એની વય હતી ૧૪. હા, માત્ર ૧૪. શહેરઃ મુંબઈ. ચારેક દિવસ પહેલાં (સોમવારે) ૧૪ વર્ષની એ કિશોરીએ જીવનનો અંત આણ્યો. કારણ માતા-પિતાએ એને મોબાઈલફોન પર ગેમ રમવાની મનાઈ ફરમાવી. માવતરના નકારથી હતાશ થયેલી કિશોરીએ ઘરમાં જ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું.
છાપાના એક ખૂણે છપાયેલા આ સમાચાર આપણને વિચારમાં પાડી દેવા મજબૂર કરે છે. થોડા સમય પહેલાં કર્ણાટકમાં ૨૦ વર્ષના એક યુવાને લેટેસ્ટ આઈફોન ઑનલાઈન ઑર્ડર કર્યો. પેમેન્ટ ફોન ડિલિવર થાય ત્યારે કરવાનું હતું. ફોન ઘરના બારણે આવી ઊભો. યુવાને ફોન ડિલિવર કરવા આવનારને કૅશ આપવાને બદલે મોત આપ્યું, કારણ કે મોંઘો આઈફોન ખરીદવો હતો, પણ એ માટે પૈસા જ નહોતા.
આપણે ત્યાં સ્માર્ટફોનનું જે ગાંડપણ છે એવું કદાચ દુનિયામાં ક્યાંય નહીં હોય. એમાંય કોરોનાકાળમાં જ્યારે માવતરોએ કમ્પલસરી દીકરા-દીકરીને ફોન અપાવવા પડ્યા, જેમાંથી એક નવી જ સમસ્યા ઊભી થઈ. પોતાના બાળકુસુમને સ્માર્ટ ફોન-ઈન્ટરનેટના વાવાઝોડામાં ફંગોળાતાં જોઈ રહેલા માવતર નિસાસો નાખતાં કે ‘કોરોનાએ તો દાટ વાળ્યો. છોકરાં ભણવા કરતાં બગડે છે વધારે.’
બેએક વર્ષ પહેલાં કોરોનાના પગલે થયેલા લૉકડાઉન દરમિયાન બી.એ.પી.એસ. સંસ્થાના એક હજારથી વધુ સંતો-કાર્યકરો અધ્યાત્મ, નૈતિકતા તેમ જ કોરોના વેક્સિનની જાગૃતિ માટે ગુજરાતભરમાં લાખો ઘરોની પર્સનલી વિઝિટ કરી રહ્યા હતા ત્યારે તેમના અનુભવોના આધાર પરથી નિષ્ણાતોએ તારણ કાઢ્યું કે કોરોના મહામારીએ જેટલી જાનહાનિ કરી છે તેનાથી વધુ ચારિત્ર્યહાનિ કરી છે, સંસ્કારનાં મૃત્યુ થઈ રહ્યાં છે?
કલાકોના કલાકો સુધી નેટ-સર્ફિંગની કુટેવ માટે નિષ્ણાતો કહે છે: અશ્ર્લીલ અને અસામાજિક પદ્ધતિ શીખવતી વેબસાઈટ્સ જોવાથી બાળકો અને યુવાનોનાં ચારિત્ર્ય અને મનોબળ પર ઘાતક અસર પડી રહી છે. વળી આ રીતે લાંબો સમય મોબાઈલ, ટેબ્લેટ સામે બેસી રહેવાના કારણે અભ્યાસ અને આરોગ્ય બંનેને જોખમમાં આવી જાય છે.
એકમાત્ર ઉપાય છેઃ મા-બાપની જાગૃતિ. બ્રિટિશ તત્ત્વચિંતક અને નૉબેલ પ્રાઈઝ વિજેતા બર્ટ્રાન્ડ રસેલે ‘એજ્યુકેશન ઍન્ડ ધ સોશિયલ ઑર્ડર’ વિષયક પુસ્તકમાં લખ્યું છે કે, ‘સ્કૂલ કરતાં ઘરમાં આપવામાં આવેલું શિક્ષણ વધારે ઉપયોગી છે. અત્યારે બાળકો અને યુવાનોના માનસિક વિકાસમાં માવતરે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની છે.’ મા-બાપ દ્વારા આપવામાં આવતા સંસ્કાર જ સંતાનના જીવનઘડતરનો પાયો છે.
અંગ્રેજ કવિ સૅમ્યુઅલ ટેલર કોરિજને તેમના એક મિત્રે કહ્યું, ‘મને એ સમજાતું નથી કે બાળકોને ધાર્મિક શિક્ષણ આપવાની હિમાયત શા માટે થઈ રહી છે!’
‘કેમ, તેમાં વાંધો લેવા જેવું શું લાગે છે?’ કવિએ પૂછ્યું.
મિત્ર કહે, ‘બાળકોની બુદ્ધિ અપરિપક્વ હોય છે. તે પરિપક્વ ન થાય ત્યાં સુધી તેના પર આવા વિચારો લાદવા જોઈએ નહીં. મોટાં થાય ત્યારે શું ગ્રહણ કરવું અને શું નહીં તે પોતાની મેળે જ નક્કી કરી લેશે. વળી, બાળકોની સ્વતંત્રતા પર તરાપ મારી તેને ધાર્મિક શિક્ષણ આપવું એને હું જોહુકમી જ માનું છું.’
કવિ કોલરિજ કહે, ‘બગીચામાં કોઈ છોડ, ઘાસ કે વેલાની સ્વતંત્રતા ઉપર હું ખોટું આક્રમણ કદી કરતો નથી, એમને જેમ ઊગવું હોય તેમ ઊગે. એમની મરજી મુજબ ઊગવા અને વિકસવા દઉં છું.’ મિત્ર સમજી ગયો કે કોલરિજે પોતાને પોતાની સમજણ વિશે ઉત્તર આપી દીધો છે.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પણ કહેતાં કે જો તમે તમારાં બાળકોને (બાળપણથી જ) સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે.’
યાદ રહે, મા-બાપ દ્વારા આપવામાં આવતા સંસ્કાર જ જીવનઘડતરનો પાયો છે. જો સંસ્કારનું સિંચન સારું થશે તો પાયો મજબૂત બનશે. સંસ્કાર-હનનથી માનવ નહીં, માનવજાતને નુકસાન થઈ શકે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
