સપનાં લખો, જીવન ઘડો

2025નો આ અંતિમ વિચારમેળો. થોડા જ દિવસમાં 2026નો ઉદય થશે. તો આવા ટાણે થોડી વેગળી વાત કરીએ. આશરે ચાળીસેક વર્ષ જૂની વાત છે. દુનિયાના કેટલાક ચિંતકો-વિચારકો એક જગ્યાએ ભેગા થયા. ઈતિહાસનાં પૃષ્ઠો જોતાં-ફેરવતાં એમણે વિચાર્યું કે સફળ લોકોનાં જીવનચરિત્ર વાંચીએ. આવી કેટલીક બાયોગ્રાફી વાંચતાં એમના ધ્યાનમાં આવ્યું કે ઘણી સફળ વ્યક્તિઓનાં જીવન સંસાધન અથવા રિસોર્સીસ સારાં હતાં, એમનાં બેકગ્રાઉન્ડ અને પરિવારની સપોર્ટ સિસ્ટમ પણ સારી હતી, મજબૂત હતી, પરંતુ આ બધાં સંસાધનો છતાં કેટલાક લોકો એવા પણ હતા, જે સફળ ન થઈ શક્યા. બીજી બાજુ, એવા પણ કેટલાક લોકો સફળ થયા, જેમનું લેખન-વાંચન ઓછું હતું. સાધનસગવડ પણ એવાં કંઈ ખાસ નહોતાં, પરિવારની સપોર્ટ સિસ્ટમ પણ મજબૂત નહોતી.

આ બધું જોઈને વિચારકો દ્વિધામાં પડ્યા. 10-12 વર્ષ સુધી અવલોકન કરતાં આ તમામ વિચારકો એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે તમારા જીવનમાં સાધન-સગવડ ઓછાં હોય કે વધુ, પણ તેનાથી વધુ મહત્વ તમારા અંગત વિચારો અને એટિટ્યુડ ધરાવે છે. કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ કામ કરતી વખતે કે સંબંધ રાખતી વખતે તમે કેવા વિચાર રાખો છો, એ જ તમારી સફળતા નક્કી કરે છે.

અમેરિકાના વિચારક અને લેખક જેફ કેલરે આ વાત ખૂબ વિશ્વાસ સાથે તેના પુસ્તકમાં લખીઃ એટિટ્યૂડ ઈઝ એવરીથિંગ. એટલે કે જીવનમાં જે કંઈ પણ છે તે તમારા વિચાર અને દૃષ્ટિકોણ છે. જેફ કહે છે, સફળતા સૌપ્રથમ તમારા મગજમાં આવે છે. માટે સારું વિચારો. વિચાર યોગ્ય હોવા જોઈએ.

બીજા ભાગમાં એ લખે છેઃ તમારા શબ્દો જ તમારા વ્યક્તિત્વ અને ચરિત્રનું નિર્માણ કરે છે. માટે વિચારીને, બુદ્ધિપૂર્વક બોલવું. ત્રીજા ભાગમાં એ લખે છે કે તમારા કામથી જ હકીકતમાં પરિણામ આવે છે. માટે એક ધ્યેયને કેન્દ્રમાં રાખી કામ કરો.

આ વિચાર જીવનને દિશા આપનારા છે. આપણે વાસ્તવમાં પ્રગતિને જ સફળતા માની લઈએ છીએ, જ્યારે સાચી સફળતા ઘણી નાની નાની પ્રગતિઓને જોડીને મળે છે. એ વાત યાદ રાખો કે સફળતા ક્યારેય રાતો-રાત નથી મળતી. તમે હિમાલય ઉપર જો હેલિકોપ્ટરથી પહોંચશો તો છાપાંમાં તમારી તસવીર છપાશે નહીં કે ટીવી પર એના બ્રેકિંગ ન્યુઝ બનશે નહીં, જ્યારે તમે નીચેથી એક એક ડગલું આગળ વધીને શિખર પર પહોંચો છો, ત્યારે જ વિક્રમ સર્જાય છે. જલદી સફળતા મેળવનારાઓએ પણ એક દિશામાં મહેનત કરી હોય છે.

તમારી વિચારધારા શું છે કેવી છે? કાલે જાગીશું તો કંઈક કરીશું… પડશે એવા દેવાશે. આના બદલે એક ડાયરી રાખો. ડાયરીમાં નોંધ કરો કે જીવનમાં કઈ કઈ બાબતોને કરવી છે. આમાંની મહત્વનાં કામની યાદી ઘર-ઓફિસમાં એવી જગ્યાએ ચોંટાડી દો કે, જ્યાં તમે રોજ બેસો છો. દ૨રોજ તમારી સામે એ વાત આવશે. ઘણી વખત મગજમાંથી વાત ઊડી જાય છે, પણ સામે લખેલું રોજેરોજ યાદ અપાવશે. અમેરિકામાં એક જોન ગોડાર્ડ નામના સાહસસફરી હતા. માત્ર 14-15 વર્ષની વયે એમણે એક ડાયરીમાં પોતાનાં સપનાં-લક્ષ્ય લખી રાખ્યાં. દાખલા તરીકે, મારે એવરેસ્ટ પર જવું છે. નાઈલ રિવરમાં તરીને સામે પાર જવું છે, વગેરે. આવાં 57 લક્ષ્યોનું લિસ્ટ બનાવ્યું. ગોડાર્ડ 60 વર્ષના થયા ત્યારે તેમણે પેલી ડાયરી ઉઘાડી, ટારગેટ્સ તપાસ્યાં. એક પછી એક લક્ષ્ય પર એ ખરાની નિશાની અથવા ટિક્ કરતા ગયા. એમને પોતાને નવાઈ લાગી કે 57માંથી 55 ટારગેટ અચિવ થઈ ગયાં હતાં.

કહેવાનું તાત્પર્ય એ કે લખવું જરૂરી છે. એ તમારું લક્ષ્ય બની જાય છે, તમારું જીવન બની જાય છે. એટલે 2026ના ઉદયે નિયમ લો કે સપનાંની-લક્ષ્યની નોંધ રાખીશ અને એ સાકાર કરવાનાં પૂરા પ્રયાસ કરીશ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)