નવી દિલ્હીઃ રાજસ્થાનમાં અરાવલીના પહાડો પર ગેરકાયદે ખનનને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી મોટો વિવાદ ચાલી રહ્યો છે. અનેક સામાજિક કાર્યકર્તાઓ અને સંસ્થાઓએ ભજનલાલ સરકાર સામે મોરચો ખોલ્યો છે અને કોઈ પણ કિંમતે અરાવલીનાં શિખરોને બચાવવાની માગ કરી છે.
આ દરમિયાન સામે આવેલા આંકડાઓ બતાવે છે કે છેલ્લાં 7 વર્ષોમાં રાજસ્થાનમાં ગેરકાયદે ખનનના કુલ 7173 કેસ નોંધાયા છે. તેમાંથી માત્ર અરાવલીના શિખરો સાથે સંબંધિત 4181 કેસ છે. જો મોટા અને નાના બંને પ્રકારના ખનનને જોડીએ તો ગેરકાયદે માઇનિંગના કુલ 71,322 કેસ સામે આવ્યા છે. તેમાં પણ માત્ર અરાવલી વિસ્તારમાંથી 40,175 કેસ નોંધાયા છે.
ભાજપના ધારાસભ્યના આંકડા
આ આંકડાઓ અંગે ત્રણ વખતના ભાજપના ધારાસભ્ય રામલાલ શર્માનું કહેવું છે કે કોંગ્રેસના શાસન દરમિયાન ગેરકાયદે ખનન વધુ થતું હતું. તેમણે જણાવ્યું હતું કે હાલની સરકારનો સ્પષ્ટ ઉદ્દેશ એ છે કે અરાવલીના એક નાનકડા પર્વતના ટુકડાને પણ નુકસાન ન પહોંચે. રામલાલ શર્માએ ઉમેર્યું હતું કે વર્તમાન ભાજપ સરકારે છેલ્લાં બે વર્ષોમાં ગેરકાયદે માઇનિંગ અને માઇનિંગ માફિયા સામે કડક નિર્ણયો લીધા છે.
ભાજપના ધારાસભ્ય દ્વારા શેર કરાયેલા આંકડાઓ મુજબ 15 ડિસેમ્બર 2018થી 14 ડિસેમ્બર 2023 વચ્ચે અરાવલીમાં ગેરકાયદે ખનનના 29,209 કેસ સામે આવ્યા હતા. જ્યારે ભજનલાલ સરકારના બે વર્ષના કાર્યકાળમાં 10,966 કેસ નોંધાયા છે. આંકડાઓ મુજબ, છેલ્લા 7 વર્ષોમાં ગેરકાયદે ખનન સામે કાર્યવાહી કરતાં રાજ્ય સરકારે દંડ રૂપે કુલ 637.16 કરોડ રૂપિયા વસૂલ્યા છે. તેમાંમાંથી 231.75 કરોડ રૂપિયા માત્ર અરાવલી વિસ્તારમાં થયેલા ઇલિગલ માઇનિંગ સામે વસૂલવામાં આવ્યા છે.
જો અગાઉની અશોક ગેહલોત સરકાર અને હાલની ભજનલાલ સરકાર – બંનેના કાર્યકાળને મળીને જોઈએ, તો સમગ્ર રાજ્યમાં ગેરકાયદે ખનનના મામલામાં 3736 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એ સાથે જ 70,399 મશીનો જપ્ત કરવામાં આવી છે. માત્ર અરાવલી વિસ્તારમાં જ કાર્યવાહી કરતાં 29,138 મશીનો જપ્ત કરવામાં આવી છે. તેમાંમાંથી 10,616 મશીનો ભજનલાલ સરકારના બે વર્ષના કાર્યકાળમાં જપ્ત થઈ છે.




