જીવ્યું સાર્થક થયું છે ખરું?

અધિક માસ પૂરો થયો ને પવિત્ર આજથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો. આપણાં પુરાણોમાં કારતક, ચૈત્ર, શ્રાવણ, ભાદરવો જેવા માસને દાન કરવા યોગ્ય ગણાવવામાં આવ્યા છે. જો કે ચાર માસ જ શું કામ, જો નિરંતર બીજાનાં દુ:ખ જોઈને મન દ્રવિત થતું હોય તો તમે દાનવીર છો. કુદરત પણ પોતે રચેલી સૃષ્ટિથી આપણને સતત આપવાનો પાઠ ભણાવે છે. સૂર્ય, પુષ્પો, વૃક્ષો, નદી, આપણને ટ્વેન્ટી-ફૉર-બાય-સેવન આપતાં ને આપતાં જ રહે છે આમ છતાં એમનો સ્ટૉક કદીયે ઓછો થતો નથી.

1888માં ફ્રાન્સમાં મૂળ સ્વીડિશ એન્જિનિયર-બિઝનેસમૅન લુડવિગ નૉબેલનું મૃત્યુ થયું. બીજા દિવસે ફ્રાન્સનાં દૈનિકોમાં એમના મૃત્યુના સમાચાર પ્રકાશિત થયા, પરંતુ મુશ્કેલી એ થઈ કે અહેવાલમાં લુડવિગના બદલે એમના ભાઈનું નામ છપાયું, જે જીવિત હતા.

જે જીવંત વ્યક્તિના મૃત્યુના સમાચાર છપાયા તે પોતે એક મહાન વિજ્ઞાની હતો, જેણે સાડાત્રણસો જેટલાં સંશોધન કરેલાં. પોતાના મૃત્યુના સમચાર વાંચી તે અકળાઈ ગયો. ના, અકળામણનું કારણ પોતાના મૃત્યુના ખોટા સમાચાર નહોતા, પરંતુ તેના વિશે છાપાંએ જે લખ્યું તે હતું. એની (એટલે કે લુડવિગની) ઓળખ આપતાં લખ્યું હતું, ‘મૃત્યુના સોદાગરનું મૃત્યુ.’

લુડવિગના ભાઈએ (જે જીવિત હતો તેણે) કરેલાં અનેક સંશોધનોમાં એક હતું વિસ્ફોટ કરવા માટે વપરાતું ડાયનેમાઈટ. તેણે પોતાની જાતને પૂછ્યું, ‘શું લોકો મને મૃત્યુના સોદાગર તરીકે યાદ કરશે?’ એ જ દિવસે એણે પોતાની ૯૪ ટકા સંપત્તિ વિશ્વની સુખાકારી માટે કામ કરનારને એવૉર્ડ તરીકે આપવાનું નિરધાર્યું. મિસ્ટર લુડવિગનો એ ભાઈ એટલે નૉબેલ પારિતોષિકના જનક આલ્ફ્રેડ નૉબેલ.

માણસ વિશ્વને શું પ્રદાન આપે છે, બીજાના ઉત્કર્ષ માટે, બીજાના ભલા માટે તે શું કરે છે તેના આધારે તેનું વ્યક્તિત્વ નક્કી થાય છે. એક તત્ત્વચિંતક કહે છે, ‘આજ સુધી કોઈ પણ વ્યક્તિનું સમ્માન એણે સમાજ પાસેથી શું અને કેટલું લીધું એ કારણસર કરવામાં નથી આવ્યું. હા, એટલા માટે જરૂર કરવામાં આવ્યું છે કે એણે સમાજને શું અને કેટલું આપ્યું’

ખરેખર, બીજાનું ભલું કરવું, બીજા માટે ઘસાવું. આવી પરોપકારી ભાવનાથી વ્યક્તિ સમ્માનીય, આદરણીય અને સ્મરણીય બને છે. પેલી કહેવત છેનેઃ ‘કર ભલા તો હો ભલા. બીજાના હિત માટે કરેલો નાનામાં નાનો પ્રયત્ન પણ પરમાત્માથી અપરિચિત નથી રહેતો. ભગવાન તેનું યોગ્ય ફ્ળ આપે જ છે. અહીં આ પ્રસંગ ઉલ્લેખનીય છેઃ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એક વાર અમેરિકામાં ધર્મયાત્રાએ ગયેલા. ત્યાં એમને એક પત્ર મળ્યો. હિંમતનગર નજીકના હિંગટિયા ગામના એક આદિવાસી ભાઈએ લખેલો એ સ્વામીજીએ વાંચ્યો, પણ અક્ષર વાચ્ય નહોતા. માત્ર પોસ્ટલ સ્ટૅમ્પથી જાણ થઈ કે પત્ર હિંમતનગર વિસ્તારનો છે. તરત સ્વામીજીએ એ વિસ્તારના સંતોને કહેવડાવ્યું કે તમે ત્યાં તપાસ કરો કે આવો પત્ર કોણે લખ્યો છે અને તેમનો શું પ્રશ્ન છે.’

તપાસ કરતાં ખબર પડી પત્ર લખનારના ગામનો હૅન્ડપમ્પ બગડી ગયો છે. સ્વામીજીએ તરત સંતોને આદેશ આપતાં કહ્યું કે, ‘બને એટલો જલદી આ ગામનો પંપ રિપૅર કરાવી આપો. જરૂર જણાય તો નવો પંપ નખાવી આપજો.’ આટઆટલી વ્યસ્તતા અને આવાં આંતરરાષ્ટ્રીય મહાનગરોમાં વિચરતા સ્વામીશ્રી નાનામાં નાના દુખિયારાની સંભાવના કરતા. તેઓની આધ્યાત્મિકતાનું અને ભલમનસાઈનું આ અનોખું દર્શન હતું.

એક ગામમાં કોઈ કિશોર નદીમાં ડૂબી રહ્યો હતો. મદદ માટે એની બૂમાબૂમ સાંભળી ત્યાંથી પસાર થતા એક માણસે તેને બચાવી લીધો. પેલા છોકરાએ આભારવશ કહ્યું, ‘ધન્યવાદ.’

માણસે પૂછ્યું ‘ધન્યવાદ? શા માટે?’

છોકરાએ પ્રત્યુત્તર આપ્યો, ‘મારી જિંદગી બચાવવા માટે.’

એ માણસે છોકરાને કહ્યું, ‘દોસ્ત, જ્યારે તું મોટો થાય ત્યારે સાર્થક કરજે કે તારી જિંદગી બચાવવાલાયક હતી.’

આપણે પણ જીવનને એવી રીતે સાર્થક કરીએ કે જીવન આપનારને થાય કે આને જિંદગી આપવાલાયક હતી.