એક વસ્તુ છે. જુઓ, અત્યારે  શરીરના મોટાભાગના મહત્ત્વપૂર્ણ અંગો છાતી અને પેટના ભાગમાં છે. આ અંગો કડક નથી; તેઓ બોલ્ટ અને સ્ક્રૂ વડે ફિક્સ કરાયેલા નથી. તેઓ છૂટા હોય છે, નેટમાં લટકતા હોય છે. જો તમે તમારી કરોડરજ્જુને ટટ્ટાર રાખીને બેસો તો જ તમારા અંગો શક્ય તેટલા વધારે આરામમાં રહેશે.

હવે, આરામનો આધુનિક વિચાર એ છે કે ઝૂકીને બેસવું અને પડયા રહેવું. જો તમે આવી મુદ્રામાં બેસો તો તમારા અંગોને ક્યારેય આરામ નહીં મળે. જે રીતે તેઓએ કાર્ય કરવાની જરૂર છે તે રીતે તેઓ કાર્ય કરશે નહીં. આ ખાસ કરીને ત્યારે સાચું છે જો તમે ફૂલ ભોજન લો અને રિકલાઇનિંગ ખુરશીમાં (આરામ ખુરશી) બેસી જાઓ. ઘણી બધી મુસાફરી રિકલાઇનિંગ સીટમાં બેસીને થતી હોય  છે. હું કહીશ, જો તમે કારમાં બેસીને રિકલાઇનિંગ સીટમાં એક હજાર કિલોમીટરની મુસાફરી કરો છો, તો તમારું આયુષ્ય ઓછામાં ઓછું ત્રણથી પાંચ વર્ષ ઓછું થઈ જશે. આવું એટલા માટે થાય છે કારણ કે અંગો ખૂબ જ પીડાય છે – તેમની કાર્ય કરવાની ક્ષમતા મોટા પ્રમાણમાં ઘટી જશે અથવા ઓછામાં ઓછું તમે કેટલીક રીતે નબળા પડી જશો.

શરીરને ટટ્ટાર એટલા માટે નથી રાખવાનું કે આપણને આરામ ગમતો નથી; તે એટલા માટે છે કે આપણે આરામને પૂરેપૂરી અલગ રીતે સમજીએ અને અનુભવીએ છીએ. તમે તમારી કરોડરજ્જુને ટટ્ટાર રાખીને તમારા સ્નાયુઓને આરામદાયક રહેવાની તાલીમ આપી શકો છો, પરંતુ તમે ઝૂકેલી સ્થિતિમાં રહીને તમારા અંગોને આરામદાયક રહેવાની તાલીમ આપી શકતા નથી. તે કરવાની કોઈ રીત નથી. તેથી, આપણે શરીરને તાલીમ આપવાનું પસંદ કરીએ છીએ, જેથી આપણી હાડકાઓ અને સ્નાયુઓની સિસ્ટમ આ રીતે બેસવામાં આરામદાયક રહે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.