આજે આપણે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓનો ઉલ્લેખ ‘વિશેષ’ વ્યક્તિ તરીકે કરવા લાગ્યા છીએ. આથી, તેમને અન્ય લોકો કરતાં વધુ કાળજીની જરૂર પડે છે. તમારા માટે આ એ સમજવાની તક છે કે જીવનને વધુ સંવેદનશીલતાથી લેવાની જરૂર છે. કોઈ રહસ્યવાદી કે દૈવી ઉપાય શોધવાને બદલે સમાજમાં આવી સંવેદનશીલતા આવવી જોઈએ.

બીમારી, ઈજા અને જન્મ સમયે થતી ખોડખાંપણ જીવનની કુદરતી વાસ્તવિકતા છે. આપણે ઈચ્છીએ કે દરેક વ્યક્તિને બે પગ હોય, પરંતુ જો કોઈને ન હોય, તો તે વ્યક્તિ માટે એ તથ્ય ભારે કષ્ટરૂપ ન બનવું જોઈએ. લોકો તેની મદદ કરી શકે છે અને એવું વાતાવરણ સર્જી શકે છે કે તેનું જીવન એટલું મુશ્કેલ ન રહે. આમ, આ માત્ર અંગત સમસ્યા નથી, પરંતુ સામાજિક જવાબદારી પણ છે.
લોકોની ક્ષમતાઓમાં ભિન્નતા હોય છે. દરેક વ્યક્તિ નવ સેકન્ડમાં 100 મીટર દોડી શકે નહીં. તેથી, જે વ્યક્તિ આવું કરી શકે છે તેની તુલનામાં તો આપણે સૌ શારીરિક રીતે વિકલાંગ જ છીએ, ખરું ને? એટલે વિકલાંગતા એક સાપેક્ષ બાબત છે.

દરેક વ્યક્તિ અલગ પ્રકારની શારીરિક અને માનસિક ક્ષમતાઓ લઈને જન્મે છે. લોકોને એકસરખા બનાવવાનો પ્રયત્ન કરવો એ ક્રૂરતા છે. જો કોઈ વ્યક્તિને એક જ પગ હોય, તો બાકીના બધાના પગ કાપી નાખવાથી સમાનતા આવી જશે? નહીં. સમાનતા નહીં, પરંતુ સમાન તક દરેક સમાજમાં હોવી જોઈએ.
કોઈ વ્યક્તિ એક જ પગ ધરાવતી હોય, એક જ આંખ ધરાવતી હોય અથવા કોઈ અન્ય શારીરિક મર્યાદા ધરાવતી હોય, તો પણ તેને શક્ય હોય તેટલું સ્વતંત્ર જીવન જીવવાની તક મળવી જોઈએ. જાહેર પરિવહન હોય કે જાહેર સ્થળો, ત્યાં એવી સુવિધાઓ હોવી જોઈએ કે વિકલાંગતા ધરાવતી વ્યક્તિ પણ સરળતાથી તેનો ઉપયોગ કરી શકે. સમાજે પોતાની આર્થિક ક્ષમતા મુજબ એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે કોઈ વ્યક્તિ પોતાની વિકલાંગતા કરતાં સમાજના અભાવને કારણે વધુ વિકલાંગ ન બને.

આ ઉપરાંત, શારીરિક વિકલાંગતા ન ધરાવતા લોકોની પણ કોઈ નબળાઈને કારણે મજાક ઉડાવવામાં આવે છે. આપણે બધા દરેક કામ એકસરખી રીતે કરી શકતા નથી. જો હું બેસૂરું ગાઉં તો લોકો મારી મજાક ઉડાવે. જો તમારું નાક અલગ દેખાતું હોય તો પણ લોકો ટિપ્પણી કરે. જો લોકો કોઈની વિકલાંગતાની મજાક ઉડાવે છે, તો તે તેમની માનસિક અપરિપક્વતાનું પ્રતિબિંબ છે.
હંમેશા કોઈને કોઈ વ્યક્તિ એવી હશે જે માને કે તે કોઈ બાબતમાં તમારા કરતાં શ્રેષ્ઠ છે. તેથી લોકો તમારા વિશે શું વિચારે છે અથવા શું કહે છે તેના પર ધ્યાન આપવાને બદલે, તમે આજે જે છો તેમાંથી શ્રેષ્ઠ કેવી રીતે બની શકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે પોતે જ તમારા માટે આનંદનો સૌથી મોટો સ્રોત બનશો.

તમારા શરીર, મન અને ભાવનાઓને સંતુલિત રાખવાનું એક સંપૂર્ણ વિજ્ઞાન છે, જેને આપણે યોગ કહીએ છીએ. યોગ તમારી આંતરિક સ્થિરતા જાળવવાની પદ્ધતિ છે, જેથી તમે પોતે સમસ્યા ન બનો. જો વ્યક્તિ પોતે જ પોતાની સમસ્યા બની જાય, તો તે જે કરી શકે છે તે પણ કરી શકતો નથી. પરંતુ જો વ્યક્તિ પોતાની અંદરની શક્તિને જાગૃત રાખે, તો મર્યાદાઓ હોવા છતાં અર્થપૂર્ણ અને આનંદમય જીવન જીવી શકે છે.
(સદ્ગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.




