સદ્‍ગુરુ: દુષ્ટતા જેવું કંઇ નથી

સદ્‍ગુરુ: દુષ્ટતા એ ના તો કોઈ ગુણ છે ના કોઈ કૃત્ય, તે અજ્ઞાનનું પરિણામ છે. આ ઘણી બધી રીતે કહેવાયું છે. તમે ચોક્કસપણે આ નિવેદન સાંભળ્યું હશે, “તેઓ જાણતા નથી કે તેઓ શું કરે છે.” જ્યાં અજ્ઞાન ત્યાં દુષ્ટતા – ભલે તેને એ રીતે ઓળખવામાં આવે કે ન આવે – સ્વાભાવિક રીતે ઘટિત થાય છે.

સૌથી ભયાનક વસ્તુઓ એટલા માટે નથી થતી કે કોઈ વ્યક્તિ દુષ્ટ છે, પરંતુ તે એટલા માટે થાય છે કારણ કે તે અજ્ઞાની છે. માણસ જે કંઇ ભયાનક વસ્તુ કરે છે તેને દુષ્ટતા ગણવામાં આવે છે કે નહીં, તે ફક્ત સંખ્યા અને શક્તિનો પ્રશ્ન છે. તે બધું તમારી સાથે કેટલા લોકો છે તેના પર નિર્ભર છે. જો તમે આખા નગરને દુષ્કૃત્યમાં સામેલ કરવાનું મેનેજ કરી લો, તો તે યોગ્ય વસ્તુ બની જશે. આજે, આપણે ભૂતકાળમાં લોકોએ કરેલી યોગ્ય વસ્તુઓ સાથે કોઈ રીતે પોતાને જોડવા માંગતા નથી કારણ કે તે તેઓ જે કરી શકે તેમ હતા તેમાંની સૌથી ભયાનક વસ્તુઓ હતી. ભૂતકાળના સારા માણસોએ જે કર્યું હતું તે કરવા આજનો સૌથી દુષ્ટ માણસ પણ સક્ષમ નથી. અને આજે પણ વસ્તુઓ બહુ અલગ નથી.

દુષ્ટતા ક્યારેય જતી નથી. તે જઈ શકતી નથી કારણ કે તે કોઈ ગુણ અથવા કૃત્ય નથી, તે જ્ઞાનનો અભાવ છે. જો કંઇક હોય, તો આપણે તેનો નાશ કરી શકીએ પરંતુ જે અભાવ છે તે જવાનું નથી – તમે અંધકારનો નાશ કરી શકતા નથી, તમારે ફક્ત પ્રકાશ લાવવાનો છે. તેવી જ રીતે, તમે દુષ્ટતાનો નાશ કરી શકતા નથી, તમારે ફક્ત જ્ઞાન અને જાગરૂકતા લાવવાની છે. દુષ્ટતા સ્વરૂપ, રંગ અને દિશા બદલે છે પરંતુ સદ્ભાગ્યે, અજ્ઞાનનું એક જ સ્વરૂપ છે, તેથી તેનો સામનો કરવાનું સરળ છે. અજ્ઞાનનો સામનો કરવા માટે આપણે અસ્તિત્વને જાણવું જોઈએ.

અસ્તિત્વને જાણવા માટે, પહેલા તમારે એ જાણવું જોઈએ કે તમારું મન અને તમારું શરીર દુનિયા અને તેમાના લોકોથી બનેલું છે. તમારો મૂળ સ્વભાવ તમારા અનુભવમાં નથી કારણ કે તે મનની બીજી બાજુ છે. એક રીતે, તમારું મન અરીસા જેવું છે. તે વિકૃત અરીસો હોઈ શકે છે, પરંતુ છતાં પણ તે અરીસો છે. તમે વિશ્વને જુઓ છો કારણ કે તે તમારા મનમાં પ્રતિબિંબિત થાય છે. પરંતુ મન ક્યારેય “સ્વયંને” પ્રતિબિંબિત કરતું નથી. હું તમારા શારીરિક કે માનસિક “સ્વ” વિશે વાત નથી કરી રહ્યો. તમે તમારા વિચારો અને લાગણીઓનું ચિંતન કરી શકો છો, પરંતુ તમે સ્વયંનું ચિંતન કરી શકતા નથી. તમારા અસ્તિત્વનું ચિંતન કરી શકાતું નથી – તે ફક્ત અનુભવી શકાય છે. મન તમારી આસપાસના વિશ્વને પ્રતિબિંબિત કરે છે, પરંતુ તમારો પોતાનો એક જીવન તરીકેનો કોઈ અનુભવ નથી.

તેથી જો તમે આ “અરીસા” ની પ્રકૃતિ જાણો , તો તમે તે બધી છબીઓની પ્રકૃતિ જાણશો જે તે રજૂ કરી શકે છે. તો અજ્ઞાન માત્ર એટલું છે – કે તમે જાણતા નથી કે આ અરીસો શું છે. જો આ એક વસ્તુનું સમાધાન થઈ જાય, તો તમારે બ્રહ્માંડની બધી વસ્તુઓ વિશે જાણવાની જરૂર નથી. જો તમે માત્ર આ શું છે તે જાણી લો, તો તે અજ્ઞાનનો અંત છે અને દુષ્ટતાનો પણ અંત છે.

(સદ્‍ગુરુ, ઈશા ફાઉન્ડેશન)

(ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે. તેમણે મિરેકલ ઓફ માઈન્ડ એપ પણ આપી છે, જેનો હેતુ 3 અબજ લોકોને માનસિક સુખાકારીના સાધનો આપીને સશક્ત કરવાનો છે.)