શું તમારે ખુશીના સાગરને મળવું છે?

મીડિયા દ્વારા આજ કાલ મનની વિવિધ પરિસ્થિતિઓમાં પ્રતિક્રિયાના સબંધમાં કરવામાં આવેલ રિસર્ચ રિપોર્ટ રજૂ કરવામાં આવે છે. આ બધા રિસર્ચ રિપોર્ટ એવા છે કે જેવી રીતે વિશાળ મેદાનની તથા વચ્ચે ક્યાંક અંગારા, ક્યાંક કાદવ અને ક્યાંક કાંટા પાથરી દેવામાં આવે. તથા વચ્ચે ધુંટણથી ચાલતા બાળકોને છોડી દેવામાં આવે. આમ કરવાથી કેટલાક બાળકો કાદવ વાળા થઈ જશે. કેટલાક બાળકો કાંટાથી લોહી લુહાણ થઈ જશે. જ્યારે કેટલાક બાળકો અગ્નિમાં દાઝી જશે. ત્યારબાદ પરિણામ કાઢવું કે કાદવ, અગ્નિ તથા કાંટાથી આકર્ષિત થવા વાળા બાળકોની ટકાવારી આટલી રહી. કેવું હાસ્યસ્પદ છે! આ બુદ્ધિના દેવાળિયાપનને સિદ્ધ કરે છે. કારણ કે વિકલ્પના અભાવમાં વ્યક્તિ જે વસ્તુને પસંદ કરે છે તેને યોગ્ય નિર્ણય માનવામાં નથી આવતો.

બહુમતીથી પ્રાપ્ત આંકડા અનુસાર ફેશન, સંગ્રહ વૃત્તિ તથા સ્વચ્છંદીપણાના આધારે પ્રાપ્ત પરિણામ ઈશ્વરીય સત્ય અનુસાર નથી હોતા. તે પરિસ્થિતિ મુજબ નબળા મનની સ્થિતિના આધારે લેવાયેલ નિર્ણયનો પરિચય આપે છે. રૂપ, રસ, ગંધ, રંગ એ બધા ઇન્દ્રિયોના વિષય છે. જાહેરાતોના પ્રભાવમાં આવીને મનુષ્ય એવું મનવા લાગે છે કે મજા આમાં જ છે. પછી ભલે તે જાહેરાતો સુખ આપનાર સંબંધ, તંદુરસ્તી, નૈતિકતા, મર્યાદા, સંસ્કૃતિ વગેરેનો નાશ કરવા વાળી હોય.

અહીં એક ઘટનાનું વર્ણન કરવું પ્રાસંગિક લાગે છે. સિગારેટની એક જાહેરાતમાં એક સુંદર યુવકને મુખ પર સ્મિત સાથે ધુમાડાને છોડતો જોઈને એક ભોળી કન્યા તેને વર તરીકે પ્રાપ્ત કરવા માટે નિશ્ચય કરી બેઠી. શા માટે? કારણ કે પૈસાના બદલે થોડા સમયની જૂઠી ખુશીને તે કન્યા કાયમી ખુશી માનવાના ભ્રમમાં ફસાઈ ગઈ. આજ રીતે વ્યક્તિનો સફેદ રંગ તથા મજબૂત બાંધો પણ ઘણીવાર લોકોને આકર્ષિત કરે છે. ધન કે પદનું આકર્ષણ પણ ખૂબ ઝેરીલું છે. આકર્ષણના પડદા પાછળ છુપાયેલ વાસ્તવિક જિંદગી જોઈએ તો તે સત્ય બહાર આવે છે કે રૂપ, રસ, રંગની માયાજાળમાં ફસાયેલ જીવન ઉદાસી, નિરાશા, પરેશાની વિગેરેથી ભરેલ છે.

રૂહાની મોજના અભાવમાં મન ખાલીપનના અંધકારમાં ભટકે છે. આ પરિસ્થિતિમાં જો કોઈ જગ્યાએથી ખુશીની ઝલક પ્રાપ્ત થાય છે તો તે મનુષ્યને આકર્ષિત કરે છે. પરંતુ થોડા સમયની ખુશીની ઝલક આપણને ખુશીઓના સાગર સાથે નથી મળાવી શકતી. જેવી રીતે હોઠ પર લાગેલ મધના ટીંપાને ચાટયા પછી જીભ ફરીથી કોરીને કોરી રહી જાય છે એવી જ રીતે મન મત પર કરવામાં આવેલ કર્મો દ્વારા પ્રાપ્ત થયેલ સુખનો અનુભવ કર્મેન્દ્રિયો દ્વારા જ કરવામાં આવે છે. મન તરસ્યુંને તરસ્યું રહી જાય છે. એ તળાવમાં ઉત્પન્ન થનાર અને તરત જ નાશ પામનાર પાણીના પરપોટાની જેમ મનના થોડા સમય માટેના સુખ દ્વારા અનેક સંકલ્પો રૂપી પરપોટા ઉત્પન્ન થાય છે તથા નાશ પામે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)